કોરોનાના કારણે થયેલા લોકડાઉનમાં અભિનેતા સોનુ સૂદે પરપ્રાંતીયોને તેમના વતન પહોંચાડવામાં ઘણી મદદ કરી હતી. તેણે હજારો મજૂરોને બસ, ટ્રેન અને ફ્લાઇટ દ્વારા ઘરભેગા કર્યા હતા. હવે લોકડાઉન હળવો થયો હોવા છતાં પણ હજી સોનુનું કામ અટક્યું નથી. હવે તે વિદેશમાં ભણી રહેલા અને ફસાયેલા વિદ્યાર્થીઓને સ્વદેશ લાવવા તેણે મહેનત શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર આ વાત શેર કરતાં સોનુએ જણાવ્યું હતું કે, હું એક ચાર્ટર ફ્લાઇટ દ્વારા કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકથી ભારતીય વિદ્યાર્થીઓને ભારત પાછા લાવી રહ્યો છું. તેણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, કિર્ગીસ્તાનમાં રહેલા તમામ છાત્રોને સૂચિત કરાયા છે કે હવે તમારો ઘરે પાછા ફરવાનો સમય આવી ગયો છે. બિશ્કેકથી વારાણસીની પહેલી ચાર્ટર ફ્લાઇટ ઉપડશે એમ તેણે જણાવ્યું હતું. કુલ બે ફ્લાઈટ ત્યાંથી ઉપડશે તેવું જણાવ્યું હતું. અન્ય રાજ્યો માટે પણ ચાર્ટર ફ્લાઇટ ચલાવામાં આવશે. તેવું સોનુએ જણાવ્યું હતું. સોનુ તરફથી આ સમાચાર મળતાં જ સ્ટુડન્ટસ અને પેરન્ટસ ઇમોશનલ થઇ ગયા છે અને સોનુ માટે દુવાઓ આપી રહ્યા છે.