લાહોરઃ ભારત સામેની 61 રને થયેલી કારમી હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ જગતમાં ભારે આક્રોશ અને નિરાશા જોવા મળી રહી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓએ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર વર્તમાન ટીમની આકરી ટીકા કરી છે.
પૂર્વ પેસ બોલર શોએબ અખ્તરે કહ્યું હતું કે 'તમે એવા ખેલાડીને (બાબર આઝમ) સુપરસ્ટાર બનાવી દીધો છે જે તમને મેચ જીતાડી શક્તો નથી. દુખની વાત એ છે કે એક સમયે આપણે મેદાન પર ભારત સામે લડતા હતા, અને આજે આપણે તેમને હરાવવાનું સપનું પણ જોઈ શકતા નથી.'
પૂર્વ કેપ્ટન શાહિદી આફ્રિદીએ કહ્યું હતું કે ‘જો મારે નિર્ણય લેવાનો હોય, તો હું બાબર આઝમ, શાહીન આફ્રિદી અને શાદાબ ખાનને પડતા મૂકું. આપણે લાંબા સમયથી જોઈ રહ્યા છીએ કે આ વરિષ્ઠ ખેલાડીઓ મોટી મેચોમાં પ્રદર્શન કરી શકતા નથી. હવે નવા ખેલાડીઓને તક આપવી જોઈએ.’
એક સમયના ઝંઝાવાતી બોલર વસીમ અક્રમે કહ્યું હતું ‘અમે હવે પાકિસ્તાનના પરાજય પછી એકની એક કોમેન્ટ કરીને થાકી ગયા છીએ. ખરું કહું તો મને - હવે પાકિસ્તાન હારે છે તે પછી સહેજ પણ દુઃખ નથી થતું કેમ કે હવે ટેવાઈ ગયો છું.’


