ભારત વિરોધી ગતિવિધિઓમાં આતંકવાદીઓને પ્રોત્સાહન આપનારા પાડોશી દેશ પાકિસ્તાનમાં હવે હું ક્યારેય ગીતોની પ્રસ્તુતિ આપવા નથી જવાનો એવી જાહેરાત લોકપ્રિય ગાયક અનુપ જલોટાએ તાજેતરમાં કરી છે. પાડોશી દેશ પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મેં કસમ ખાધી છે કે હું પાકિસ્તાન જઈને ક્યારેય ગીત નથી ગાવાનો. જે દેશની સરહદેથી આપણી જમીન પર આતંકી ઘૂસણખોરી થતી હોય અને આપણા જવાનો શહીદ થતાં હોય એવા દેશ સાથે કોઈપણ સંબંધ રાખવામાં મને રસ નથી. તેઓ મને ગમે તેટલા રૂપિયાની ઓફર કરે તોય હું પાકિસ્તાનમાં પ્રોગ્રામ નહીં કરું. હું ત્યાંના દર્શકોનું મનોરંજન શા માટે કરું? જ્યારે તે દેશને પાડોશી દેશના લોકોની ચિંતા જ નથી. ૬૩ વર્ષીય ગાયક જલોટાએ એવું પણ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સાથેના અત્યાર સુધીના દરેક સંબંધો પ્રત્યે પણ નકારાત્મક્તા જ છે. હાલમાં જ મને ત્યાંનું આમંત્રણ હતું, પણ હું ત્યાં નથી ગયો. અલબત્ત, ભવિષ્યમાં પણ ક્યારેય તે ધરતી પર હું પગ નથી મૂકવાનો.