અમદાવાદઃ ટી20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને કારમો પરાજય આપીને ત્રીજી વખત ટ્રોફી પોતાના નામે કરી છે. આ શાનદાર અને યાદગાર વિશ્વવિજયમાં ચાર ગુજરાતીનો સિંહફાળો રહ્યો છે. મેદાન પર જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડયાએ બોલ તથા બેટથી તરખાટ મચાવીને વિરોધી ટીમોને પરાસ્ત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું, તો ડ્રેસિંગ રૂમમાં સૌરાષ્ટ્રના વતની બેટિંગ કોચ સિતાંશુ કોટકે બેટ્સમેનોને માનસિક રીતે મજબૂત કરી રણનીતિ ઘડી દેશને ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
• હાર્દિક પંડ્યા: બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં ઓલરાઉન્ડ પ્રદર્શનથી ભારતને જીત અપાવી
વડોદરાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન બેટ અને બોલ બંનેથી મેચ વિનિંગ ઈમ્પેક્ટ ઊભી કરી હતી. ફાઇનલ મેચ અગાઉ પણ દબાણવાળી પરિસ્થિતિમાં હાર્દિકે પોતાના અનુભવનો શાનદાર ઉપયોગ કરીને ટીમને સ્થિરતા પ્રદાન કરી હતી. મુશ્કેલ સમયે વિકેટ લેવાની તેની ક્ષમતા અને ડેથ ઓવર્સમાં આક્રમક બેટિંગે ભારતને ચેમ્પિયન બનાવવામાં ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવી છે.
• જસપ્રીત બુમરાહ: ઘાતક બોલિંગથી વિરોધીઓના હોશ ઉડાવ્યા
અમદાવાદના લોકલ બોય જસપ્રીત બુમરાહે ફાઇનલ મેચમાં ઘાતક બોલિંગ કરીને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોની કમર તોડી નાખી હતી. બુમરાહે પોતાના સ્પેલમાં માત્ર 15 રન આપીને ચાર મહત્વપૂર્ણ વિકેટ ઝડપી, જે ભારતની જીતનું મુખ્ય કારણ બની. સમગ્ર ટૂર્નામેન્ટમાં તેના યોર્કર અને ચોક્કસ લાઇન-લેન્થનો કોઈ જ બેટ્સમેન સામનો કરી શક્યો ન હતો. દબાણના સમયે વિકેટ કાઢવાની તેની અદભુત ક્ષમતાએ ભારતને દરેક મેચમાં વિજય તરફ દોરી જવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે.
• અક્ષર પટેલ: સ્પિનના જાદુથી કિવી બેટ્સમેનોને પરાસ્ત કર્યા
નડિયાદના ડાબોડી સ્પિનર અક્ષર પટેલે ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં પોતાની ફરકીનો જાદુ ચલાવ્યો હતો. તેણે 27 રન આપીને ત્રણ અમૂલ્ય વિકેટ ઝડપી હતી, જેના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ મોટા લક્ષ્યાંક સામે સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી. સમગ્ર વર્લ્ડ કપમાં અક્ષર પટેલે બેટ અને બોલ બંને ક્ષેત્રે શાનદાર સંતુલન જાળવી રાખ્યું હતું. મુશ્કેલ સમયમાં જ્યારે પણ ટીમને ભાગીદારી તોડવાની જરૂર પડી, ત્યારે અક્ષરે પોતાની જબરદસ્ત બોલિંગથી મેચનું પાસું પલટી નાખ્યું.
• સિતાંશુ કોટક : ફિયરલેસ બેટિંગનાં તમામ પાસાં શીખવ્યા
સૌરાષ્ટ્રના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકની પડદા પાછળની ભૂમિકા અદભુત રહી છે. કોટકે વર્લ્ડ કપ પહેલા અને ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય બેટ્સમેનોને માનસિક રીતે અત્યંત મજબૂત બનાવ્યા હતા. ખાસ કરીને સ્પિનરો સામે કેવી રીતે આક્રમક બેટિંગ કરવી અને દબાણના સમયે વિકેટ બચાવીને કઈ રીતે મોટો સ્કોર બનાવવો, તેની સચોટ રણનીતિ તેમણે જ ઘડી હતી.


