અમદાવાદઃ ભારતીટ ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયનશીપમાં શાનદાર જીતનો શ્રેય ચાર દિગ્ગજોને આપ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે આ ટ્રોફી પૂર્વ કોચ રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, ચીફ સિલેક્ટર અજિત અગરકર અને બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી જય શાહને સમર્પિત કરી હતી. ગંભીરે જણાવ્યું કે દ્રવિડ અને લક્ષ્મણે સેન્ટર ઓફ એક્સેલન્સ (સીઓઇ) દ્વારા યુવા ખેલાડીઓ તૈયાર કરવામાં જે પડદા પાછળની ભૂમિકા ભજવી છે તે સરાહનીય છે. સાથે જ અનેક ટીકાઓ છતાં મજબૂત ચેમ્પિયન ટીમ પસંદ કરવા બદલ અગરકરની ઈમાનદારીના પણ ભારોભાર વખાણ કર્યા હતા.
આગામી લક્ષ્ય ઓલિમ્પિક મેડલ: સૂર્યા
વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કર્યુ છે કે ટીમની આ સફર અહીં અટકવાની નથી, પરંતુ હવે તેમનું આગામી લક્ષ્ય લોસ એન્જલસ ઓલિમ્પિક્સ (LA28)માં ગોલ્ડ મેડલ અને ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં યોજાનારો 2028નો ટી20 વર્લ્ડ કપ જીતવાનું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 255 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડને 159 રનમાં સમેટી લઈને 96 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો.


