‘દોસ્તાના-ટુ’માંથી કાર્તિક આર્યનની હકાલપટ્ટી

Wednesday 21st April 2021 05:16 EDT
 
 

બોલિવૂડના નવી પેઢીના સિતારાઓની યાદીમાં કાર્તિક આર્યને પોતાનું સ્થાન જમાવી દીધું છે. બેક ટુ બેક હિટ ફિલ્મો આપીને અભિનેતાએ એ ગ્રેડ સ્ટાર્સની યાદીમાં એન્ટ્રી પણ લીધી. તેમ છતાં તેને કરણ જોહરની આગામી ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. કહેવાય છે કે, ધર્મા પ્રોડકશને કાર્તિકને પોતાની ફિલ્મ ‘દોસ્તાના-ટુ’માંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, કાર્તિકે આ ફિલ્મનું ૨૦ દિવસનું શૂટિંગ પણ કરી લીધું હતું. વાત અહીં પૂરી નથી થતી. ચર્ચા તો એવી પણ ચગી છે કે કરણ જોહરના ધર્મા પ્રોડકશનમાંથી કાર્તિક આર્યનને કાયમ માટે હાંકી કાઢવામાં આવ્યો છે. હવે પછી ભવિષ્યમાં કાર્તિક આર્યન ધર્મા પ્રોડકશનની કોઇ પણ ફિલ્મમાં જોવા નહીં મળે.  ધર્મા પ્રોડકશન સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર, આ સ્થિતિ માટે કાર્તિક ખુદ જવાબદાર છે. કાર્તિકને વારંવાર કહેવા છતાં પણ તે ‘દોસ્તાના-ટુ’ના શૂટિંગ માટે તારીખ આપતો નહોતો. આ દરમિયાન તેણે બીજા એક પ્રોડક્શન હાઉસની ફિલ્મનું શુટિંગ પણ પૂરું કરી નાંખ્યું હતું. તેણે સ્ક્રિપ્ટ વાંચીને ફાઇનલ કરી હોવા છતાં તે સતત તેમાં સુધારાવધારા કરાવતો હતો. કાર્તિકના આ અભિગમથી ધર્મા પ્રોડક્શનને આશરે ૨૦ કરોડ રૂપિયાનું નુકસાન થયાનું મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter