જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણશાલીએ તેમની બહુચર્ચિત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને સમર્પિત કરી છે. ફિલ્મના પ્રારંભે જ આ બાબતનું લખાણ ઉમેરાયું છે. સંજયે જણાવ્યું કે, લતાજીની અસીમ કુશળતાઓને આ નાનકડા પ્રયાસ દ્વારા અંજલિ આપીએ છીએ. બર્લિન ફિલ્મોત્સવમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું પ્રીમિયર યોજાવાનો છે. આ માટે ફિલ્મ મોકલતા અગાઉ તેમાં છેલ્લી ઘડીએ આ સુધારો કરાયો છે. નોંધનીય છે કે બર્લિન ફિલ્મોત્સવમાં હાજરી આપવા માટે સંજય અને આલિયા ભટ્ટ બંને જવાના છે.
આલિયાએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. હાલમાં આ ફિલ્મનું ‘ઢોલીડા...’ ગીત લોન્ચ થયું છે અને તે ખૂબ વાયરલ થયું છે. ગીતમાં આલિયાને ગરબા ગાતી જોઈને તેના ચાહકો ખુશ થઈ ગયા છે. ફિલ્મના સંગીતકાર સંજય ખુદ છે અને તેમણે કહ્યું કે આ ગીતમાં લતાજી પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત થાય છે. હું જ્યારે પણ ગીતને સંગીતબદ્ધ કરું છું ત્યારે મનોમન લતાજીને યાદ કરતો હોઉં છું. ગાયિકાઓને પણ તેમની જેમ ગાવાનું કહું છું. હું ફિલ્મ બનાવતો રહીશ ત્યાં સુધી તેઓ મારા પ્રેરણાસ્રોત અને માર્ગદર્શક બની રહેશે.
અસ્થિ ફૂલનું વિસર્જન
લતા મંગેશકરના અસ્થિ ફૂલનું ૧૨ ફેબ્રુઆરીએ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાના દરિયામાં વિસર્જન કરાયું હતું. આ વખતે લતાદીદીનાં બહેનો ઉષા મંગેશકર અને મીના ખડીકર તેમજ અન્ય કુટુંબીજનો હાજર રહ્યા હતા. આના ત્રણ દિવસ પૂર્વે નાસિક ખાતે ગોદાવરી નદીમાં પણ અસ્થિ ફૂલનું વિસર્જન કરવામાં આવ્યું હતું. હવે લતા મંગેશકરની કર્મભૂમિ મુંબઈના સમુદ્રમાં સદગતના અસ્થિ ફૂલ વહાવવામાં આવ્યા છે.