કાવેરીના જળમાં આગઃ કોંગ્રેસી મુખ્ય પ્રધાન માટે શુકનિયાળ શુક્રવાર

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Saturday 17th February 2018 08:55 EST
 
 

કર્ણાટકની કોંગ્રેસ સરકાર માટે શુક્રવાર (જુમ્મા) ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮નો દિવસ સારા સમાચાર લઈને આવ્યોઃ ભારતની સર્વોચ્ચ અદાલતે દાયકાઓ જૂના કાવેરી જળવિવાદ અંગે ચાર રાજ્યો વચ્ચેની પાણીની વહેંચણી અંગે આપેલા ચુકાદામાં કર્ણાટકની વિજયપતાકા લહેરાઈ છે. શુક્રવારે જ કર્ણાટક સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના બજેટમાં પ્રજાને રાજીની રેડ કરી નાંખતી જોગવાઈઓ પણ કરી છે. કોંગ્રેસશાસિત કર્ણાટક રાજ્ય કોઈ પણ ભોગે ભારતીય જનતા પક્ષ છીનવી લેવાના વ્યૂહ ઘડી રહ્યો છે.

કર્ણાટક વિધાનસભાની ૨૨૪ બેઠકોમાંથી છેલ્લી ૨૦૧૩ની ચૂંટણી વખતે કોંગ્રેસને ૧૨૪ બેઠકો અને ભાજપ માત્ર ૪૪ બેઠકો મેળવી શક્યો હતો. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયાની સરકાર, પૂર્વ કોંગ્રેસી મુખ્ય પ્રધાન અને વિદેશ પ્રધાન એસ. એમ. કૃષ્ણાના ભાજપમાં જોડાયા પછી પણ અડીખમ રહી છે. લોકસભામાં કોંગ્રેસના નેતાપદે રહેલા મલ્લિકાર્જુન ખડગે પણ કર્ણાટકના નેતા છે. કર્ણાટકમાં આગામી વિધાનસભાની ચૂંટણી એપ્રિલ-મે ૨૦૧૮માં યોજાવાની છે. ભાજપ થકી પૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. યેડિયુરપ્પાને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરાયેલા છે. રાજ્યના ૪ ભાજપી સાંસદ કેન્દ્રમાં પ્રધાનપદે છે.

ભાજપ અને કોંગ્રેસ બેઉના રાષ્ટ્રીય નેતાઓએ ઘણા વહેલા ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હોવા છતાં હજુ ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી નથી એટલે આચારસંહિતા અમલી બની નથી. ટીપુ સુલતાનની જન્મજયંતીના વિવાદથી લઈને માંસ ખાઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દેવદર્શને ગયા સુધીના અધકચરા અને જનકલ્યાણનાં આયોજનોથી પર એવા મુદ્દે રાજકારણ ખેલાતું રહ્યું છે.

કોંગ્રેસ, ભાજપ અને જેડી (એસ) વચ્ચે જંગ

કર્ણાટકમાં જંગ ત્રિપાંખિયો થવાનો એ નિશ્ચિત છે. પૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવેગૌડાના જનતા દળ (સેકયુલર) પક્ષ સાથે માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બીએસપી) અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પણ મોરચો ગોઠવી રહી છે. ટિકિટોની ફાળવણી વખતે કોણ કયા પક્ષ સાથે ઘર માંડશે એ કહેવું મુશ્કેલ છે. સાથે જ ચૂંટણી પછી કર્ણાટક જેડી (એસ)ના વડા અને દેવેગૌડાના પુત્ર એચ. ડી. કુમારસ્વામી કોની વહેલમાં બેસશે, એ અત્યારથી કહેવું મુશ્કેલ છે. કારણ વર્ષ ૨૦૦૬માં એમણે પહેલાં કોંગ્રેસ સાથે જોડાણ કર્યું અને પછીથી ભાજપ સાથે ઘર માંડ્યું હતું. કુમારસ્વામી એ જ સોદાબાજીથી થોડા વખત માટે મુખ્ય પ્રધાન પણ થયા હતા. આ વખતની ચૂંટણી પહેલાં કુમારસ્વામી કથિત કૌભાંડોના મુદ્દે એમના પર ભાજપ થકી ભારે દબાણ હોવાનું મનાય છે. વળી કુમારસ્વામી તથા ભાજપ એકમેક પર આક્રમક હુમલા કરવાનું ટાળે છે.

ભાજપ થકી કોંગ્રેસના ભ્રષ્ટ શાસન અને જેલવાસી નેતાઓની વાતો કરવામાં આવે છે. જોકે, યેડિયુરપ્પા પોતે ભ્રષ્ટાચારના ખટલાઓમાં જેલવાસી રહી ચુક્યા છે એટલું જ નહીં, ભાજપમાંથી ફારેગ પણ થયેલા છે. ભાજપમાં આંતરકલહ પણ કાંઈ ઓછો નથી. જોકે, ભાજપને આંધ્ર, તામિળનાડુ તથા કેરળમાં ઝાઝો જનપ્રતિસાદ મળતો નહીં હોવાથી અગાઉ ગઠબંધનથી બેંગલૂરુમાં રાજ કરવાની તક મળી હતી અને હવે એને એકલા હાથે સર કરવાની કોશિશમાં છે.

સમગ્રપણે સંઘ પરિવાર કર્ણાટકમાં હિંદુ કાર્ડ ખેલીને સત્તામાં આવવા આતુર છે, પણ સામે પક્ષે સિદ્ધારામૈયા પણ ગાંજ્યા જાય તેવા નથી. ભાજપ માટે ભાવનાત્મક ધાર્મિક મુદ્દાઓ ઊઠાવવા ઉપરાંત દેશમાં સૌપ્રથમ જે પાલિકામાં ભાજપને કે એના પૂર્વ અવતાર જનસંઘને શાસન કરવાની તક મળી હતી એ ઉડ્ડિપી પાલિકા કર્ણાટકમાં છે.

કાવેરીમાં કેન્દ્રની ફજેતી, રાજ્યનો વિજય

કાવેરી જેવી પવિત્ર નદીનાં જળની વહેંચણીના મુદ્દે કર્ણાટક અને તમિળનાડુ વચ્ચે હિંસક અથડામણો સર્જાતી રહી છે અને કાવેરી જળમાં આગ લાગતી રહ્યાની વાતો સામાન્ય રહી છે. અગાઉ પંજાબની અકાલી-ભાજપ સરકાર હરિયાણાને પાણી આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાના અમલનો ધરાર ઈનકાર કરતી રહી હતી.

રાજ્યની પ્રજા માટે આવા મુદ્દા ન્યાયી છે કે નહીં, એ કરતાં ભાવનાત્મક વધુ હોય છે. પંજાબમાં અકાલી દળ-ભાજપની સરકારે હરિયાણાને પાણી ફાળવવાનો નન્નો ભણ્યા પછી પણ રાજ્ય વિધાનસભાની છેલ્લી ચૂંટણી હારી હતી. પંજાબમાં કોંગ્રેસના કેપ્ટન અમરિન્દર સિંહ સરકાર સ્થપાઈ છે. કેન્દ્રમાં ભાજપના વડપણવાળા મોરચામાં અકાલી દળ સામેલ હોવા છતાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અમલ થયો નહોતો.

હવે વારો કર્ણાટક અને તમિળનાડુ વચ્ચેના કાવેરી જળના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાના અમલનો છે. ભારત સરકારે તો આ વખતે સુપ્રીમ કોર્ટમાં એવી ભૂમિકા લીધી હતી કે વર્ષ ૨૦૦૭માં કાવેરી જળ અંગે ટ્રાયબ્યુનલે ૨૦૦૭માં જે પ્રકારની જળ ફાળવણી કરી આપી છે એને સ્વીકારી લેવાય. એને સ્વીકારવામાં આવે તો કર્ણાટકને નુકસાન થાય અને પ્રજા વીફરે તેવું હતું.

કર્ણાટકની કોંગ્રેસ સરકારના સદ્નસીબે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણ હેઠળની ખંડપીઠે કેન્દ્રના દાવાના ફગાવી દઈને કર્ણાટક તરફથી તમિળનાડુને માટે છોડવાના કાવેરીના જળના પ્રમાણને ઘટાડવાનો ચુકાદો આપ્યો છે. વિધાનસભાની આગામી ચૂંટણીમાં કમસે કમ નુકસાન થતું અટક્યું છે.

ચુકાદો આનાથી વિપરીત આવ્યો હોત તો સિદ્ધરામૈયા સરકારને માથે માછલાં ધોવાત. જોકે, તમિળનાડુને ફાળવતા પાણીમાં ઘટાડો કરાતાં ચેન્નઈ કેવા પ્રકારે પ્રતિકાર કરશે એ કહેવું મુશ્કેલ છે. કારણ અગાઉ જયલલિતા જયરામ જ્યારે મુખ્ય પ્રધાન હતાં ત્યારે એમણે બબ્બે વાર ઉપાવાસના શસ્ત્રને ઉગામ્યું હતું. આ વખતે તમિળનાડુના રાજકીય પક્ષો આંદોલનાત્મક પગલું ભરશે કે ૧૫ વર્ષ સુધી અમલી ગણાતા સુપ્રીમના આ ચુકાદાને સ્વીકારી લેશે એ કહેવું મુશ્કેલ છે.

સુપ્રીમનો ચુકાદો કેવી જળફાળવણી કરે છે?

કાવેરી જળ વિવાદ આજકાલનો વિવાદ નથી. બ્રિટિશ શાસન દરમિયાન છેક ૧૮૯૨ અને ૧૯૨૪માં કાવેરી જળ ફાળવણી અંગે સમજૂતીઓ થઈ હતી. ૧૯૨૪માં જે કરાર થયા હતા એ ૫૦ વર્ષ માટેના હતા અને ૧૯૭૪માં એ પૂરા થયા હતા. ત્યારથી લઈને આજ લગી કાવેરી જળ વિવાદ અદાલતો અને શેરીઓ વચ્ચેના જંગનું નિમિત્ત બન્યો છે. છેવટે ભારત સરકારે નિયુક્ત કરેલા ટ્રાઈબ્યુનલે ૨૦૦૭માં ૮૦૨ કિલોમીટર જેટલા લાંબા કાવેરીના પટના કુલ ૭૪૦ ટીએમસી (થાઉસન્ડ મિલિયન ક્યુબિક ફીટ)ની વહેંચણી ચાર રાજ્યો વચ્ચે આ મુજબ કરી આપી હતી.

તમિળનાડુને ૪૧૯ ટીએમસી, કર્ણાટકને ૨૭૦ ટીએમસી, કેરળને ૩૦ ટીએમસી અને પુડુચેરી (અગાઉના પાંડિચેરી)ને ૭ ટીએમસી ઉપરાંત ૧૦ ટીએમસી પર્યાવરણના હેતુસર આરક્ષિત રખાય તથા ૪ ટીએમસી દરિયામાં વહી જાય એવી ગણતરી મૂકી હતી. આ એવોર્ડને મુદ્દે કેન્દ્ર સરકાર અને અદાલતો સમક્ષ મામલો વિવાદાસ્પદ બની રહ્યો હતો. કારણ રાજ્યો એ અંગે સંમત થતાં નહોતાં.

કાવેરીનાં ઘટતાં જતાં જળનું પ્રમાણ

છેવટે સુપ્રીમ કોર્ટે શુક્રવાર ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ આપેલા ચુકાદા મુજબ, ટ્રાઈબ્યુનલના ચુકાદાને બદલીને કર્ણાટક થકી તમિળનાડુ માટે છોડાનારા પાણીના પ્રમાણને ઘટાડવામાં આવ્યું એટલે કર્ણાટકના લોકો હરખઘેલા બની ગયા છે. આ ચુકાદો ૧૫ વર્ષ અમલમાં રહેશે. એ મુજબ, કર્ણાટકને ૨૦૦૭ના એવોર્ડમાં ફાળવાયેલા ૨૭૦ ટીએમસી પાણી ઉપરાંત ૧૪.૭૫ ટીએમસી પાણી મળશે. તમિળનાડુને ૪૧૯ ટીએમસીને બદલે ૪૦૫.૨૫ ટીએમસી પાણી મળશે. કેરળ અને પુડુચેરીને યથાવત્ પ્રમાણમાં એટલે કે અનુક્રમે ૩૦ ટીએમસી અને ૭ ટીએમસી પાણી મળશે. તમિળનાડુ કાવેરી પટમાંથી કુલ ૨૦ ટીએમસી અને ભૂગર્ભ જળમાંથી વધુ ૧૦ ટીએમસી જળ ખેંચી શકશે. સુપ્રીમ કોર્ટે કર્ણાટકને વધુ જળ ફાળવણી કરવાની સાથે જ બેંગલૂરુને આંતરરાષ્ટ્રીય સ્તરનું લેખીને તેને માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા ખાસ ૪.૭૫ ટીએમસી પાણીની ફાળવણી કરી છે.

વર્ષ ૧૯૭૪ લગી કાવેરી જળ વિતરણ અંગે ૧૯૨૪ના કરાર અમલી હતા ત્યાં લગી તમિળનાડુને ઝાઝી તકલીફ પડી નથી. જોકે, એ પછીના ગાળામાં કાવેરી જળના પ્રમાણમાં પણ ઘટાડો થતો ગયો અને વરસાદની અનિયમિતતાએ પણ કર્ણાટક અને તમિળનાડુ વચ્ચે ઘર્ષણ સર્જ્યું હતું. વર્ષ ૧૯૩૦-૭૦ દરમિયાન મેટ્ટર ડેમ ખાતે ૩૭૮.૪ ટીએમસી પાણી પુરવઠો નોંધાયો હતો. ૧૯૭૦ના ગાળામાં એ ઘટીને ૩૨૪ ટીએમસી અને ૧૯૮૦ના ગાળામાં તો સાવ ઘટીને ૨૨૯ ટીએમસી થતાં જળવિવાદ વણસાવવાનું નિમિત્ત બન્યો હતો.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter