મિરપુરઃ ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માના ૮૩ અને હાર્દિક પંડ્યાના ૩૧ રન સાથેની આક્રમક બેટિંગ બાદ આશિષ નહેરાની (ત્રણ વિકેટ) વેધક બોલિંગની મદદથી ભારતે એશિયા કપની પહેલી મેચમાં યજમાન બાંગ્લાદેશ સામે ૪૫ રને આસાન વિજય મેળવ્યો હતો. આ સાથે ભારતે ટી૨૦ મેચમાં વિજયકૂચ જારી રાખી છે.
બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ દાવ આપ્યો હતો. ભારતે છ વિકેટના ભોગે ૧૬૬ રન બનાવ્યા હતા જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ સાત વિકેટે ૧૨૧ રન બનાવી શકી હતી.
અગાઉ યજમાન ટીમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશના કેપ્ટનના નિર્ણયને યોગ્ય ઠેરવતા બોલરોએ વેધક બોલિંગ કરતા ભારતીય બેટ્સમેનોને રન માટે ઝઝૂમવું પડ્યું હતું.