મુંબઇ: પેરેલલ સિનેમાના ઉમદા અભિનેતા રણજિત ચૌધરી (ઉં ૬૪)એ ૧૫મી એપ્રિલે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. તેમની અંતિમ ક્રિયા બીજા દિવસે ખૂબ જ ઓછા લાકોની હાજરીમાં કરાઈ હતી. લોકડાઉન પૂરું થયા પછી તેમની પ્રાર્થનાસભા પાંચમી મેએ રાખવાનું આયોજન કરાયું હોવાની જાહેરાત કરાઈ છે.
૧૯૭૮ની ફિલ્મ ‘ખટ્ટા મીઠા’થી રણજિતે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ‘બાતોં બાતોં મેં’, ‘ખૂબસૂરત’ અને ‘કાલિયા’ જેવી ફિલ્મો સહિત ૪૦થી વધુ ફિલ્મોમાં અને ટચૂકડા પડદા પરના શોમાં પણ અભિનય આપ્યો હતો. મશહૂર અભિનેત્રી પર્લ પદમશીના પુત્ર રણજિતનો જન્મ પર્લના પ્રથમ લગ્નથી થયો હતો. રણજિત ન્યૂ યોર્કમાં રહેતા હતા અને તેમના પરિવારમાં પત્ની અને ૧૬ વરસનો પુત્ર છે. રણજિત મુંબઇમાં દાંતની ટ્રીટમેન્ટ માટે આવ્યા હતા અને ડિસેમ્બર મહિનાથી ભારતમાં હતા. ૮મી એપ્રિલે તેઓ ન્યૂ યોર્ક જવાના હતા, પણ લોકડાઉનના કારણે તે ફસાઇ ગયા હતા. છેલ્લે અલ્સરની તકલીફ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરીને સર્જરી કરાઈ હતી, પરંતુ ૧૫મી એપ્રિલે સવારે ૪.૦૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.