બોલવાથી વધુ મહત્ત્વનું છે સાંભળવાનું

- તુષાર જોષી Tuesday 03rd June 2025 05:39 EDT
 
 

કેટલાક માણસોને રૂબરૂ મળીએ અથવા ફોન પર વાતો કરીએ ત્યારે આપણો બોલવાનો વારો જ ન આવે! આપણે શા કામે એમને મળ્યા તે પણ ભૂલી જઈએ એટલું એ જ બોલે ને વળી વાતને વિરામ આપે ત્યારે એમ કહે કે અરે, તમે તો બહુ વાતો કરી, મારે તો કેટલા બધા કામ છે...!

કાર્યક્રમોમાં એન્કર કે વક્તાને સાંભળીએ ત્યારે કેટલીક વાર એવા અનુભવ થયા છે કે એમને જે કહેવું, એમનું જે જ્ઞાન છે એ બધ્ધું જ એમણે રજૂ કરી દેવું છે, પાછા કહે પણ ખરા કે હું તો કેટલી મહેનત કરીને આવી છું! બધ્ધું બોલી જાય, શ્રોતા પર અસરની ચિંતા વિના, ત્યારે જ એમને હાશ થાય!
આજકાલ બધાને બોલવું જ છે, મારું કામ બોલવાનું છે. વક્તા - એન્કર – વોઈસ ઓવર આર્ટીસ્ટ કે જર્નાલીસ્ટરૂપે બોલવું જ પડે છે, પણ સતત એ જાગૃતિ રહે છે કે બોલવાથી વધુ મહત્ત્વ સાંભળવાનું છે. નવધાભક્તિનો એક પ્રકાર શ્રવણ એટલે કે સાંભળવું એ પણ છે. એક વક્તાએ એક કલાક એક કાર્યક્રમમાં બોલવું હોય તો દસ કલાક સાંભળવું જરૂરી છે એ વાત હવે આજકાલના એન્કર – વક્તાને બહુ ગળે નથી ઉતરતી કારણ કે એમણે તે AI બેઝ્ડ માહિતીઓના આધારે ખોખલી વાતો કરીને, અર્થપૂર્ણ કે અર્કપૂર્ણ વાતો કરવા કરતાં વિશેષ ડ્રેસ અને લુક અને રિલ્સ મેનેજમેન્ટ પર વધુ ધ્યાન આપવાનું છે. કામ કર્યાનો સંતોષ મેળવવા કરતાં સોશિયલ મીડિયા પર છવાઈ જવાનું વધુ મહત્ત્વનું છે. આવા સંજોગોમાં કાન ખુલ્લા રાખીને સાંભળવું, સમજવું, પામવું એ બધી સંવેદના કોને સમજાશે? સાંભળવાની ક્ષમતા કેળવીએ તો માણસ જ નહીં, પક્ષી - પ્રાણીને પ્રકૃતિ પણ સાદ દે છે.
આપણે સાંભળીએ તો ખરા આંખ – કાન ખુલ્લા રાખીને જીવવું એવું વડીલો પાસેથી સાંભળ્યું છે. અહીં શ્રવણની, સાંભળવાની વાત લખી રહ્યો છું ત્યારે એ પણ સમજાય છે કે કાન ખુલ્લા રાખવાથી, સાંભળવાથી આપણને આપણી આસપાસ બની રહેલી ઘટનાઓ વિશે માહિતી મળે છે, જાગૃતિ આવે છે, બીજાઓને વ્યક્તિગત રૂપે અને ઘટનાઓને પરિસ્થિતરૂપે સમજવાની ક્ષમતા વધે છે.
સાંભળવાથી બીજાને સમજી શકીએ છીએ, નીર-ક્ષીરનો પરિચય થાય છે, સંવાદ કરતી વખતે વિચારોની સ્પષ્ટતા હોય છે, સકારાત્મક સંબંધો વધે છે, જ્ઞાન અને કૌશલ્યમાં વૃદ્ધિ થાય છે, મનોરંજન પણ મળે છે. આજકાલ સેલ્ફ માર્કેટિંગ પણ અતિ અતિ જરૂરી બની ગયું છે, બધાને પોતાની પાસે જ છે એનાથી વધુ બતાવવું છે, ખોબાનો દરિયો કરવો છે, એવા સમયે જેઓ ક્યારે? શું? કેમ? બોલાય એનો વિવેક સાચવીને બોલે છે એમને સાતત્યપૂર્ણ સફળતા મળે છે અને ગૌરવ કે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થાય છે. અધૂરા ઘડાની જેમ છલકાયા કરે એવાને તાત્કાલિક સફળતા જરૂર મળતી હશે પરંતુ કારકિર્દીમાં ઠહેરાવ નથી મળતો એવું અનુભવ્યું છે.
સાંભળવાનો મહિમા કરીએ ત્યારે શું ન સાંભળવું એની પણ વાત કરવી જોઈએ. આપણી શ્રદ્ધા, આપણો ધર્મ, આપણી રાષ્ટ્રહિતની કે કુટુંબહિતની ભાવનાને અનુકૂળ ન હોય, જેમાં આપણા રસ-રૂચિ ના હોય એવી કોઈ વાત આપણે શા માટે સાંભળવી? ભરત વિંઝુડાનો એક અદભૂત શેર છે,
ના ગમે તે વાત સાંભળવી નથી,
કાન એ કોઈ પીચકારી નથી.
આ શેરમાં સમાયેલ અર્થ વિસ્તારને પણ પામવો પડશે અને પછી આપણને જે ગમે, જે પ્રેમ કે પ્રસન્નતા પ્રગટાવે એ સાંભળીએ તો એ સાંભળ્યા પછી સૂર-શબ્દના અને સમજણના અજવાળાં જરૂર રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter