ગઝલનો કાર્યક્રમ શ્રોતાજનો સાંભળી રહ્યા હતા. દાદથી ગાયકને વધાવી રહ્યા હતા. અર્થપૂર્ણ અને પ્રેમપૂર્ણ ગઝલો રજૂ થઈ રહી હતી. અભિ અને અનુ પણ એ શ્રોતાઓમાં હતા અને ગઝલ સાંભળતા સાંભળતા ક્યારેક એકબીજાની આંખોમાં આંખો પરોવી લેતા કે હાથમાં હાથ મેળવી લેતા હતા. ગીતોના શબ્દોમાં એકાકાર થતાં થતાં અભિ બે-ત્રણ દાયકા પહેલાના એ કાલખંડમાં સરી પડ્યો જ્યારે એની યુવાનીના એ મધુર દિવસો હતા.
વિજ્ઞાન પ્રવાહની કોલેજમાં એડમિશન થયું હતું. અમદાવાદ ધીમે ધીમે વિક્સિત થઈ રહ્યું હતું. નદી પારની એક સારી અને સમૃદ્ધ સોસાયટીમાં એનું ઘર હતું. પપ્પાનો શેરબજારમાં વ્યવસાય, મમ્મી યુનિવર્સિટીમાં લેક્ચરર હતી અને એક બહેન એનાથી પાંચ વર્ષ નાની હતી. કોલેજમાં દાખલ થયા પછી ધીમે ધીમે એના મિત્રો-બહેનપણીઓ વધતા ગયા. ‘વા હારે વાતું કરે’ એવો એનો સ્વભાવ એની લોકપ્રિયતામાં વધારો કરતો ગયો. સમય આવ્યો કોલેજની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો. અભિ વકતૃત્વ-ગાયન-નાટ્યની પ્રવૃત્તિમાં રસ લેતો થયો. નાટકમાં એની સામે એક યુવતીના પાત્રમાં અનુને રોલ મળ્યો. બંને પ્રથમવાર મળ્યા. પ્રાથમિક વિગતોની આપ-લે થઈ. પહેલી નજરે જ બંનેની આંખોને લાગ્યું કે કાંઈક વિશેષ અનુભૂતિ થઈ રહી છે. એને તેમણે પ્રેમનું નામ હજી આપ્યું ન હતું પણ બધા મળે અને ‘એ’ મળે એમાં ફેર તો હતો જ.
ક્યારેક રિહર્સલ માટે, ક્યારેક પ્રોફેસરને મળવા, ક્યારે કોઈની જન્મદિવસની પાર્ટી, ક્યારેક પિકનિક... આમ મળવાનું વધતું ગયું.
એકવાર, પહેલીવાર અનુ અભિની બાઈક પર બેઠી, અભિને થયું મારું બાઈક જાણે આજે બોઈંગ બની ગયું છે. કારણ? એ કે બાઈક પર આજે પહેલીવાર અનુ બેઠી હતી, એનો સહજ સ્પર્શ નિકટતાથી એ અનુભવી રહ્યો હતો. અડધા-પોણા કલાકની એ લોંગ ડ્રાઈવ બંને માટે જીવનની સોનેરી ક્ષણો બની રહી હતી.
એકવાર છોકરા-છોકરીઓ બધા ચા પીવા ગયા, અનુએ કીધું કે ‘આપણે બંદા તો ચા પીવાના, મસ્ત આદુ ને ફૂદીનાવાળી’ ત્યારે અભિને નવાઈ લાગી હતી. એણે કહ્યું ‘મને એમ કે તું કોફી પીશે!’ બધાની સામે અનુએ કહી દીધું, ‘યાર તું જે આપે તે પીશ.’ આ શબ્દોમાં અભિએ પ્રેમનો ભરોસો અનુભવ્યો.
પછી નિરાંતે બેઉ એકલા એકવાર બેઠા હતા ત્યારે અનુએ કહ્યું કે, ‘મારા ઘરના સંસ્કારોએ શીખવ્યું છે કે ક્યાં, કોની સાથે, કેટલા નિકટના સંબંધો રખાય, કોનો ભરોસો કરાય, મને તારા પર ને તારા પરિવાર પર પૂરો ભરોસો છે.’
બંનેના મિત્રોમાં પણ એ બંનેની જોડી લોકપ્રિય થતી ગઈ, બંનેના પરિવાર પણ મળતા થયા. બંને મૈત્રીપૂર્ણ એ સંબંધોનો વૈભવ માણતા રહ્યા. જોતજોતામાં એમને પણ ખબર ના રહી કે ક્યારે તે બંને પ્રેમની અનુભૂતિમાં એકાકાર થઈ ગયા.
અભિ પિતાના વ્યવસાયમાં જોડાયો અને અનુ કોલેજમાં લેક્ચરર તરીકે કામ કરતી થઈ ગઈ. બંનેના લગ્ન પણ ધામધૂમથી થયા. એકવાર અનુને કોઈએ પૂછ્યું કે, ‘તમારા સફળ લગ્નજીવનનું રહસ્ય શું છે? અનુએ કહ્યું, ‘અમે એકબીજા પર અધિકારભાવથી પ્રેમ નથી કરતા. અમે પ્રેમી તો છીએ જ, એનાથી વધુ મિત્રો છીએ. અમે એકબીજાના સદગુણો જ નહીં દુર્ગુણો પણ જાણીએ છીએ અને એની સાથે જ એકબીજાનો સ્વીકાર કર્યો છે.’
આવા પ્રસન્ન વ્યક્તિત્વો જ્યારે આપણી આસપાસ જોવા મળે છે ત્યારે આપણે પણ પ્રસન્ન થઈ જઈએ છીએ. નાની-નાની વાતોમાં માનવી સંબંધોમાં બ્રેકઅપ થયા કરે એવું વાતાવરણ છે ત્યારે ધીરજથી-સહજતાથી માપવા નહીં, આપવા કે પામવા આતુર આવા પાત્રો પ્રેમના અજવાળાં પાથરે છે.઼


