લગ્નજીવનમાં ઈગોનું નહીં, પ્રેમનું મહત્ત્વ

- તુષાર જોષી Tuesday 03rd February 2026 09:46 EST
 
 

લગ્ન નિમિત્તે યોજાયેલી સંગીતસંધ્યામાં જાણીતા હિન્દી અને ગુજરાતી ગીતો ગવાઈ રહ્યા હતા, હું સૂત્રધારરૂપે અર્થપૂર્ણ-પ્રેમપૂર્ણ અને ગમતી વાતો કરી રહ્યો હતો. સ્વાભાવિક છે કે પ્રસન્ન દામ્પત્યજીવન કેવું હોય? એ માટે છોકરા-છોકરીએ શું શું છોડવું પડે? જેવા વિષયો સંદર્ભે વાત થઈ રહી હતી. બેઠક જેવું વાતાવરણ હતું એટલે કોઈએ પૂછયું કે, ‘તમે તમારા ઘરમાં પણ આમ જ ધીમે ધીમે અને મીઠું મીઠું બોલો?’

સ્વાભાવિક છે કે મારે સાચો જવાબ આપવાનો હતો, આપવો જોઈએ, પણ મેં એ જ વાતને હ્યુમર સાથે રજૂ કરી અને કહ્યું કે, ‘અમે ઘરમાં સ્પ્લીટ એરકન્ડિશનર જેવા થઈ જઈએ, જે બહાર જ અવાજ કરે, રૂમની કે ઘરની અંદર નહીં, તાત્પર્ય એ કે અમે બહાર જ બોલીએ’. સહુ હસી પડ્યા અને સમય પણ સચવાઈ ગયો.

દામ્પત્યજીવનની સફળતાના કોઈ નિયમો પણ નથી હોતા અને કોઈ રહસ્યો પણ નથી હોતા. કેટલાકનું ગાડું તેઓની સમજણથી ગબડે છે અને કેટલાકનું વળી ભગવાન ભરોસે ગબડે જાય છે.

એક મિત્ર એમના 30-35 વર્ષના લગ્નજીવનનો નીચોડ આપતા કહે છે કે બને ત્યાં સુધી અહંકાર છોડીને, હું જ સાચો એવો મત છોડીને, જો જીવવાની કોશિષ કરીએ તો ઘણી શાંતિથી જીવાય છે. એવો જ મત પ્રગટ કરતા એક બહેન કહે છે કે બેમાંથી એક પાત્ર દલીલો સમયે મૌન થઈ જાય, અથવા એ જગ્યા છોડી દે તો પણ ઘણીવાર વિવાદ અટકે છે. કોઈ ત્રીજી વ્યક્તિ વળી જે સ્થિતિ છે એનો સ્વીકાર કરીને લગ્નજીવનમાં સફળ થયાનું નોંધે છે.

એક બહેન એવા પણ છે જેમને નાની-મોટી કોઈપણ વાત હોય પોતાનો મત – પોતાની હાજરી - પોતાની સલાહ મહત્ત્વના સાબિત કરવા હોય અને એટલે એમના પતિ જ નહીં, બાળકો પણ એમની સાથે સંવાદ કરવાનું ટાળે. એટલે પછી ઊંચા અવાજે બોલવાનું શરૂ કરે કે મને તો કોઈ ગણતું જ નથી, પરણીને આવ્યા તે દિવસથી આજ સુધીનો ઈતિહાસ ઉખેળે અને પોતે જ દુનિયામાં સૌથી વધુ દુઃખી છે એવી વાત વહેતી મુકે.

જાતજાતના અને ભાતભાતના અનુભવો હોય છે લોકોના અને એને અનુરૂપ તેઓ એમના અભિપ્રાયો આપતા રહેતા હોય છે. બેંગ્લૂરુ હોય કે બર્મિંગહામ, લંડન હોય કે લાતુર, સરવાળે માનવ સ્વભાવ અનુસાર બધા પોતાની ધારણા રજૂ કરતા હોય છે. એક અવલોકન એવું પણ છે કે કોઈપણ વાતને રજનું ગજ કરીને રજૂ કરવાથી, જૂનો ઈતિહાસ ઉખેળવાથી, બધાને બસ મારા જ દોષ દેખાય છે એવું માનનાર હંમેશા સાચા નથી જ હોતા. જોરજોરથી દલીલો કરવાથી, છેલ્લા પાટલે બેસવાથી પણ કોઈ સાચું છે એવું માનવાને કોઈ કારણ નથી હોતું.

લગ્નજીવનમાં સૌથી વધારે એ યુગલ કે વ્યક્તિ સફળ થાય છે જે જતું કરીને રાજી રહે છે, જે મોજ-મસ્તીથી પ્રત્યેક ક્ષણને જીવવા ઉત્સુક રહે છે, જે અધિકાર ભાવથી નહીં પ્રેમના સમર્પણથી જીવે છે.

લગ્નજીવનમાં ઈગો નહીં, પ્રેમનું મહત્ત્વ છે. નાની નાની વાતોમાં જે પરસ્પર એકબીજાને સંભળાવવાનું યાદ રાખશે તો પછી પ્રેમપૂર્ણ જીવન જીવવા નહીં મળે. માત્રને માત્ર પ્રેમથી જે જીવે છે, માત્રને માત્ર પ્રેમથી જ સામેનું પાત્ર રાજી રહે એવી કોશિષ કરે છે એમના ભાગે લગ્નજીવનના મધુર સંભારણા સચવાય છે.

એનો અર્થ એવો નથી કે ક્યારેય વિવાદ થાય જ નહીં, ક્યારેય સરખામણી થાય જ નહીં, ક્યારેય મતભેદ થાય જ નહીં, બસ એ મતભેદ મનભેદ સુધી ન છવાઈ જાય, કોણ સાચું એ નહીં શું સાચું? એ સમજાઈ જાય એ જરૂરી હોય છે. આવું થાય છે એ પળે મધુર દામ્પત્યના અજવાળાં રેલાય છે અને બાલમુકુંદ દવેનું ગીત ‘કેવા રે મળેલા મનના મેળ...’નો ભાવ જીવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter