મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માએ તાત્કાલિક અસરથી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેણે ઇંગ્લેન્ડના પ્રવાસ પહેલાં આ સ્તબ્ધ કરે તેવો નિર્ણય લીધો છે. આમ ઇંગ્લેન્ડના પ્રવાસે ભારતીય ટીમ હવે નવા સુકાની સાથે જશે. ટેસ્ટ મેચોમાં રોહિત શર્મા અંગે લાંબા સમયથી વિવિધ ચર્ચાઓ થઇ રહી હતી. 38 વર્ષીય ઓપનર રોહિત પોતાની કારકિર્દીના બીજા ભાગમાં ભારતના સૌથી સફળ ટેસ્ટ બેટ્સમેનોમાંનો એક રહ્યો હતો. રોહિત વન-ડે ક્રિકેટ રમતો રહેશે. તે ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. રોહિતે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ રહ્યો છું તેની હું તમને જાણ કરી રહ્યો છું. રેડ બોલ ફોર્મેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું તે મારા માટે ઘણી સન્માનની બાબત છે. હું વન-ડે ક્રિકેટમાં રમતો રહીશ. રોહિતે 67 ટેસ્ટમાં 12 સદી અને 18 અડધી સદી વડે 40.57ની એવરેજથી 4301 રન બનાવ્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયા સામે વહર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ટીમની કેપ્ટનશિપ કરી હતી.
ટેસ્ટ ડેબ્યૂ પહેલાં જ ઈજા થઈ હતી
રોહિત શર્માનો ડેબ્યુ પણ રસપ્રદ રહ્યો હતો. તેણે 2010માં નાગુપર ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યુ કરવાનો હતો પરંતુ ટોસ પહેલાં જ તેને ઘુંટણમાં મચકોડ આવી ગઇ હતી. આ કારણથી તે ડેબ્યુ કરી શક્યો નહોતો. તેના ત્રણ વર્ષ બાદ રોહિતે 2013માં વેસ્ટ ઇન્ડિઝ સામે કોલકાતા ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. રોહિતે 177 રનની શાનદાર ઇનિંગ વડે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.
રન બનાવવા સંઘર્ષ
રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં સંઘર્ષ કરી રહ્યો હતો. બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં તે ફલોપ રહ્યો હતો. ત્યારબાદ 2024ના ડિસેમ્બર તથા 2025ના જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામેનો સૌથી નિરાશાજનક પ્રવાસ ખેડયો હતો. તે માત્ર એક જ વખત 50નો સ્કોર પાર કરી શક્યો હતો. ભારતે બાંગ્લાદેશ સામેની બંને ટેસ્ટ જીતી હતી પરંતુ ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 3-0થી પરાજય થયો હતો. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ ભારતે 3-1થી પરાજયનો સામનો કર્યો હતો.
તેંડુલકરે સોશિયલ મીડિયા પોસ્ટ લખી છે કે, મને યાદ છે કે 2013માં મેં તને ઈડન ગાર્ડન્સમાં ટેસ્ટ કેપ એનાયત કરી હતી. તે પછી એક સમયે વાનખેડેની બાલ્કનીમાં તારી સાથે સમય પસાર કર્યો હતો. તારી આ સફર યાદગાર બની રહી હતી.
પંતે લખ્યું કે, રોહિતની ઉપસ્થિતિ અને પ્રભાવની અસર ડ્રેસિંગ રૂમમાં હંમેશા માટે રહેશે. યુવા બેટ્સમેન ગીલે કહ્યું કે, રોહિતભાઈ સાથે રહીને મને જે કંઈ શીખવા મળ્યું છે, તે હું ક્યારેય ભુલી નહીં શકું. જયસ્વાલ-જુરેલ સહિતના ખેલાડીઓએ પણ રોહિતને શુભેચ્છા પાઠવી હતી.