છેલ્લા ૧૩ વર્ષથી લોકોને એકધારું મનોરંજન પૂરું પાડી રહેલી ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં’ સિરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતાં દિલીપ જોશીને અન્ય કો-સ્ટાર સાથે વૈચારિક મતભેદ હોવાની વાતોએ તાજેતરમાં સોશિયલ મીડિયા બજારને ગરમ કરી નાંખ્યું હતું. જોકે જેઠાલાલે આ મામલે મૌન તોડીને આવી બધી વાતોને અફવાઓ ગણાવી તેના પર ટાઢું પાણી રેડી ચર્ચાનો અંત આણ્યો હતો. વર્ષોથી એક જ પાત્રમાં જોવા મળતા દિલીપ જોશી તેને મળી રહેલી ઓફર વિશે કહે છે કે ‘મને વેબ શોની ઓફર તો મળે છે પરંતુ હાલમાં હું જેઠાલાલની ભૂમિકા ભજવીને ખુશ છું. ભવિષ્યમાં તે આવી ઓફર અંગે વિચારી શકે છે.’ દિલીપ જોશી કહે છે કે જેઠાલાલ આજે પણ એક ઘણું જ સુંદર પાત્ર છે. તે જ્યારે પણ બહાર જાય છે ત્યારે ચાહકો તેને ભરપૂર પ્રેમ આપે છે. તેઓ શોને ચાલુ રાખવાની વિનંતી કરે છે. આ એકદમ સરળ પાત્ર છે અને તેથી જ તે સફળ છે. દિલીપ જોશીએ ટીમ મેમ્બર્સ સાથેના વિવાદ વિશે વાત કરતાં કહ્યું કે કે અમે ૧૩ વર્ષથી એક સાથે કામ કરી રહ્યા છીએ. જ્યારે લોકો અમારી વચ્ચે મતભેદ અંગે વાત કરે છે ત્યારે હું હસી પડું છું. અમારી ટીમ ગ્રેટ છે અને એટલે જ અમે આટલું સારું કામ કરી રહ્યાં છીએ.