મુંબઈઃ ઈમ્તિયાઝ અલી ‘તાજ’એ ૧૯૨૨માં લાહોરમાં ‘અનારકલી’ નામની એક નવલકથા લખી હતી. આ નવલકથાનું મુખ્ય પાત્ર મોગલ દરબારની એક નર્તકી અનારકલી હતી અને અનારકલીની આસપાસ જ વાર્તા ફરતી હતી. જોગાનુજોગ એ જ વર્ષે ઉત્તર પ્રદેશના ઈટાવા ડો. ફઝલ કરીમને ત્યાં એક બાળકનો જન્મ થયો જેનું નામ રાખ્યું કરીમુદ્દીન આસિફ. એ બાળક માત્ર ૨૨ વર્ષની વયે મુંબઈ આવ્યા. એ પછી કે. આસિફ નામે મહાન દિગ્દર્શક તરીકે ઓળખાયા. કુદરતે પણ કે. આસિફને સાથ આપ્યો અને ‘હલચલ’ (દિલીપ કુમાર) અને ‘ફૂલ’ (પૃથ્વીરાજ) જેવી ફિલ્મો બનાવ્યા પછી તેમણે બાળપણમાં વાંચેલી ઈમ્તિયાઝ અલીની ‘અનારકલી’ની વાત યાદ આવી. ૧૯૪૫માં તેમણે નરગીસ, સપ્રુ અને ચંદ્રમોહન સાથે ફિલ્મ ‘મોગલે આઝમ’ની શરૂઆત કરી. આ ફિલ્મના ફાઈનાન્સર શિરાજ અલી હકીમ હતા. જેમણે ફેમસ સિને લેબ બનાવી હતી. જોકે કમનસીબે દેશના ભાગલા પડ્યા અને હકીમ સાહેબ પાકિસ્તાન જતા રહ્યા. આસિફે ફરીથી ફિલ્મ બનાવવા નક્કી કર્યું, પરંતુ અનારકલી માટે નરગીસ અને નૂતને ના પાડતાં અંતે મધુબાલાને એ ભૂમિકા માટે પસંદ કરવામાં આવી. શહેઝાદા સલીમ માટે આસિફે દિલીપકુમાર વિશે વિચાર કર્યો નહોતો, પરંતુ તેમની નફીસ ઊર્દૂના કારણે અંતે તેઓ જ પસંદ થયા.
હિન્દીમાં ફિલ્મોમાં જ્યારે હીરોને ઓછો ફૂટેજ મળે અથવા બિનપ્રભાવી ડાયલોગ મળે ત્યારે ડાયરેક્ટર સાથે તકરાર કરે છે. દિલીપકુમારે પણ અકબરના પાત્રને જે ભવ્યતાથી આસિફે દર્શાવ્યા તેની સામે મહાન દિલીપકુમારે પણ વાંધો લીધો હતો. જોકે આસિફે એમ કહી તેમને શાંત કરી દીધા હતા કે, હું ‘અકબરે આઝમ’ બનાવું છું. ‘સલીમે આઝમ’ નહીં. પરિણામે દિલીપ કુમાર શાંત પડી ગયા હતા.
કે. આસિફે ‘પ્યાર કિયા તો ડરના ક્યા?’ ગીતનું ચિત્રણ કર્યું કે, વિદેશીઓ પણ મોંમાં આંગળા નાંખી ગયા. ફિલ્મમાં રાત્રે તાનસેન ગાયડી છેડે છે. ચોથીએ આ ફિલ્મને રિલીઝ થયે ૬૦ વર્ષ પૂર્ણ થયાં. આ ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ હતી તેમાં રંગ ભરીને પણ પછીથી રજૂ કરાઈ હતી. જોકે દર્શકોને તો તે બંને સ્વરૂપે પસંદ પડી હતી.