અરદેશર ખબરદારે લખ્યું છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતીઓ ગુજરાતના નાના ગામડામાં રહેતા હોય કે વિશ્વના આધુનિક મહાનગરોમાં રહેતા હોય, એમણે આ પંક્તિના ભાવને સાચ્ચે જ આત્મસાત કર્યો છે. ભલે એકાદ બે ગુજરાતી હોય, પણ એ જ્યાં હોય ત્યાં એણે ગુજરાતની સંસ્કૃતિ, રીતરિવાજ – ઉત્સવો - ભાષા - માનવતા ગુણને ધબકતા રાખ્યા છે. ગુજરાતની સંસ્કાર ભૂમિની સુગંધને પ્રસરાવી છે, સાંસ્કૃતિક વિરાસતના અજવાળાને વિસ્તાર્યું છે.
વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ, ગુજરાતી સંગઠનો તેમજ ગુજરાત સરકાર વચ્ચે સેતુરૂપ એવી સર્વે ગુજરાતીઓની આંતરરાષ્ટ્રીય કક્ષાની એક માત્ર અધિકૃત સંસ્થા તરીકેની ઓળખ ધરાવે છે વિશ્વ ગુજરાતી સમાજ.
એક સમયે ગુર્જર ભારતવાસી તરીકે ઓળખો ગુજરાતી હવે વિશ્વનિવાસી અને ગુર્જર વિશ્વપ્રવાસી બન્યો છે. દેશ-વિદેશમાં ખૂબ મહેનત કરીને, પરસવો - બુદ્ધિ - કૌશલ્ય અને કોઠાસૂઝથી સફળ થયા છે, પૈસા કમાયા છે, પરિવાર અને પ્રિયજનો સાથે જલસાથી રહ્યા છે, કરકસર કરી છે, બચત કરી છે અને વખતે આવે દેશ-વિદેશમાં કે વતનમાં મુશ્કેલી આવી, આફત આવી ત્યારે માનવતાના કાર્યોમાં તન-મન-ધનથી આગળ રહ્યા છે.
શાંતિપ્રિય છે, સંવાદપ્રિય છે ગુજરાતી. એના વાણી-વર્તન અને વ્યવહારમાં સમતા અને શાલિનતા, વીરતા અને ધીરતા ધબકે છે.
સંકલ્પ અને સાહસના બળે રોજેરોજ સિદ્ધિઓની નૂતન ક્ષિતિજો ગુજરાતીઓ હાંસલ કરતા રહ્યા છે, ગુજરાતને - ભારતને ગૌરવ અપાવતા રહ્યા છે.
1980ના દાયકામાં વિશ્વભરના ગુજરાતીઓ વચ્ચે સેતુરૂપ એવી એક સંસ્થાની જરૂરિયાત સહુને જણાવા લાગી. સૌથી પ્રથમ પ્રતિસાદ મળ્યો બ્રિટનમાંથી. લંડનમાં 1983ના ઓગષ્ટમાં આંતરરાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું હતું. તે સમયે સમગ્ર આયોજનના મહામંત્રી તરીકે કામ કરનાર ‘ગુજરાત સમાચાર’ના શ્રી સી.બી. પટેલ આજે પણ વિશ્વ ગુજરાતી સમાજની સર્વજન હિતાય, સર્વજન સુખાયની પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહે છે.
એ પછી 1989માં વિશ્વ ગુજરાતી સમાજની સ્થાપના થઈ અને સપ્ટેમ્બરમાં અમદાવાદમાં પ્રથમ વિશ્વ ગુજરાતી પરિષદ યોજાઈ. એ પછી 1996માં મુંબઈ, 1999માં વડોદરા અને 2010માં અમદાવાદમાં પરિષદોનું આયોજન કરાયું. વિશ્વ ગુજરાતી સમાજની સ્થાપનાથી લઈને આજ સુધીના સમયમાં આ સંસ્થાની કામગીરીમાં ગુજરાત અને ગુજરાતીઓના હિતની લાગણી સમાયેલી રહી છે.
હમણાં જ 21 માર્ચના રોજ અમદાવાદમાં વિશ્વ ગુજરાતી સમાજના નવનિયુક્ત પ્રમુખ શ્રી ભાવેશ શશીકાંત લાખાણીનો પદગ્રહણ સમારોહ યોજાયો, જેમાં એન્કર તરીકે અને ડોક્યુમેન્ટરી ફિલ્મમાં વોઈસઓવર આર્ટીસ્ટ તરીકે મને જોડાવાનો અવસર મળ્યો તેનો આનંદ છે. વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સહુએ નવનિયુક્ત પ્રમુખને શુભકામના પાઠવી હતી.
ગુણિયલ ગુજરાતના ગરવા ગુજરાતીઓએ વિશ્વભરમાં પુરુષાર્થ અને પ્રાર્થનાથી સફળતા મેળવી છે, પ્રેમ વહેંચ્યો છે, વિશ્વ કલ્યાણના કાર્યોમાં પ્રદાન કરતા રહ્યા છે અને એટલે જ આવા કાર્યક્રમોમાં આપણી ગુજરાતી સભ્યતાના, અસ્મિતાના, સંસ્કાર પરંપરાના અને સંસ્કૃતિના અજવાળાં રેલાય ત્યારે એ અજવાળાં ઝીલીને આનંદ થાય છે.


