અમદાવાદ: આઇપીએલની 19મી સિઝનનો ફાઈનલ મુકાબલો રવિવાર - 31 મેના રોજ અમદાવાદમાં ખેલાવાનો છે. આ જ દિવસે આઇસીસીની વાર્ષિક બોર્ડ મિટિંગનું આયોજન પણ કરાયું છે. આઇસીસીની મિટિંગમાં સામાન્ય રીતે તમામ ક્રિકેટ બોર્ડના વડા ભાગ લેતા હોય છે. અમદાવાદમાં યોજાનારી આઇસીસીની આ મિટિંગમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસીન નકવી વર્ચ્યુઅલી ભાગ લેવાના છે. નોંધપાત્ર છે કે, નકવી પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રી પણ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તનાવભર્યા સંબંધોને જોતા નકવી અમદાવાદમાં યોજાનારી મિટિંગમાં હાજરી આપે તેવી શક્યતા નથી. આઇસીસીનું હેડ ક્વાર્ટર દુબઈમાં છે અને આઈસીસીની બોર્ડ અને કમિટિની મિટિંગ માર્ચ મહિનામાં કતારના દોહામાં યોજાવાની હતી. જોકે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે સર્જાયેલી તનાવભરી સ્થિતિને પરિણામે આ મિટિંગને સ્થગિત કરવી પડી હતી. હવે મિટિંગને અમદાવાદમાં ખસેડવામાં આવી છે.
અગાઉ રિપોર્ટ હતા કે, પાકિસ્તાન બોર્ડના ચેરમેન મોહસીન નકવીને અમદાવાદમાં રમાનારા આઈપીએલની ફાઈનલમાં હાજર રહેવાનું આમંત્રણ પણ મળ્યું છે. જોકે આ મામલે હવે સ્પષ્ટતા થઈ ચૂકી છે કે, નકવીને ભારત તરફથી આઈપીએલની ફાઈનલમાં હાજર રહેવાનું કોઈ આમંત્રણ નથી.


