હમણાં માનવીય સંબંધોના આટાપાટામાંથી સર્જાતા પરિવાર જીવનના કેટલાક પ્રસંગોની - ઘટનાઓની વાતો થતી હતી ત્યારે વિશેષ ભાર મુકાયો હતો શબ્દ પર, વાણી પર. બધા પોતાનો મત રજૂ કરતા હતા પણ એક વાતે સર્વસંમત હતા કે જીભ પર કંટ્રોલ જરૂરી છે. વાણી અમૂલ્ય છે, સમજી વિચારીને બોલવું જોઈએ. બને ત્યાં સુધી સામેની વ્યક્તિને હિતકારી લાગે એવું બોલવું જોઈએ. ઊંચા અવાજે, તોછડાઈથી, લુચ્ચાઈથી, દ્વૈષપૂર્ણ વાણી થકી કશું જ પ્રાપ્ત નથી થતું.
કબીર સાહેબનો જાણીતો દોહો છે
કાગા કાકો ધન હરે,
કોયલ કાકો દેત,
મીઠા શબ્દ સુનાઈ કે
જગ અપનો કરિ લેત...
મીઠા, સરળ, પ્રેમાળ શબ્દો એ અમૃતધારા છે. મનમાં, હૃદયમાં, ચિત્તમાં જે જે સંવેદના જાગે, લાગણીઓ ખળભળે ભાવ પ્રગટ થાય, એ શબ્દ દ્વારા, વાણી દ્વારા અભિવ્યક્ત થતા હોય છે. આપણે બોલીએ એ શબ્દ – વાક્ય – ક્યારેક અસ્ખલિત વહેતો પ્રવાહ... એના થકી વેગ મળે છે હૃદયની સંવેદનાને. વાણી થકી વહે છે વાત. એના થકી જ સર્જાય છે સંવાદ અને ક્યારેક વિવાદ, એના થકી જ વિકસે છે સમજણ અને ક્યારે ગેરસમજણ.
શબ્દ દરેક વ્યક્તિની અણમોલ સંપદા છે એનો ઉપયોગ યોગ્ય અને સાચી રીતે થાય તો એ સંબંધોનું વૈભવશાળી વિશ્વ રચી શકે અને જો યોગ્ય, સમજદારી સાથે, વિવેક સાથે ઉપયોગ ના થાય તો એ વ્યક્તિગત કે સામૂહિક વિનાશનું માધ્યમ પણ બની શકે. મેડિકલ સાયન્સ કહે છે કે જીભ પર થતી ઈજા જલ્દી મટે છે પરંતુ જીભ દ્વારા શબ્દોથી થતી ઈજાના ઘાવ કદાચ જીવનભર વેદના આપે છે, એથી તો કબીર સાહેબ લખે છેઃ
શબ્દ સમ્હારે બોલીયે,
શબ્દ કે હાથ ન પાઁવ,
એક શબ્દ ઔષધિ કરે,
એક શબ્દ કરે ઘાવ.
આપણા બધાનો અનુભવ છે કે શબ્દ – વાણી - અવાજ – સ્વર એવા હોવા જોઈએ જે બીજાને વિચલિત ના કરે, પરંતુ સ્થિરતા ને ધીરતા આપે. દઝાડે નહીં, પરંતુ શીતળતા આપે. રહીમ કહે છે ને,
ઐસી બાની બોલીયે,
મન કા આપા ખોય,
ઔરન કો શીતલ કરે
આપહુ શીતલ હોય.
શબ્દો અભિવ્યક્તિનું શ્રેષ્ઠ માધ્યમ છે, આપણે યાદ કરીએ, આપણે કોને ક્યારે અર્થપૂર્ણ અને પ્રેમપૂર્ણ શબ્દોથી ભરેલો પત્ર લખ્યો હતો? શાંત વાતાવરણમાં વાત કરી હતી? શબ્દ જ આપણને પહોંચાડે છે સામેની વ્યક્તિના હૃદય સુધી, એના નગર સુધી. મનોજ ખંડેરિયા લખે છેઃ
મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા
તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું
તો વરસોના વરસ લાગે.
શબ્દ શું છે? જાણીતા કવિ ભાગ્યેશ જહાએ એમનું એક પુસ્તક મને ભેટ આપ્યું ત્યારે શુભકામનાઓના શબ્દોમાં એનો ઉત્તર છે. તેઓએ લખ્યું છેઃ ‘ઝાકળ કે સાંકળ બધાને ઓળંગીને બોલાતો શબ્દ જ નાદ બ્રહ્મની ઓળખ છે.’
અક્ષરોથી શબ્દ બને, શબ્દોથી વાક્ય, વાક્યોથી થાય છે વાતચીત. આ વાતચીત થકી જ સર્જાય છે વિચારોનું વિશ્વ, જે સીધું લઈ જાય છે આચરણ અને અમલીકરણ તરફ. શબ્દમાં અકલ્પનીય તાકાત છે, એ બોલતી વખતના હાવ-ભાવ, ટોન, પણ એટલા જ મહત્વપૂર્ણ હોય છે. શબ્દના અર્થ સમજાય, એના ભાવને ઝીલાય અને એને વિશ્વ કલ્યાણ હેતુ પ્રવાહિત કરાય ત્યારે જાણે - અજાણે શબ્દના અજવાળાં આપણી આસપાસ ઝળહળે છે.