મુંબઈ: ‘મૈને પ્યાર કિયા’માં સલમાન ખાન સાથે જોડી જમાવનારી હિરોઈન ભાગ્યશ્રીએ તાજેતરમાં ઘોષણા કરી છે કે, તે રૂપેરી પડદે કમબેક કરી રહી છે. જોકે તેના ફિલ્મના નામની હજી કોઇ ઘોષણા થઇ નથી. જોકે તે જાણકારી આપવામાં આવી છે કે તે અભિનેતા પ્રભાસ સાથે કામ કરતી જોવા મળશે.
એક ઇન્ટરવ્યુમાં ભાગ્યશ્રીએ કહ્યું છે કે, મેં ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી હતી અને મને પસંદ આવી હતી. પ્રભાસ સાથેની એક ફિલ્મ જેના નામની હજી ઘોષણા થઇ નથી તેમાં હું કામ કરી રહી છું. લોકડાઉન શરૂ થયા પહેલાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું.
ભાગ્યશ્રીએ વધુમાં કહ્યું હતું કે, આ એક રસપ્રદ પાત્ર છે અને મને ભજવવાનો આનંદ આવશે. મારો પુત્ર અભિમન્યુ અને પુત્રી અવંતિકા મને કારકિર્દી ફરી શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. ઉપરાંત મને પણ અભિનયનો શોખ હોવાથી મેં હવે કામ કરવાનું શરૂ કર્યું છે. મને લાગે છે કે હું ફરી એકટિંગનો આનંદ લઇ શકીશ તેમજ મારા પરિવારની પણ દેખરેખ રાખી શકીશ.