અલીગઢમાં ઝીણાની છબિના વિવાદે ફણગાવેલા અણિયાળા સવાલો

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Monday 07th May 2018 06:58 EDT
 
પાકિસ્તાન હાઈકમિશનમાં ભારત સરકારના આદેશથી ૨૦૧૫ના પાકિસ્તાન દિવસની ઉજવણીમાં સહભાગી કેન્દ્રના રાજ્ય પ્રધાન અને ભારતીય લશ્કરના પૂર્વ વડા જનરલ વી. કે. સિંહ પાકિસ્તાનના તત્કાલીન રાજદૂત અબ્દુલ બાસીત સાથે
 

ભારતની રાજધાની નવી દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા પાકિસ્તાનના હાઈકમિશનમાં તેમના દેશના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણાની ભવ્ય તસવીરોની સાક્ષીએ યોજાતી ઉજવણીઓમાં વર્તમાન ભારત સરકારના પ્રધાનો પ્રકાશ જાવડેકર, જનરલ વી. કે. સિંહ, ગજેન્દ્ર સિંહ શેખાવત સહભાગી થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઈટ પર પાકિસ્તાનના વડા પ્રધાન સાથેની એમની એકથી વધુ તસવીરો ઝળકે છે એટલું જ નહીં, લાહોર જઈને તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફને જન્મદિનની મુબારકબાદી આપવાના પ્રસંગે બંને દેશના વડા પ્રધાનોની છબિઓ સામે ભાગ્યે જ કોઈ ઉહાપોહ થાય છે. જોકે ઉત્તર પ્રદેશમાં અલીગઢમાં આવેલી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના વિદ્યાર્થી ખંડમાં ૧૯૩૮માં મૂકાયેલી બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણાની તસવીરના મુદ્દે પેટ ચોળીને શૂળ ઊભું કરાઈ રહ્યું છે. ઇતિહાસના વિવાદો તાજા કરીને વર્તમાનની સમસ્યાઓથી લોકોનું ધ્યાન અન્યત્ર હટાવવાની રાજકીય તરકીબો પ્રજાને મૂરખ બનવાની કવાયતથી વિશેષ નથી.

આ એ જ અલીગઢ છે જ્યાંથી ચૂંટાયેલા ભાજપી ધારાસભ્ય કલ્યાણ સિંહ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા હતા અને અત્યારે રાજસ્થાનના રાજ્યપાલ છે. તાજેતરમાં જ અલીગઢના ભાજપી સાંસદ સતીશ ગૌતમ છાત્ર સંઘના ખંડમાં ઝીણાની તસવીર કેમ છે, એવો પ્રશ્ન કરીને સમગ્ર વિવાદને વકરાવે છે. આવા અટકચાળા કરવા પાછળ દેશની વિશ્વ વિખ્યાત શિક્ષણ સંસ્થામાં વાતાવરણને ધાર્મિક વિભાજન ભણી ધકેલવાની બાલીશ કોશિશ છે. કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થાય છે. હકીકતમાં ૧૯૩૮માં એટલે કે આઝાદી પહેલાં એક છબિ મૂકાઈ હતી, એને કેમ મૂકાઈ એનો તર્ક શોધવાને બદલે વાતાવરણ કોમી રંગ પકડે છે. રાષ્ટ્રવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિના આક્ષેપ-પ્રતિઆક્ષેપ થવા માંડે છે. જે ખંડમાં ઝીણાની તસવીર છે, એમાં જ મહાત્મા ગાંધી, સી. રાજગોપાલાચારી, ડો. રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ સહિતના આજીવન સભ્ય એવા નેતાઓની પણ તસવીરો છે. ઝીણાની છબિ દૂર કરવાના મામલાને હિંસક અથડામણ સુધી લઇ જવાને બદલે સમજદારીથી અને સંવાદથી ઉકેલવાની જરૂર હતી.

ઝીણાનો એએમયુ સાથે શો સંબંધ?

છેક ૧૮૭૭માં સર સૈયદ એહમદ ખાં થકી ઓક્સફર્ડની ભૂમિકા પર, રાજા જય કૃષ્ણના જમીનદાનથી, અલીગઢમાં મુસ્લિમોને આધુનિક શિક્ષણ મળે એ હેતુસર સ્થપાયેલી મુહમ્મદન એંગ્લો ઓરિએન્ટલ કોલેજ સમયાંતરે ૧૯૨૦માં એએમયુમાં રૂપાંતરિત થઇ. આઝાદી પછી ભારત સરકાર એનું સૂત્રસંચાલન કરતી રહી છે. મહામના પંડિત મદન મોહન માલવિયાએ ૧૯૦૪માં કાશીનરેશ વિષ્ણુ નારાયણ સિંહ અને દરભંગા નરેશ રામેશ્વર સિંહ સહિતના નાના-મોટા દાતાઓના પ્રારંભિક સહયોગથી અને એની બેસન્ટની સેન્ટ્રલ હિંદુ કોલેજ પંડિત માલવિયાને સુપરત કરાતાં ૧૯૧૬માં બનારસમાં સ્થાપેલી બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ) પણ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજની ભૂમિકા પર વિશ્વમાં પ્રસિદ્ધ એવી શિક્ષણ સંસ્થા બની. આઝાદી પછી ભારત સરકાર એનું સંચાલન કરતી રહી છે. નેહરુ સરકારમાં શિક્ષણ પ્રધાન રહેલા અને દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના સંસ્થાપક એવા જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલાએ યુનિવર્સિટીઓને ધર્મનિરપેક્ષ સ્વરૂપ આપવા માટે એએમયુ અને બીએચયુના નામમાંથી ‘મુસ્લિમ’ અને ‘હિંદુ’ શબ્દને દૂર કરાવવાની સંસદમાં કોશિશ કરી જોઈ હતી, પણ એમાં એમને સફળતા મળી નહીં હોવાનું જસ્ટિસ ચાગલાએ પોતાની આત્મકથા ‘રોઝીઝ ઇન ડિસેમ્બર’માં વિગતે નોંધ્યું છે.

શ્રીમતી ઇન્દિરા ગાંધીની સરકારમાં પણ પ્રધાન રહ્યા છતાં ૧૯૭૫-’૭૭ની તેમની ઇમર્જન્સીના કટ્ટર વિરોધી એવા મૂળ કચ્છના જસ્ટિસ ચાગલાએ ૧૯૮૦માં મુંબઈમાં ભારતીય જનતા પક્ષના પ્રથમ અધિવેશનમાં નવરચિત પક્ષને આશીર્વાદ આપ્યા હતા. કમનસીબે હજુ આજે પણ એએમયુ અને બીએચયુ ધાર્મિક ધોરણે વિભાજિત રાજકારણનો અખાડો બની રહી છે.

ઝીણાએ મુંબઈમાં ‘ઝીણા હાઉસ’ તરીકે જાણીતા પોતાના નિવાસસ્થાનમાં બેસીને ૧૯૩૯-’૪૦માં તૈયાર કરેલા વસિયતનામામાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સહિતની શિક્ષણસંસ્થાઓને પોતાની સંપત્તિમાંથી માતબર રકમના દાનની જોગવાઈ રાખી હતી, એ વાતને વર્તમાન વિવાદમાં ભાગ્યે જ કોઈ યાદ કરે છે. ઝીણાએ એએમયુ ઉપરાંત મુંબઈ યુનિવર્સિટી અને મુંબઈની અંજુમન-એ-ઇસ્લામ સ્કૂલ જેવી આજની પ્રતિષ્ઠિત સંસ્થાને પણ માતબર દાન આપ્યું હતું. બીજી શિક્ષણ સંસ્થાઓ જેવી કે કરાંચીસ્થિત સિંધ મદરેસા (જ્યાં ઝીણા ભણ્યા હતા), પેશાવરની ઇસ્લામિયા કોલેજ અને દિલ્હીની એરેબિક કોલેજને પણ તેમણે પોતાના વસિયતનામામાં આર્થિક યોગદાન કરવાની જોગવાઈ રાખી હતી. એ પ્રમાણે ભારતના ભાગલા પડ્યા પછી પણ દાનની રકમ ભારતની જે તે શિક્ષણ સંસ્થાને ફાળવાયાનું જણાવાય છે. લંડનની લિંકન્સ-ઈનમાંથી ઝીણા બેરિસ્ટર થયા અને ત્યાં પણ એમની તસવીર રાખવામાં આવી છે, છતાં ત્યાં કોઈ વિવાદ થયાનું જાણ્યું નથી.

મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સંયુક્ત સરકારો

મહાત્મા ગાંધીએ તો ભારતના ભાગલા ટાળવા માટે ઝીણાને અખંડ ભારતના પ્રથમ વડા પ્રધાન બનાવવાની દરખાસ્ત પણ કરી હતી. જોકે ભાગલા અટળ બની રહ્યા અને વિભાજને લાખો લોકોની કત્લેઆમ અને હિજરતના સંજોગો સર્જ્યા હતા. ભારતમાં ઝીણા આજેય ખલનાયક લેખાતા હોવા છતાં ભાગલા માટે ઝીણા ઉપરાંત ઘણા બધા નેતાઓ અને પરિબળો જવાબદાર હતાં. અત્યારે રાષ્ટ્રવાદના ઠેકેદાર તરીકે પોતાને ગણાવનારાઓના પુરોગામીઓ કે આસ્થાપુરુષો ક્યારેક ઝીણાની મુસ્લિમ લીગ સાથે બ્રિટિશ હકૂમતની કુરનીશ બજાવતા હતા, એ ભૂંડો ઈતિહાસ પણ અનુકૂળતાએ વિસારે પડે છે. જયારે ૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળને પગલે મોટાભાગના કોંગ્રેસી નેતાઓ જેલોમાં બંધ હતા, ત્યારે મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાના નેતાઓ સંયુક્ત સરકારો ચલાવતા હતા.

અમદાવાદમાં હિંદુ મહાસભાના અધ્યક્ષ બેરિસ્ટર વિ. દા. સાવરકરે ૧૯૩૭માં પક્ષના અધિવેશનમાં હિંદુ અને મુસ્લિમ માટે દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત રજૂ કર્યો હતો. માર્ચ ૧૯૪૦માં બંગાળના પ્રીમિયર ફઝલુલ હકે લાહોરમાં ઝીણાની અધ્યક્ષતામાં મળેલા મુસ્લિમ લીગના અધિવેશનમાં પાકિસ્તાન ઠરાવ રજૂ કર્યો અને એ એકી અવાજે મંજૂર થયો હતો. આ જ હકની ૧૯૪૧-’૪૨ની બંગાળ સરકારમાં, હિંદુ મહાસભાના અધ્યક્ષ બેરિસ્ટર વિ. દા. સાવરકરની સંમતિથી, પક્ષના કાર્યાધ્યક્ષ ડો. શ્યામાપ્રસાદ મુકરજી નાણાં પ્રધાન હતા. એટલું જ નહીં, માર્ચ ૧૯૪૩માં સિંધની પ્રાંતિક ધારાસભામાં પાકિસ્તાન ઠરાવ મંજૂર થયો ત્યારે સિંધમાં મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સરકાર હતી. ત્રણ હિંદુ પ્રધાનોએ એ ઠરાવનો વિરોધ નોંધાવ્યો, પણ રાજીનામાં આપ્યાં નહોતાં. વાયવ્ય પ્રાંતમાં પણ મુસ્લિમ લીગની સરકારમાં હિંદુ મહાસભા ભાગીદાર હતી. એટલું જ નહીં, હિંદુ મહાસભાના અધ્યક્ષ બેરિસ્ટર સાવરકરે પંજાબમાં પણ મુસ્લિમ સાથે સરકાર રચવા પોતાના પક્ષને સંમતિ આપી હતી, પણ એ સરકાર રચાઈ નહોતી. અત્યારે ઝીણાના ફોટાનો પણ વિરોધ કરનારા ભાજપના આદ્યપુરુષો ઝીણાના પક્ષની સાથે અને અંગ્રેજો સાથે સત્તાના ભોગવટા કરતા હતા, એ ઈતિહાસને નકારી શકાય એમ નથી.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter