સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના બ્રેકઅપના સમાચાર જાણીને તેમના ચાહકોમાં આઘાતનું મોજું ફરી વળ્યું હતું. જોકે હવે એવા સમાચાર છે કે બંને હાલ એકબીજાંને સ્પેસ આપી રહ્યાં છે અને પેચઅપના પ્રયાસ કરી રહ્યા છે. મતલબ કે તેમણે સંબંધ સાવ તોડ્યો નથી.
સિદ્ધાર્થના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધાર અને કિયારા હાલ ભલે સાથે નથી, પરંતુ તેઓએ કાયમ માટે એકમેકથી છૂટા પડવાનો નિર્ણય લઇ લીધો છે એવું પણ નથી. તમે એવું કહી શકો કે બંનેએ હાલ સંબંધમાં અલ્પવિરામ મૂક્યું છે. કશુંક એવું થયું છે કે જેના કારણે બંને એકબીજાંથી અળગાં થઇ ગયાં છે અને તેમ છતાં પણ બંને એકબીજાને સમજવાની કોશિશ પણ કરી રહ્યાં છે.
કદાચ આ જ વાતના પુરાવારૂપે બ્રેકઅપની વાતો વચ્ચે કિયારાએ સિદ્ધાર્થ અને તેને સાથે દર્શાવતું ‘શેરશાહ’ ફિલ્મનું પોસ્ટર રિશેર કર્યું છે. આ પોસ્ટરમાં ‘શેરશાહ’ ફિલ્મને ઓટીટી પર મળેલી લોકપ્રિયતાનો હવાલો અપાયો છે. કિયારા હાલ ‘ભૂલભૂલૈયા-ટુ’ ફિલ્મનાં પ્રમોશનમાં વ્યસ્ત છે અને તે નથી ઇચ્છતી કે તેની પર્સનલ લાઇફની વાતો તેનાં ફિલ્મના પ્રમોશન પર છવાઈ જાય. બીજી તરફ સિદ્ધાર્થ હાલ તુર્કીમાં છે અને તે રોહિત શેટ્ટીની ઓટીટી સિરિઝ પર ફોક્સ કરી રહ્યો છે. આ યુગલે ક્યારેય તેમના સંબંધોનો જાહેર સ્વીકાર કર્યો ન હતો અને એટલે જ બન્ને બ્રેકઅપના સમાચાર વિશે પણ ચુપકિદી સેવી રહ્યાં છે.