દેશભક્તિની થીમ પરની ટીવી સિરિયલોના કારણે એક સમયે ‘મિની મનોજ કુમાર’નું બિરુદ મેળવનારા પીઢ નિર્માતા અને અભિનેતા ધીરજ કુમારનું 80 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી ન્યુમોનિયાથી પીડાતા હતા. એક સમયે ટેલેન્ટ હન્ટમાં રાજેશ ખન્ના અને સુભાષ ઘઈ સાથે ફાઈનલિસ્ટ તરીકે ઉભરી આવેલા ધીરજ કુમારને ફિલ્મોમાં જોકે હંમેશાં સહાયક ભૂમિકાઓ જ મળી હતી. મનોજ કુમારની ‘રોટી, કપડા ઔર મકાન’ તથા ‘ક્રાંતિ’ બંનેમાં તેમની ભૂમિકાઓ હતી. તેમણે નિર્માતા તરીકે 'કહાં ગયે વોહ લોગ' ટીવી શો બનાવી ભારે પ્રશંસા મેળવી હતી. તેમની 'ઓમ નમઃ શિવાય' સહિતની સિરિયલો પણ હિટ થઈ હતી. હિંદી ટીવી અને સિને જગત ઉપરાંત પંજાબી ફિલ્મોમાં પણ તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.