વલસાડ નજીકના આધ્યાત્મિક તીર્થ અને પ્રવાસન સ્થળ તીથલમાં સ્થાયી થયેલા જૈનમુનિઓ પૂજ્ય શ્રી બંધુ ત્રિપુટી મહારાજ સાથે મારે 1990ના વર્ષથી, એટલે કે 35 વર્ષથી અનહદનો નેહ છે. એ પૈકીના એક અને હવે કાળધર્મ પામી ચુકેલાં મુની ચંદ્રવિજયજી મહારાજ કવિ આનંદની એક કાવ્ય પંક્તિ હું મારા કાર્યક્રમોમાં અનેક વાર બોલી ચૂક્યો છું.
‘વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના,
ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં?
હવે બન્યું એવું કે આ પંક્તિ હમણાં મારા ભાગે જ જીવવાની આવી. એક મહત્ત્વના પ્રોજેક્ટની મહત્ત્વની પેન ડ્રાઈવ મારાથી ક્યાંક મુકાઈ ગઈ, ઘર આખું મેં ગજવ્યું અને અંતે મળી ત્યારે મારા દ્વારા મુકાયેલી જગ્યાએથી જ અને પછી મને દુઃખ થયું. પરિવારના સભ્યોની માફી માંગી અને હું જ મનોમન આ વસ્તુની જેમ મારા ખોવાઈ ગયેલા, ખોવાઈ રહેલા વર્ષો બાબતે વધુ સંવેદિત થયો, વધુ સમજુ થયો.
પાણી નકામું વહી રહ્યું હોય તો એના સોર્સને આપણે જરૂર અટકાવીએ, એમ જ આપણે મહામૂલ્યવાન સમયને જો ખોટી દિશામાં, ખોટી રીતે વહી રહ્યો હોય તો એને અટકાવવો, એ સમયને સારા અને સાચા કાર્યોથી સભર કરવો એ આપણે જ કરવાનું કાર્ય છે.
અમારા એક પરિચિત છે, ઘરના બેઠકખંડમાં ટીવી ચાલુ કરે અને પછી એટલી તલ્લીનતાથી જોયા કરે કે આસપાસ શું થયું છે, થઈ રહ્યું છે? કોણ આવ્યું? કોણ ગયું? એની એમને કાંઈ ખબર ના હોય. એક એવો જ યુવાન છે, જે રાત્રે સુતી વખતે અંતિમ દર્શન એના મોબાઈલના જ કરે છે અને જાગે ત્યારે પણ પહેલાં એનાં જ દર્શન કરે છે. કેટલાક વાતોએ ચડે પછી સામેના માણસને રસ છે કે નહીં એ વિશે વિચારતા જ નથી. જાતજાતના અને ભાતભાતના લોકો આપણી આસપાસ વસે છે અને આપણે પણ એ પૈકીના જ છીએ.
સવાલ મહત્ત્વનો એ છે કે આપણા જીવનનો અર્થ અને અર્ક આપણે ક્યારે પામીશું? સોશિયલ મીડિયામાં ફોરવર્ડેડ મેસેજ કરનારા પોતે તો બુદ્ધિ વિનાના કદાચ હશે જ પણ એ જેમને ફોરવર્ડ કરે છે એમને પણ તેઓ બુદ્ધિ વિનાનાં માનતા હશે? બધ્ધે આવું ના પણ હોય, પરંતુ સાધનનો ઉપયોગ માણસે કરવાનો છે, નહીં કે એ સાધન માણસનો ઉપયોગ કરી જાય, એટલો તો ખ્યાલ જરૂરી છેને!
જીવનનો મર્મ સમજવા, જીવનની એક એક પળને સભર કરવા પારકા સૂત્રો - ઉદાહરણો જરૂર કામ આવતા હશે, પણ પોતાનો સ્વાનુભવ જે દૃષ્ટિ આપે છે, જે સમજણ વિકસાવે છે એ કાયમી હોય છે. એથી જ જે જીવીએ એવું બોલવું અને બોલીએ એવું જીવવું એવી જાગૃતપણે કોશિશ થાય તોયે ઘણું.
મારો અનુભવ છે કે પોતાના અનુભવો જે શીખવે છે એ કાયમી રહે છે, એમાંથી જીવન વિશેની સમજણ વિકસે છે એ અહીંતહીં ભટકતા બચાવે છે, ખોવાઈ રહેલા વર્ષો પાછા તો નથી જ મળવાના, પણ એ વર્ષોમાં જીવંતતા - પ્રેમ – પ્રસન્નતા ભરીને આપણે જીવીએ એટલું તો જરૂર પમાય છે. આવું થાય ત્યારે સ્વ-અનુભવના અજવાળાં રેલાય છે.