આમિર ખાન અભિનિત ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂરું કરવા નિર્માતાએ કમર કસી છે. ચંડીગઢ, અમૃતસર, રાજસ્થાનમાં ફિલ્મનું ૬૦થી ૭૦ ટકા શૂટિંગ પૂરું થઇ ગયું છે. બાકીનું શૂટિંગ કરવા માટે મેકર્સે વિદેશ જવા નિણર્ય કર્યો છે.
‘આમિર ખાન ફિલ્મ્સ’માંથી સમાચાર છે કે, કરીના કપૂરથી લઈને ફિલ્મના અન્ય એક્ટર્સની પાસપોર્ટ ડિટેલ્સ મંગાવાઈ છે. લગભગ ૧૪મી ઓગસ્ટ સુધીમાં આ અંગેની જરૂરી કાર્યવાહી પૂરી કરી લેવાશે. ત્યાં સુધીમાં ભારતમાં કોરોનાની વેક્સિન અંગેના સારા સમાચાર આવે અને તેનો ઉપયોગ થઈ શકે તેમ છે કે નહીં? તે પણ નક્કી થશે. એ સિવાય વૈકલ્પિક રીતે સપ્ટેમ્બરમાં એવા યુરોપિયન દેશોમાં શૂટિંગ માટે મંજૂરી મેળવવામાં આવશે કે જ્યાંની ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સની સગવડ મળી રહે અને કોરોનાનો ભય પણ નહિવત્ હોય. ટ્રાવેલિંગ સ્ટ્રેટેજી સંપૂર્ણ કાયદેસર અને કોરોના અંગેની દેશની અને વૈશ્વિક ગાઈડલાઈન પ્રમાણે નક્કી કરાશે. ટીમમાં મોટા ભાગના લોકોનું માનવું છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખતા ચાર્ટડ પ્લેન બુક કરીને લોકેશન પર જવાશે. ‘આમિર ખાન ફિલ્મ્સ’ની ટીમમાંથી સમાચાર છે કે હાલ આમિર ખાન પંચગનીમાં છે અને શૂટિંગના મામલે આમિર ખાન સતત સંપર્કમાં છે.