બોલીવૂડના સિનિયર એક્ટર ગોવિંદ નામદેવે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં સુપરસ્ટાર શાહરુખ ખાનની કામ પ્રત્યેની ધગશને લઈને ભરપૂર પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું હતું કે શાહરુખ ખાન એકમાત્ર એવો કલાકાર છે કે જે કોઈ પણ પ્રકારની ફરિયાદો વગર 24 કલાક કામ કરી શકે છે. ગોવિંદ નામદેવે વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની’માં શાહરુખની સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં નામદેવે મુખ્યમંત્રીની ભૂમિકા ભજવી હતી. અજીજ મિર્ઝાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હીટ સાબિત થઇ હતી. ગોવિંદે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે બોલિવૂડમાં એક જ માણસ છે કે જે 24 કલાક કામ કરવા તૈયાર હોય છે. માત્ર 3-4 કલાક સુવે છે, તેમાં દંડબેઠક પણ કરી લે છે. ઉદઘાટન પણ કરી લે છે. ડાયલોગ પણ યાદ કરી લે છે અને કોઇક સ્થળ પર પરફોર્મન્સ પણ કરી આવે છે.
મને આશ્ચર્ય થાય છે કે આ કેવો માણસ છે. શાહરુખ ખાનની બિઝી શેડયુલ ધરાવતો હોવા છતાં જરા પણ રોકાયા વગર કામ કરવાની ક્ષમતાની પ્રસંશા કરતાં ગોવિંદ નામદેવે એમ પણ જણાવ્યું હતું કે શાહરુખને કરોડરજ્જુની તકલીફ છે અને તેની તબિયત ઠીક રહેતી ના હોવા છતાં ક્યારેય રેસ્ટ કરવાનું નામ લેતો નથી. કામ પ્રત્યેની તેની સમર્પણની ભાવના સહુ કોઇને આશ્ચર્યચકિત કરી દે છે.


