બોલિવૂડના હી-મેન ધર્મેન્દ્ર ફિલ્મોમાં મારધાડ કરવા માટે જાણીતા છે, પરંતુ રિયલ લાઈફમાં તેઓ વિવાદથી દૂર રહેવાનું પસંદ કરે છે. ધર્મેન્દ્રએ તાજેતરમાં મૂકેલી એક પોસ્ટની ભાષામાં કટાક્ષ તો છે જ, પરંતુ તેમાં ગુસ્સો પણ જોવા મળે છે. તેમણે જાણીતા ગીતકાર-લેખક જાવેદ અખ્તરને આડે હાથ લીધા છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન અખ્તરે કરેલા દાવાને ધર્મેન્દ્રએ કવિની અદાથી ખોટા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, ‘દિખાવે કી ઈસ દુનિયા મેં હકીકત દબી રહે જાતી હૈ...’ અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ 11 ઓક્ટોબરે ઉજવાયો હતો. આ પ્રસંગે જાવેદ અખ્તરે એક ઈન્ટરવ્યૂમાં બિગ બીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ઝંઝીર’ની વાત કરી હતી. જાવેદે જણાવ્યું હતું કે, ફિલ્મ માટે અમિતાભ પહેલી પસંદ નહોતા. તે સમયે ધર્મેન્દ્ર સહિત ઘણાં સ્ટાર્સે આ ફિલ્મ માટે ઈનકાર કર્યો હતો કારણ કે, તે સમય રોમેન્ટિક ફિલ્મોનો અને રાજેશ ખન્નાનો હતો. જ્યારે ‘ઝંઝીર‘માં હીરોનું કેરેક્ટર ગુસ્સાવાળું હતું. પ્રકાશ મેહરા પાસે સ્ક્રિપ્ટ તૈયાર હતી, પરંતુ હીરો ન હતો. ફિલ્મની સ્ક્રિપ્ટ ધર્મેન્દ્રને ધ્યાનમાં રાખીને લખાઈ હતી. જોકે કોઈ સ્ટાર આ ફિલ્મ માટે તૈયાર ન હતો. છેલ્લે અમિતાભની લીડ રોલ માટે પસંદગી થઈ હતી.
જાવેદ અખ્તરના ઈન્ટરવ્યૂની ઈમેજ સાથે ધર્મેન્દ્રે સોશિયલ મીડિયા પર વળતો જવાબ લખ્યો હતો . પોતાના ગુસ્સાને વ્યંગાત્મક રીતે રજૂ કરતાં તેમણે લખ્યુ હતુંઃ જાવેદ કેમ છે... દિખાવે કિ ઈસ દુનિયા મૈં હકીકતેં દબી રહ જાતી હૈં. જીતે રહો... દિલોં કો ગુદગુદાના ખૂબ આતા હૈં. કાશ સર ચડ કે બોલને કા જાદુ ભી સીખ લિયા હોતા.