ગુજરાતે બે કરતાં વધુ વડા પ્રધાન આપ્યાની વાજબી વાત

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Monday 22nd April 2019 10:59 EDT
 
 

ભારતના મોટા ભાગના વડા પ્રધાનો ઉત્તર પ્રદેશમાંથી આવ્યાની પ્રચલિત હકીકત સંદર્ભે આજે જરા નોખી વાત કરવી છે. માથે લોકસભાની ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે ગુજરાતે કેટલા વડા પ્રધાન ભારતને આપ્યા? હાજરજવાબી બિરબલોનો ઉત્તર ‘માત્ર બે’ હોય એ સ્વાભાવિક છે: મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી. જોકે આ ઉત્તર સાવ સાચો નથી એવું અમે કહીએ તો કદાચ તમને આશ્ચર્ય થાય, પણ વાત જરા માંડીને કરવી છે.

અત્યારના ભારતીય વડા પ્રધાન મોદી વાસ્તવમાં ૧૪મા વડા પ્રધાન છે અને મે ૨૦૧૯ પછી ઓછી બહુમતીએ પણ એ વડા પ્રધાન રહેવાની શક્યતા વચ્ચે અમે આ લખી રહ્યા છીએ. ભારતના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ (ફૂલપુરના સાંસદ) અને વર્તમાન વડા પ્રધાન મોદી (વારાણસીના સાંસદ) વચ્ચે દાયકાઓનું અંતર હોવા છતાં બંનેના ગુજરાત કનેક્શનની વાતનું સ્મરણ કરવું પડે. મૂળે કાશ્મીરી પંડિત એવા નેહરુ પરિવાર અને ભરૂચના પારસી કે જરથોસ્ત્ર પરિવારના કૌટુંબિક સંબંધ કોઈ નકારી શકે તેમ નથી. નેહરુ-પુત્રી પ્રિયદર્શિની ઇન્દિરા નેહરુ-ગાંધીનાં લગ્ન વૈદિક વિધિથી બંને પરિવારોની હાજરીમાં અલાહાબાદના આનંદ ભવનમાં ૧૯૪૨માં થયાં હતાં. નેહરુનાં બહેન કૃષ્ણા ગુણોત્તમ હઠીસિંહ અને વિજયાલક્ષ્મી રણજિત પંડિતના પારિવારિક સંબંધો ગુજરાત સાથે જ રહ્યા.

નેહરુ કરતાં સરદાર વધુ પ્રભાવી

નેહરુએ સરદાર પટેલને વડા પ્રધાન બનવા દીધા નહીં એવું ગાણું કે ભાવનાશીલ ગપગોળા બહુ ચલાવાય છે, પણ ૧૯૫૨ની પહેલી લોકસભાની ચૂંટણીથી લઈને નેહરુની કોંગ્રેસનાં અને ઇન્દિરાની કોંગ્રેસ સામે મોરારજીની કોંગ્રેસ અને જનતા પાર્ટીનાં એમ કુલ ૨૭ વર્ષ સાંસદ રહેલાં સરદાર-પુત્રી મણિબહેન પટેલ સ્વયં સ્વયં દુર્ગા દાસસંપાદિત સરદાર પટેલની ગ્રંથશ્રેણીના આમુખમાં નોંધે છે કે ‘સરદાર પટેલ ક્યારેય વડા પ્રધાન બનવાની મહેચ્છા ધરાવતા નહોતા.’ પહેલા નાયબ વડા પ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ વડા પ્રધાન નેહરુ કરતાં પણ વધુ પ્રભાવી હતા. એટલું જ નહીં, જમ્મૂ-કાશ્મીર મામલા સહિત તમામ બાબતોમાં નેહરુ સતત સરદારની સલાહ લઈને જ આગળ વધતા હતા. નેહરુ-સરદાર યુગનાં વિરાટ વ્યક્તિત્વો પારસ્પરિક ગરિમા જાળવીને મતભિન્નતા છતાં રાષ્ટ્રહિતને કેન્દ્રસ્થાને રાખીને સાથે મળીને કામ કરતાં હતાં.

નેહરુ પછી વડા પ્રધાનપદે કોણ ?

ભારતને ૧૯૪૭માં આઝાદી મળી અને ૧૯૫૦માં નાયબ વડા પ્રધાન સરદાર પટેલનું નિધન થયું હતું. સમયાંતરે નેહરુ પછી વડા પ્રધાનપદે કોણ આવશે, એવો પ્રશ્ન સતત પૂછાતો રહ્યો હતો. નેહરુની સરકારમાં ઘણા વરિષ્ઠો હતા અને તેમાં જગજીવન રામથી લઈને મોરારજી દેસાઈ જેવા મહારથી હતા. મોરારજી પોતાને નેહરુના અનુગામી ગણાવવા માંડ્યા હતા. જોકે ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધમાં નાલેશીભરી હારને પગલે નેહરુને લકવો પડ્યો. ૧૯૬૪માં જયારે નેહરુનું અવસાન થયું ત્યારે એમનાં પુત્રી અને કોંગ્રેસનાં અધ્યક્ષ રહી ચૂકેલાં ઇન્દિરા ગાંધીને બદલે નેહરુ-નિષ્ઠ લાલબહાદુર શાસ્ત્રી (અલાહાબાદના સાંસદ) વડા પ્રધાન વરાયા. ૧૯૬૫નું પાકિસ્તાન સાથેનું યુદ્ધ ટાંચાં સાધનો છતાં જીતવામાં એમના નેતૃત્વે મહત્વનું યોગદાન કર્યું, પણ તાશ્કંત ખાતે પાકિસ્તાનના સુપ્રીમો અયુબ ખાન સાથે મંત્રણાઓ માટે ગયેલા લાલબહાદુરનું નિધન થતાં ૧૯૬૬માં ફરીને દેશના વડા પ્રધાનની વરણીનો મામલો સામે આવ્યો.

ઇન્દિરા કોંગ્રેસ અને સંસ્થા કોંગ્રેસ

નેહરુના નિધન વખતે અને શાસ્ત્રીના નિધન વખતે હંગામી વડા પ્રધાન તરીકે તેર-તેર દિવસ માટે વરાયેલા ગુલઝારીલાલ નંદા (સાબરકાંઠાના સાંસદ) વડા પ્રધાનના હોદ્દે પક્ષ થકી પસંદગી પામે એ માટે ઉત્સુક હતા, પણ નસીબે તેમને ઘણી બધી ધાર્મિક વિધિઓ છતાં યારી આપી નહીં. છેવટે શાસ્ત્રીની કેબિનેટમાં માહિતી અને પ્રસારણ પ્રધાન રહેલાં શ્રીમતી ઇન્દિરા ગાંધી (રાયબરેલીનાં સાંસદ) અને મોરારજીભાઈ વચ્ચે સ્પર્ધા થઇ. મોરારજી હાર્યા. જોકે તેમને નાયબ વડા પ્રધાન અને નાણાપ્રધાન તરીકે રહેવા સમજાવી લેવામાં આવ્યા.

ભાંગેલું મોતી રેણ થકી સંધાય નહીં, એટલે આખરે ૧૯૬૯માં રાષ્ટ્રપતિની ચૂંટણીના મુદ્દે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. ઇન્દિરા કોંગ્રેસ અને સંસ્થા કોંગ્રેસ અસ્તિત્વમાં આવી. મોરારજી દેસાઈ (સુરતના સાંસદ)ની વડા પ્રધાન થવાની મહેચ્છા ઇન્દિરા ગાંધીએ લાદેલી ઈમરજન્સી દરમિયાન જેલવાસ પછી છેક માર્ચ ૧૯૭૭માં બર આવી તો ખરી, પણ પૂર્ણ મુદત માટે એ હોદ્દે રહી શક્યા નહીં. મોરારજીભાઈ કાયમ દક્ષિણ ગુજરાતની બેઠક પરથી જ લોકસભા માટે ચૂંટણી લડ્યા અને ગુજરાતની બેઠક પરથી જ વડા પ્રધાન થયા હતા.

એમના વડપણ હેઠળની જનતા પાર્ટીની સરકારનાં બે નાયબ પ્રધાનોમાંથી ચૌધરી ચરણ સિંહ (બાગપતના સાંસદ) છૂટા થયા અને ઇન્દિરા ગાંધીની કોંગ્રેસના ટેકે વડા પ્રધાન થયા તો ખરા, પણ એક પણ દિવસ માટે લોકસભાનો મુકાબલો કર્યા વિના ૧૭૦ દિવસ વડા પ્રધાન રહ્યા.

ઈન્દિરાજી પછી રાજીવ વડા પ્રધાન

એ પછી ૧૯૮૦માં ભારે બહુમતી સાથે કોંગ્રેસનાં શ્રીમતી ગાંધી (મેડક–તેલંગણનાં સાંસદ) સત્તામાં આવ્યાં. જોકે ભિંડરાણવાલે કાંડને પગલે ઓપરેશન બ્લ્યૂ સ્ટાર હેઠળ અમૃતસરના પવિત્ર સુવર્ણ મંદિર સંકુલમાં લશ્કર મોકલવાના કેન્દ્રના પગલાના પ્રત્યાઘાતરૂપે ઓક્ટોબર ૧૯૮૪માં વડા પ્રધાન નિવાસ પર જ તેમના સુરક્ષા કર્મચારીઓએ ઇન્દિરા ગાંધીને ગોળીએ દીધાં એટલે એમના પુત્ર રાજીવ ગાંધી (અમેઠીના સાંસદ) વડા પ્રધાન થયા. બોફોર્સની હોવિત્ઝર તોપોની ખરીદીમાં ૬૪ કરોડ રૂપિયાની દલાલીના પ્રકરણે રાજીવ માટે માઠા દિવસ આણ્યા. આજ દિવસ સુધીની તમામ સરકારોએ આ દલાલીના ૬૪ કરોડ રૂપિયા કોના ખિસ્સામાં ગયા એ શોધવામાં ૫૫૦ કરોડ રૂપિયા કરતાં વધુ ખર્ચ કર્યાં છતાં એ માહિતી મળી નથી. હા, એ મુદ્દે રાજીવ સરકાર ડૂલ થઇ અને વી. પી. સિંહ (ફતેહપુરના સાંસદ) વડા પ્રધાન બન્યા. એમની સરકાર આવી અને ગઈ.

એ પછી તો ‘આકસ્મિક’ વડા પ્રધાનોની જાણે કે વણઝાર ચાલી. ક્યારેક જનતા પાર્ટીના પ્રમુખ રહીને વડા પ્રધાન મોરારજી દેસાઈની સરકારમાં જોડાવાનો ઇનકાર કરી દેનારા ચંદ્રશેખરે (બલિયાના સાંસદ) કોંગ્રેસના ટેકે ૨૨૩ દિવસ વડા પ્રધાનપદ ભોગવ્યું. એ પછી ભાજપના અટલ બિહારી વાજપેયી (લખનઊના સાંસદ)ની સરકાર આવી અને ગઈ.

જોકે છેક મે ૨૦૧૪માં ત્રણેક દાયકા પછી પહેલી વાર કોઈ એક પક્ષને લોકસભામાં બહુમતી મળી અને ભાજપના નેતૃત્વવાળી વડા પ્રધાન મોદી (વારાણસીના સાંસદ)ની સરકાર પાંચ વર્ષ ચાલી. વચ્ચે રાજીવ ગાંધીની મે ૧૯૯૧માં ચૂંટણી પ્રચાર દરમિયાન હત્યા થતાં કોંગ્રેસના નેતા પી. વી. નરસિમ્હા રાવ (નાડ્યાલ-તેલંગણના સાંસદ)ની લઘુમતી સરકાર પાંચ વર્ષ ચાલી પછી ૧૩ દિવસ માટે અટલ બિહારી વાજપેયીની સૌથી પહેલી વાર ૧૩ દિવસની સરકાર આવી અને ગઈ. એ પછી એચ. ડી. દેવેગૌડા (રાજ્યસભામાં કર્ણાટકના સાંસદ) અને આઈ. કે. ગુજરાલ (રાજ્યસભામાં પંજાબી સાંસદ)ની અલ્પજીવી સરકારના તેઓ બંને ‘આકસ્મિક’ વડા પ્રધાન બન્યા.

‘ઇન્ડિયા શાઈનિંગ’નો રથ ભપ્પ

ઓક્ટોબર ૧૯૯૯થી વડા પ્રધાન રહેલા વાજપેયી વર્ષ ૨૦૦૪માં ‘ઇન્ડિયા શાઈનિંગ’ના રથ પર આરૂઢ થઈને ફરી વડા પ્રધાન બનવા ઈચ્છુક હતા ત્યારે એમનો મોરચો હાર્યો અને કોંગ્રેસના નેતૃત્વવાળો મોરચો સત્તામાં આવ્યો. યુપીએનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની કૃપાથી વડા પ્રધાનપદે ડો. મનમોહન સિંહ (રાજ્યસભામાં આસામના સાંસદ) આવ્યા. વર્ષ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં વાજપેયી સરકારના નાયબ વડા પ્રધાન રહેલા ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ આડવાણીને વડા પ્રધાનપદ માટે આગળ કરીને ભાજપના વડપણવાળો મોરચો લડ્યો, પણ ફરીને કોંગ્રેસના વડપણવાળો મોરચો જીત્યો અને ડો. મનમોહન સિંહ ફરી વડા પ્રધાન થયા.

વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ કરીને ભાજપી મોરચો લડ્યો અને વિજયી બન્યો. જોકે વડોદરા અને વારાણસી બંને બેઠકો પરથી લડેલા મોદીએ વડોદરાની બેઠક પરથી રાજીનામું આપીને ૧૯૯૬માં અટલજીએ ગાંધીનગર છોડીને લખનઊ બેઠક જાળવી હતી તેમ ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાનું પસંદ કર્યું. આ વખતે તો મોદી વારાણસી બેઠક પરથી લડી રહ્યા છે. એટલે એ ગુજરાતના પનોતા પુત્ર ખરા, પણ બંને વાર પ્રતિનિધિ તો ઉત્તર પ્રદેશના જ ગણાય.

આ જ ફોર્મ્યૂલા કામે લગાડીએ તો મૂળ પંજાબમાં જન્મેલા પણ સાબરકાંઠાના સાંસદ એવા ગુલઝારીલાલ નંદા ઉપરાંત ઉત્તર પ્રદેશનાં કે અત્યારના તેલંગણ પ્રદેશનાં સાંસદ રહેલાં ‘ગુજરાત કી બહૂ’ ઇન્દિરા ગાંધી અને અમેઠીના સાંસદ અને ગુજરાતના ભરૂચના લાલ રાજીવ ગાંધી પણ ગુજરાતી પરિવારના હોવાને કારણે ગુજરાતને વડા પ્રધાનપદનું ગૌરવ અપાવનાર ગણાવી તો શકાયને? કોંગ્રેસના આ કથિત નામદારો સાથે જ ભાજપમાં જે નેહરુ-ગાંધી પરિવારનાં કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી અને ભાજપી સાંસદ ફિરોઝવરુણ ગાંધી (બંને છો ઉત્તરપ્રદેશનાં સાંસદ હોય) પણ ગુજરાતનાં જ ગણાય કે નહીં?

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter