ગાંધીજી-સાવરકરની ત્રણ ઐતિહાસિક મુલાકાતો

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Monday 18th May 2020 05:53 EDT
 
 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (૨ ઓક્ટોબર ૧૮૬૯ - ૩૦ જાન્યુઆરી ૧૯૪૮) અને સ્વાતંત્ર્યવીર સાવરકર (૨૮ મે ૧૮૮૩ - ૭ ફેબ્રુઆરી ૧૯૬૬) એ બંને સામસામે મૂકાતાં વ્યક્તિત્વોને વટાવવાની એક સાથે કોશિશ થતી હોય છતાં એમની વચ્ચે યોજાયેલી ત્રણ-ત્રણ મુલાકાતો વિશે ઝાઝી ચર્ચા ના થાય એ જરા અવનવું લાગે છે. ક્યારેક ગાંધીજીની હત્યાના પ્રકરણમાં સાવરકર આરોપી હતા, પણ એ છૂટી ગયા હતા. માત્ર અનુકૂળ ઇતિહાસના જોરે વર્તમાનમાં રાજકારણ ખેલવા જતાં કાયમ એ બરકત આપે જ એવું ના પણ બને. મહાત્મા ગાંધીની સાર્ધ શતાબ્દી ઉજવીને કે સ્વાતંત્ર્યવીર સાવરકરને ભારતરત્ન આપવાની માંગણીઓ કે ઘોષણાઓ કરવા માત્રથી વર્તમાન કે ભાવિ પેઢીનું કેટલું કલ્યાણ થઇ શકે એ મહત્વનો પ્રશ્ન તો ઊભો જ છે. મહાત્મા અને સ્વાતંત્ર્યવીરના વિચારો વર્તમાન કે ભવિષ્યમાં કેટલા ઉપયોગી થઇ શકે અને નવી પેઢીએ એમાંથી કેટલું અને કયા સંદર્ભમાં આચરણ કરવા જેવું છે; એનો વિચાર કે મનોમંથન કરવામાં ના આવે તો આવી સઘળી બાબતો માત્ર સાંકેતિક (સિમ્બોલિક) જ બનીને રહી જાય. કોઈ સાવરકરને ભારતરત્ન આપવાનું ચૂંટણી ગતકડું રમે એટલે અન્યોએ ભગતસિંહને ભારતરત્ન આપવાનો ઘૂઘરો રમવો એ તો નરી બાલિશતા જ છે.

ઇતિહાસના ઘટનાક્રમને માત્ર વાગોળ્યા કરવાથી વર્તમાન સુધરી જાય એવું માનવું નિરર્થક છે. સાવરકરને મહાત્મા ગાંધીએ પ્રખર દેશભક્ત ગણાવ્યા હોય કે શહીદ-એ-આઝમ ભગતસિંહ અને એમના બે સાથીઓની દેશભક્તિ સામે ગાંધીજી, સરદાર પટેલ, પંડિત નેહરુ સહિતનાએ ૧૯૩૧ના કરાંચી કોંગ્રેસના અધિવેશનમાં શીશ ભલે નમાવ્યું હોય; પણ સ્વાતંત્ર્ય માટેના એમના માર્ગ નોખા હોવાને કારણે હિંસાના માર્ગને સ્વીકારવાની એમની તૈયારી નહોતી.

સાવરકર અને ગાંધીજીના માર્ગ પણ નોખા હતા. સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલ બંને સગા ભાઈ હોવા છતાં સરદાર આજીવન અહિંસાવાદી અને ગાંધીજીના પટ્ટશિષ્ય રહ્યા, પણ ૧૯૩૩માં વિદેશની ધરતી પર મૃત્યુને ભેટેલા વિઠ્ઠલભાઈએ સુભાષબાબુ સાથેના સંયુક્ત નિવેદનમાં ગાંધીજીના નેતૃત્વને નિષ્ફળ લેખાવતાં અન્ય માર્ગોનો છોછ રાખ્યો નહોતો. જે સુભાષ બાપુ સાથે વાંધો પડતાં કોંગ્રેસ છોડી ગયા હતા, એ જ નેતાજીએ એ પછી સિંગાપુરથી મહાત્માને સૌપ્રથમ રાષ્ટ્રપિતા કહ્યા હતા.

‘ઇન્ડિયા હાઉસ’માં પહેલી મુલાકાત

મહાત્મા ગાંધી વર્ષ ૧૯૦૬માં દક્ષિણ આફ્રિકેથી લંડન આવ્યા ત્યારે પંડિત શ્યામજી કૃષ્ણવર્માના મહેમાન તરીકે ચાર દિવસ રહ્યા. કચ્છી ભાનુશાળી સમાજના ક્રાંતિકારી બેરિસ્ટર શ્યામજી સાથે ઘણા બધા દિવસ ગાંધીજીની વાતો ચાલ્યાની નોંધ મહાત્માની દિનવારીમાં મળે છે. એ જ અરસામાં ગાંધીજી પોલાક પરિવારને અને દાદાભાઈ નવરોજીને મળ્યા હતા. શ્યામજી પોતે કોંગ્રેસમાં લોકમાન્ય ટિળકના જહાળ પક્ષના અનુયાયી હતા. એમને ગાંધીજીએ આફ્રિકામાં અંગ્રેજોને બોઅર યુદ્ધમાં મદદ કરવાની લીધેલી ભૂમિકા ભણી સૂગ હતી, છતાં સંવાદ ચાલુ હતો. શ્યામજીને ગાંધી-ઝીણાના ભવિષ્યમાં થનારા રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે અને દાદાભાઈ નવરોજી ભણી પણ નફરત હતી. એમના ‘ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’માં એ વિશે લેખો પણ લખાયા હતા. અહીં ટિળકના રેફરન્સ સાથે બેરિસ્ટર સરદારસિંહ રાણાના યોગદાનથી પ્રતાપ, શિવાજી અને અકબરના નામે શરૂ કરાયેલી ત્રણ શિષ્યવૃત્તિમાંથી શિવાજી શિષ્યવૃત્તિ પર સાવરકર પણ જુલાઈ ૨૦૦૬માં બેરિસ્ટર થવા આવ્યા હતા. ‘ઇન્ડિયા હાઉસ’માં રહીને ભણે તેને માટે પૂર્વ શરત એ હતી કે એ ભવિષ્યમાં અંગ્રેજ સરકારની નોકરી નહીં કરે. આ ક્રાંતિકારીઓ તૈયાર કરવાનું કેન્દ્ર હતું. ઓક્ટોબર મહિનામાં અહીંના રસોડામાં માછલી તળતા સાવરકર સાથે ગાંધીજીને શાકાહાર અને માંસાહાર અંગે મતભેદભરી ચર્ચા થયેલી.

ગાંધીજી અધ્યક્ષ, સાવરકર વક્તા

ચંદુભાઈ ભગુભાઈ દલાલ (સંગ્રાહક)ની અથાગ મહેનતથી સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ દ્વારા ૧૯૭૬માં પ્રકાશિત ‘ગાંધીજીની દિનવારી’માં નોંધવામાં આવ્યું છે એ મુજબ, બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીની અધ્યક્ષતામાં લંડનમાં દશેરા નિમિત્તે ૨૪ ઓક્ટોબર ૧૯૦૯ના રોજ હિંદીઓના યોજાયેલા સ્નેહમિલનમાં વિનાયક દામોદર સાવરકર મુખ્ય વક્તા હતા. આ સમારંભમાં અસફ અલી અને ટી.એસ. રાજન પણ ઉપસ્થિત હતા.

સાવરકરનું અધિકૃત જીવનચરિત્ર લખનારા ધનંજય કીર દર્શાવે છે કે ૧૯૦૬થી ૧૯૦૯ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના પ્રશ્ને નામાંકિત એવા બેરિસ્ટર ગાંધી લંડન આવતા ત્યારે સાવરકર એમની સાથે ભારતીય પ્રશ્નોની ચર્ચા કરતા હતા. આમ છતાં, બંને મહાનુભાવોની જાહેર મુલાકાત નઝિમુદ્દીનના રેસ્તરાંમાં ૨૪ ઓક્ટોબર ૧૯૦૯ના રોજ યોજાયેલા ભોજન મેળાવડામાં થઇ અને એની જ સવિશેષ ચર્ચા રહી.

દક્ષિણ આફ્રિકાથી પધારેલા મશહૂર બેરિસ્ટર અને વિલાયતી પોશાકમાં સજ્જ ગાંધીજીના પ્રમુખપદે આ સમારંભ યોજાયો. હજુ મે ૧૯૦૯માં જ બેરિસ્ટર થયા છતાં એ સન્માનથી વંચિત કરાયેલા ક્રાંતિકારી સાવરકરના વ્યાખ્યાનને સાંભળવા માટે ભારતીય ડોકટર, વકીલ અને અન્ય નામાંકિત મહાનુભાવો ઉમટ્યા હતા. સાવરકરના ભાષણથી ગાંધીજી પ્રભાવિત થયા હોવાનું એમણે કબૂલ્યું હતું.

આ મેળાવડામાં સાવરકરે ‘અત્યાચાર, આક્રમણ અને અન્યાયના પ્રતીક સમા રાવણનો વધ કરીને જ શ્રીરામે રામરાજ્ય પ્રસ્થાપિત કર્યું હતું,’ એવું ભારપૂર્વક જણાવીને વધુમાં કહ્યું હતું: ‘હિંદુ એ હિંદુસ્થાનનું હૃદય છે. પરંતુ જે રીતે ઇન્દ્રધનુષ્યની રમણીયતા એના વિવિધ રંગોથી ઓછી થવાને બદલે વધુ ઝગારા મારે છે, એ મુજબ મુસ્લિમ, પારસી, યહૂદી વગેરે વિવિધ સંસ્કૃતિમાં જે શ્રેષ્ઠ છે એ સર્વને પોતાનામાં સમાવીને હિંદભૂના આકાશનું સૌદર્ય વધુ ખીલી ઊઠે છે.’ સાવરકરના પોણા કલાકના ભાષણ પછી અધ્યક્ષ ગાંધીએ કહ્યું કે ‘સાવરકરના ભાષણ પર ધ્યાન આપો અને એમના નિવેદનને બધા લોકો આત્મસાત કરે.’ (સાવરકર સમગ્ર ખંડ: ૧ - પૃષ્ઠ: ૬૧૨)

બંને જન્મે હિંદુ હતા. ગાંધીજી આસ્તિક, પણ સાવરકર નાસ્તિક હતા. કીર નોંધે છે કે બંનેના (સ્વાતંત્ર્ય મેળવવાના) માર્ગ નોખા હોવા ઉપરાંત બંને વચ્ચે અનેક વાર ચર્ચા થતી રહી હતી. ગાંધીજીએ ૧૯૦૯ના અંતમાં દક્ષિણ આફ્રિકા પાછા ફરતાં વહાણમાં જ બંને હાથે ગુજરાતીમાં ‘હિંદ સ્વરાજ’ લખ્યું અને એને પોતાના સામાયિક ‘ઇન્ડિયન ઓપિનિયન’માં હપ્તાવાર પ્રકાશિત પણ કર્યું હતું. ગાંધી-સાવરકર વચ્ચે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેના નોખા માર્ગ અપનાવવાનું અગાઉથી નક્કી થઇ ગયું હતું, છતાં સંવાદ તૂટ્યો નહોતો.

છેલ્લી જાહેર મુલાકાત

ગાંધીજી જાન્યુઆરી ૧૯૧૫માં ભારત પાછા આવ્યા. સાવરકરને કાળા પાણીની સજા માટે આંદામાનની સેલ્યુલર જેલમાં પાઠવાયેલા હતા અને કોંગ્રેસે પણ તેમને છોડી મૂકવા માટે માંગણી કરતો ઠરાવ કર્યો હતો. વર્ષ ૧૯૨૦માં લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધી, વીર વિઠ્ઠલભાઈ પટેલે કોંગ્રેસના મંચ પરથી સાવરકરની જેલમુક્તિની માંગણી કરી હતી. આજકાલ જે લોકો સાવરકરનાં અંગ્રેજ સરકાર સમક્ષનાં માફીનામાંની ચર્ચા કરે છે તેઓ અનુકૂળતાએ કોંગ્રેસના પેલા ઠરાવને વિસારે પાડે છે.

માર્ચ ૧૯૨૪માં આંદામાનથી છૂટીને રત્નાગિરીમાં, નિર્ધારિત શરતો મુજબ રહેવાની સરકારી પરવાનગી મુજબ, આવી સાવરકર વસ્યા. ૧ માર્ચ ૧૯૨૭ના રોજ એમના ઘરે ગાંધીજીની મુલાકાત થઇ એ છેલ્લી મુલાકાત બની રહી હતી. જોકે આ મુલાકાત ખૂબ સૌહાર્દપૂર્ણ રહી હતી. બંને વચ્ચે આઝાદી મેળવવાના માર્ગ અંગે મતભેદ હતા, પણ અંગ્રેજો ભારતમાંથી જાય એ લક્ષ્ય બંનેનું એકસમાન હતું.

‘નવજીવન’ના ૧૩ માર્ચ ૧૯૨૭ના અંકમાં ‘સાવરકર બીમાર હતા ત્યારે તેમને મળવા ગાંધીજી જઈ આવ્યા હતા’ એ વાર્તાલાપની નોંધ મહાદેવ દેસાઈના ‘મહારાષ્ટ્રનો પત્ર’ તરીકે પ્રકાશિત કરાઈ છે. આ નોંધમાં ‘આંદામાનમાં તપશ્ચર્યા કરી આવેલા ભાઈ સાવરકર’ તરીકે ઉલ્લેખ મળે છે. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના ૩૩મા ખંડમાં ગાંધીજી-સાવરકર વચ્ચેના વાર્તાલાપમાં નોંધવામાં આવ્યું છે:

‘અસ્પૃશ્યતા અને શુદ્ધિ વિશેના ગાંધીજીના વિચારોનું છાપામાં આવતું વિપરીત સ્વરૂપ ફેડવાની અહીં તેમને તક મળી. પણ વધારે ચર્ચાને માટે તેમણે ભાઈ સાવરકરને પત્રવ્યવહાર કરવા વિનંતી કરી.’ ‘સત્યના ચાહનારા તરીકે, સત્યને માટે મરણ પર્યંત લડનાર તરીકે તમારે માટે મને કેટલો આદર છે તે તમે જાણો છો. આખરે આપણું બંનેનું ધ્યેય તો એક જ છે,’ એવો મત વ્યક્ત કરતાં ગાંધીજી તો અગાઉથી નક્કી કાર્યક્રમ ના હોત તો બે-ત્રણ દહાડા રત્નાગિરીમાં સાવરકર સાથે ચર્ચા માટે રહેવા તૈયાર હોવાનું પણ જણાવે છે. ૧૮ વર્ષ પછી ગાંધીજી અને સાવરકરની આ મુલાકાત યોજાઈ હતી.

કીર તો કહે છે કે મહાત્મા રત્નાગિરીની મુલાકાતે જાય ત્યારે ત્યાંની પાલિકા અને જનતા તરફથી તેમનું જાહેર અભિવાદન કરવાનું વિચારાયું હતું, પણ સાવરકરની અનિચ્છાને કારણે એ માંડી વાળવામાં આવ્યું હતું. અતિઉત્સાહી ગાંધીવાદીઓએ સાવરકર વિશે ગાંધીજીના મનમાં વિષ ઘોળવાનો પ્રયાસ પણ કર્યો હતો છતાં સ્વયં ગાંધીજીએ બીમાર સાવરકરને ઘેર જવાનું નક્કી કરીને ઘણાને અચંબિત કરી દીધા હતા.

મહાત્માએ લોકોનાં દિલ જીતી લેતાં કહ્યું હતું: ‘રત્નાગિરી ટિળકનું જન્મગ્રામ હોવાથી તીર્થક્ષેત્રનું માહાત્મ્ય ધરાવે છે અને વીર સાવરકરનું વાસ્તવ્યસ્થાન પણ છે. ઈંગ્લેન્ડમાં સાવરકર અને મારો ગાઢ પરિચય થયો એમનો ત્યાગ અને દેશભક્તિ જગજાહેર છે. એટલે અમારી બંનેની વચ્ચે મતભેદ ભલે હોય પણ પ્રેમમાં કોઈ ઉણપ આવી નથી. મતભેદને રખે કોઈ શત્રુતા સમજી બેસે’.

ગાંધીજીનો પોતાના માટે આવો ભાવ સાંભળીને, તાવ હોવા છતાં, ચિઠ્ઠી મોકલીને મહાત્માને પોતાને ઘેર આવવા સ્વાતંત્ર્યવીરે નિમંત્રણ પાઠવ્યું અને ગાંધીજી આવ્યા પણ ખરા. બંને વચ્ચે શુદ્ધિ અંગે અને હિંદુ ધર્મ વિશે વિષદ ચર્ચા થઇ અને કીરે એ સંવાદ વિસ્તૃત રીતે મૂક્યો છે. બંને વચ્ચેની મુલાકાત ખુશનુમા વાતાવરણમાં યોજાઈ. સાવરકર બીમાર હોવા છતાં બંને ખૂબ હસ્યા પણ ખરા. બંને મહાનુભાવોની આ છેલ્લી મુલાકાત હોવા ઉપરાંત મતભેદ ધરાવતા હોવા છતાં, પારસ્પરિક માન સાથેની એ મુલાકાત વિરાટ વ્યક્તિત્વોનો પરિચય જરૂર કરાવી જાય છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter