‘ધાકડ’ અને ‘ક્વિન’ જેવાં બિરુદ ધરાવતી કંગના રણૌતે હવે ‘ઇમરજન્સી’ની તૈયારી શરૂ કરી છે. ફિલ્મમાં કંગના ખુદ પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનો રોલ કરવાની છે. જ્યારે અટલ બિહારી વાજપેયીના રોલ માટે શ્રેયસ તલપડેનું નામ ફાઇનલ થયું છે. તો અનુપમ ખેર જયપ્રકાશ નારાયણનો રોલ કરવાના છે.
ફિલ્મમાં પોતાના કેરેક્ટરનું પોસ્ટર શેર કરતાં શ્રેયસે જણાવ્યું હતું કે, સાચા દેશભક્ત અને લોકનાયક ભારતરત્ન અટલ બિહારી વાજપેયીનો રોલ કરવો તે ગૌરવની વાત છે. ‘ઇમરજન્સી’ ફિલ્મમાં કંગના લીડ એક્ટર ઉપરાંત ડિરેક્ટર અને પ્રોડ્યુસરની જવાબદારી પણ સંભાળવાની છે. ટીમમાં શ્રેયસના સમાવેશ અંગે કંગનાએ જણાવ્યું હતું કે, ઇન્દિરા ગાંધી પ્રથમ વખત વડાં પ્રધાન બન્યા ત્યારે અટલ બિહારી વાજપેયી યુવાન અને ઊભરતાં નેતા હતા. તેઓ ઇમરજન્સી સમયના હીરો હતા. ફિલ્મમાં વાજપેયીજીનો રોલ સૌથી વધુ યાદગાર રહેશે અને આ રોલ શ્રેયસ તલપડે જેવા વર્સેટાઇલ એક્ટરના મળવાથી હું ખુશ છું. અટલ બિહારી વાજપેયીની બાયોગ્રાફી ‘ધ અનટોલ્ડ વાજપેયી એન્ડ પેરોડોક્સ’ના આધારે એક ફિલ્મ બની રહી છે. ‘મૈં રહું યા ના રહું, દેશ રહેના ચાહિએ’ ફિલ્મને 2023માં વાજયેયીની 99મી જન્મજયંતીએ રિલીઝ કરવાનો પ્લાન છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અટલ બિહારી વાજપેયીના રોલ કરી રહ્યો છે. કંગનાની ફિલ્મમાં શ્રેયસ તલપડે યુવાન વાજપેયીને રજૂ કરશે. જ્યારે પંકજ ત્રિપાઠી પીઢ રાજપુરુષનો રોલ કરવાના છે.