કાશ્મીરના કોકડાને વધુ ગૂંચવવાના રાજકીય ખેલની મોસમ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Monday 25th June 2018 05:38 EDT
 
 

ત્રણ-ત્રણ વડા પ્રધાનોના નેતૃત્વવાળી ભારત સરકારમાં પ્રધાન રહેલા અને જાણીતા અર્થશાસ્ત્રી એવા ૮૦ વર્ષીય કાશ્મીરીનેતા પ્રા. સૈફુદ્દીન સોઝના કાશ્મીર વિષયક નવપ્રકાશિત પુસ્તકને વાંચ્યા વિના જ આંધળેબહેરું કૂટવાની રાજનીતિ ભારતના બંને મુખ્ય પક્ષો સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને વિપક્ષી કોંગ્રેસ ખેલી રહ્યા છે. કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદ તો એકદમ આક્રોશમાં આવીને ‘કોંગ્રેસી નેતા સોઝને કાશ્મીર બાબતમાં પાકિસ્તાની સરમુખત્યાર રહેલા જનરલ મુશર્રફ માટે પ્રેમ જાગ્યો છે’ એવી વાત માધ્યમોમાં કરી રહ્યા હતા, ત્યારે અનુકૂળતાએ વીસરી ગયા કે હજુ થોડા વખત પહેલાં જ ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા ડો. મોહનજી ભાગવતે ગર્વ અનુભવ્યો હતો કે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પાકિસ્તાનના શાસક મુશર્રફ સાથે વાટાઘાટમાં કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવાની અણી પર હતા.

પ્રા. સોઝ અગાઉ વાજપેયીને ટેકો આપનારી જમ્મૂ-કાશ્મીરની નેશનલ કોન્ફરન્સના સાંસદ હતા. તેઓ વર્ષ ૨૦૦૩માં કોંગ્રેસમાં જોડાયા અને ડો. મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં જળસંસાધન પ્રધાન હતા. પ્રા. સોઝ એચ. ડી. દેવેગોવડા (૧૯૯૬-૯૭) અને આઈ. કે. ગુજરાલ (૧૯૯૭-૯૮)ની સરકારોમાં પણ પ્રધાન રહ્યા હતા.

સોઝની દીકરીનું પણ અપહરણ થયું હતું

વધુ નવાઈ તો એ વાતની છે કે સોઝના પોતાના પક્ષના નેતાઓ પણ એમના બચાવમાં આવવામાં કાચા પડ્યા છે. સામાન્ય રીતે આભાસી ગણાતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ તો સોઝના પુસ્તકમાં શું લખાયું છે એનો ખ્યાલ કરવાને બદલે ‘પુસ્તક વેચાય એટલા માટે સોઝ આવાં હલકી કક્ષાનાં ગતકડાં કરી રહ્યા છે’ એવું જણાવીને તો હદ જ કરી દીધી. હકીકતમાં આ લખનારે છેક ૨૪ મે ૨૦૧૮ના રોજ ખરીદીને વાંચેલા પ્રા. સોઝના પુસ્તક ‘Kashmir: Glimpses of History and the Story of Struggle’માં પ્રા. સોઝે જમ્મૂ-કાશ્મીરના ઇતિહાસથી લઈને રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિ વધ્યાની અને પંડિતોની હિજરતના ઘટનાક્રમ સાથે જ તેમની પોતાની દીકરી નાહીદ સોઝનું ૨૭ ફેબ્રુઆરી ૧૯૯૧ના ઇખ્વન-ઉલ-મુસ્લિમીન થકી કરાયેલા અપહરણ અને ૯ દિવસ સુધી એને ગોંધી રખાયા સુધીની યાતનાનું બયાન પણ કર્યું છે.

મહારાજાની ઝંખના, સરદારની ભૂમિકા

સામાન્ય છાપથી વિપરીત જમ્મૂ-કાશ્મીર મુદ્દે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને નાયબ વડા પ્રધાન સરદાર પટેલ વચ્ચે કામની રીતસર વહેંચણી થયેલી હતી. નેહરુ રાજ્યના સૌથી લોકપ્રિય નેતા શેખ અબદુલ્લા સાથે કામ પાર પાડી રહ્યા હતા, જયારે સરદાર સતત મહારાજા સાથે સંપર્ક રાખીને કામ કરતાં હતા. છેક જૂન ૧૯૪૭થી લઈને ડિસેમ્બર ૧૯૪૭ લગી કે એ પછી પણ સરદાર અને નેહરુ બંને કાશ્મીર મામલામાં સક્રિય હતાં એ વાત એમની વચ્ચેના પત્રવ્યવહારથી પણ ફલિત થાય છે. બંને ભારતીય નેતાઓની નેમ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પહેલાં જમ્મૂ-કાશ્મીરનો યોગ્ય તે નિર્ણય થઇ જાય એ હતી.

મહારાજા હિંદુ શાસક હતા અને બહુમતી વસ્તી મુસ્લિમ હતી એટલે નિર્ણય કરવામાં દ્વિધા અનુભવતા હતા અને ત્રીજા વિકલ્પ તરીકે સ્વતંત્ર રહેવા ઈચ્છુક હતા. જમ્મૂ-કાશ્મીર પાકિસ્તાનને સુપરત કરવાની નાયબ વડા પ્રધાન અને રિયાસત ખાતાના પ્રધાન સરદાર પટેલની વાત પ્રા. સોઝ પત્રકારશિરોમણિ અને લંડનમાં ભારતીય હાઈકમિશનર રહેલા કુલદીપ નાયરની આત્મકથા ‘Beyond the Lines: An Autobiography’ સહિતનાં મહાનુભાવોનાં પુસ્તકોને ટાંકીને મૂકે ત્યારે એ વાત સોઝના નામે ચડાવી દેવામાં તો વિકૃતિ જ જોવા મળે છે.

મુશર્રફની ફોર્મ્યુલાના મુદ્દા કયા હતા?

દિલ્હીમાં ૧૯૪૩માં જન્મેલા પાકિસ્તાનના લશ્કરી શાસક જનરલ પરવેઝ મુશર્રફની વડા પ્રધાન વાજપેયી સમક્ષ રજૂ થયેલી ૪ મુદ્દાની કાશ્મીર ઉકેલ ફોર્મ્યુલા આવી હતી:

(૧) બંને પક્ષે તબક્કાવાર લશ્કરી દળો પાછાં ખેંચીને જમ્મૂ-કાશ્મીરનું ડિમિલિટરાઇઝેશન કરવું.(૨) કાશ્મીરની સરહદોમાં કોઈ ફેરફાર નહીં કરાય, પણ જમ્મૂ-કાશ્મીરના લોકોની અંકુશરેખા ઓળંગી મુક્ત અવરજવરને મંજૂર રાખશે.

(૩) આઝાદી (ઇન્ડિપેન્ડન્સ) વિના સ્વશાસન (સેલ્ફ-રૂલ) અને

(૪) ભારત, પાકિસ્તાન અને કાશ્મીરનું સંયુક્ત નજર રાખવાનું તંત્ર સ્થાપિત કરવામાં આવે. મંત્રણાનો ડોર સતત ચાલતો રહે અને ભારત તથા પાકિસ્તાન વચ્ચેના બીજા વિવાદિત મુદ્દા પણ ઉકેલવાની દિશામાં આગળ વધીને અથડામણો ટળે, શાંતિ સ્થપાય અને બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય બને એ રીતે કાશ્મીરી પ્રજાનાં દિલ જીતવામાં આવે.

વાજપેયીની સરકારમાં પ્રધાન રહેલા અને ભાજપના સંસ્થાપક ઉપાધ્યક્ષ એવા અત્યારે પાકિસ્તાનમાં આવેલા શિકારપુર (સિંધ)માં ૧૯૨૩માં જન્મેલા રામ જેઠમલાણીએ પોતાના પુસ્તક ‘Maverick Unchanged, Unrepentant’માં નોંધ્યું છે: ‘...jingoistic elements have spoiled the constitutional relationship with Kashmir... The Kashmir problem is not insurmountable and could have been solved long back, but the political will and adroitness to do so has been lacking.’

પ્રા. સોઝ નોંધે છે કે ૧૧ એપ્રિલ ૨૦૧૭ના રોજ એક જાહેર પરિસંવાદમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશપ્રધાન ખુરશીદ મહમૂદ કસુરી, ભારતીય પૂર્વ વિદેશપ્રધાન મણિશંકર ઐય્યર અને ટ્રેક-ટુ ડિપ્લોમેટ ઓ. પી. શાહની હાજરીમાં કહ્યું હતું કે ‘મુશર્રફની ફોર્મ્યુલામાં કાનોમાત્રાનો પણ ફેરફાર કર્યા વિના સ્વીકાર કરવા પોતે સહમત હતા એવું મુશર્રફની શાંતિ અને લાંબાગાળાની મૈત્રી માટેની એ ફોર્મ્યુલા રજૂ કરાઈ ત્યારે મેં મુશર્રફને જણાવ્યું હતું.’

મોદી સકારાત્મક-સંઘની ભૂમિકા અવરોધક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૧૫ ઓગસ્ટ ૨૦૧૭ના ભાષણમાં કાશ્મીરી પ્રજાના દિલ અને દિમાગને સૌહાર્દપૂર્ણ સંબંધો થકી જીતવાની વાતે કાશ્મીરમાં નવી આશાનો સંચાર થયાનું સોઝ નોંધે છે. એમણે ઉમેર્યું છે કે ‘મોદીએ ઉપરોક્ત વાત કરીને માત્ર બળપ્રયોગથી કાશ્મીરની મડાગાંઠને ઉકેલવાનું અશક્ય હોવાનું સ્વીકાર્યું હોય તેવું લાગ્યું હતું. કાશ્મીરની પ્રજાને કેન્દ્રની સરકારમાં નવી આશા જાગી અને તે પોતાની કાશ્મીર નીતિમાં યોગ્ય ફેરફાર કરશે, એવું અપેક્ષિત માન્યું હતું. સંબંધિતો સાથે નિર્ણાયક મંત્રણા કરવાનું સ્વીકારાય અને હુર્રિયત કોન્ફરન્સ સાથે પણ સમય વેડફ્યા વિના હેતુપૂર્ણ સંવાદ સધાય એ દિશામાં કેન્દ્રની કાશ્મીર નીતિમાં અનુકૂળ ફેરફાર આવે તો ઉકેલ ઝડપી બને. કમનસીબે આરએસએસની વિચારધારા અને કાશ્મીર અંગેનો દ્રષ્ટિકોણ અવરોધક બન્યો. આ સંગઠન ક્યારેય ઉકેલ લાવવાની દિશામાં ભાગીદાર થવા પ્રયત્નશીલ રહ્યું નથી,’ એવું કાશ્મીરની વણસેલી તાજી સ્થિતિનો ઉલ્લેખ કરતાં સોઝ નોંધે છે.

મુફ્તી સરકારના પતન પછીનું ચિત્ર

૨૨ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ કબાઈલીઓના વેશમાં પાકિસ્તાનીઓએ કાશ્મીર પર આક્રમણ કર્યું અને તેઓ છેક બારામુલ્લા સુધી આવી ગયા ત્યારે મહારાજા હરિસિંહે ભારત સાથે વિલયપત્ર પર ૨૬ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ હસ્તાક્ષર કર્યા અને ભારતીય લશ્કરી કુમક શ્રીનગર આવી પહોંચી. એ વખતથી આ રાજ્ય સાથે સંબંધ ધરાવતા અને છેલ્લે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ જેમને રાજ્યપાલ નિયુક્ત કર્યા હતા એ લેફ્ટેનન્ટ જનરલ એસ. કે. સિંહાએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના સર્વેસર્વા મુફ્તી મોહમ્મદ સઈદના ભાગલાવાદીઓ સાથેના સંબંધ હોવાની વાત દિલ્હીને કને નાંખી હતી. ઉપરાંત મુફ્તી અગાઉ ભારતના ગૃહપ્રધાન હતા ત્યારે તેમની દીકરી ડો. રૂબિયાનું બનાવટી અપહરણ પાંચ ત્રાસવાદીઓને છોડાવવા થયું હોવા ઉપરાંત ગાંધીનગરના અક્ષરધામ પરના આતંકી હુમલાનું કાવતરું મુફ્તીની સરકારમાં પ્રધાન રહેલા ઝરગરના ઘરમાં ઘડાયા સહિતની વાતો એમણે કેન્દ્ર સરકારના ધ્યાને મૂકી હતી. આમ છતાં ત્રિશંકુ વિધાનસભાને કારણે ૨૦૧૫માં ભાજપ થકી પીડીપી સાથે સરકાર રચવાનું બન્યું, આ જોડાણ લાંબુ નહીં ચાલે એવું અપેક્ષિત હતું.

મુખ્ય પ્રધાન મુફ્તીના મૃત્યુ પછી તેમનાં દીકરી મેહબૂબા મુફ્તી મુખ્ય પ્રધાન બન્યાં. ભાજપે અગમચેતી તરીકે વિધાનસભાનું અધ્યક્ષપદ અને નાયબ મુખ્ય પ્રધાનપદ પોતાની પાસે રાખ્યું હતું. ભાજપના પૂર્વ-અવતાર જનસંઘ અને માતૃસંસ્થા આરએસએસની વિચારધારાથી વિપરીત ભૂમિકા ધરાવતી પીડીપી સાથે ગત ૧૯ જૂને ભાજપે છેડો ફાડ્યો. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવે ટેકો પાછો ખેંચતાં કબૂલ્યું કે અમારી સંયુક્ત સરકારના શાસનમાં ‘ત્રાસવાદ, હિંસાચાર અને ઉગ્રવાદમાં વધારો થયો અને પ્રજાના મૂળભૂત નાગરિક અધિકારો જોખમમાં આવી પડ્યા હતા.’ તેમણે જમ્મૂ અને લડાખને અન્યાય થઇ રહ્યાના દોષનો ટોપલો મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીના શિરે લાદ્યો હતો. હવે રાજ્યપાલનું શાસન આવ્યું, પણ વિધાનસભાને મૂર્છાવસ્થામાં રખાઈ એટલે આગામી દિવસોમાં ભાજપના નેતૃત્વમાં અનુકૂળતાએ રાજ્યમાં સરકાર રચવાનો વિકલ્પ ખુલ્લો છે. અત્યારે રાજ્ય કેન્દ્ર સરકારના અંકુશ હેઠળ છે.

અપેક્ષા એવી કરીએ કે ખૂબ સંવેદનશીલ એવા આ રાજ્યમાં સ્થિતિ અંકુશ બહાર જાય નહીં. વળી, જમ્મૂ-કાશ્મીરનો પ્રશ્ન માત્ર હિંદુ–મુસ્લિમ પ્રશ્ન નથી એટલે રાજ્યની પ્રજા અને એના પ્રતિનિધિઓ સાથે ‘માત્ર ગોળીથી નહિ, પણ બોલીથી પણ’ મામલો થાળે પાડવાનો પ્રયાસ થાય એ જરૂરી છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
 અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter