દુબઇ: ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલે બીજી વાર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચેરમેન તરીકે ચૂંટાયા છે. ચેરમેન પદની ચૂંટણીમાંથી ઝિમ્બાબ્વેના તાવેંગ્વા મુકુહલાનીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા બાર્કલે બિનહરીફ ચૂંટાયા હતા. બાર્કલેનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. બાર્કલે સાથે જ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહ આઇસીસીની શક્તિશાળી ફાઈનાન્સ એન્ડ કોમર્શિયલ કમિટીના વડા તરીકે ચૂંટાયા છે. આ કમિટી આઇસીસીના બોર્ડ બાદ સૌથી મોટો અને મહત્ત્વપૂર્ણ વિભાગ છે. આ કમિટી આઇસીસીનું વાર્ષિક બજેટ નક્કી કરવાની સાથે રેવન્યૂ શેરિંગ મોડલ, સ્પોન્સરશિપ અને અન્ય રાઈટ્સ મુદ્દે નિર્ણયો લેતી હોય છે. ફાઈનાન્સ અને કોમર્શિયલ કમિટીના વડા આઇસીસી બોર્ડના સભ્ય રહે છે. આમ જય શાહનું કમિટીના વડા તરીકે ચૂંટાવવાનો અર્થ થાય છે કે તેઓ આઈસીસી બોર્ડમાં બીસીસીઆઇનું પ્રતિનિધિત્વ કરશે. આઇસીસીની મહત્ત્વપૂર્ણ કમિટીના વડા બન્યા અગાઉ જય શાહ એપ્રિલ 2022માં એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા તરીકે ચૂંટાયા હતા.