ચૂંટણીના મહાપર્વમાં સત્ય-અસત્યનાં નીરક્ષીરની કવાયત

રંગબેરંગી રાજકારણ

ડો. હરિ દેસાઇ Monday 30th October 2017 05:54 EDT
 
 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ જાહેરાત કરે એ પહેલાંથી ચૂંટણીજવર ઊભા ગુજરાતને અનુભવાતો હતો. આગામી ૯ અને ૧૪ ડિસેમ્બર ૪ કરોડ કરતાં વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરીને ગુજરાત વિધાનસભાના ૧૮૨ સભ્યો ચૂંટવાના પર્વમાં સહભાગી થશે. ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) થકી હાર-જીતનાં નીરક્ષીર થઈ જશે. વર્તમાન ધારાસભ્યની મુદ્દત ૨૨ જાન્યુઆરી ૨૦૧૮ સુધીની હોવા છતાં મહિનો વહેલી ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી દઈને જાહેરનામું બહાર પાડી દેવાશે.

પાટીદાર અનામત આંદોલન, ઠાકોર-ક્ષત્રિય ઓબીસી આંદોલન અને દલિત આંદોલનની નેતૃત્વ ત્રિપુટી હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીને હસી કાઢનારાઓ સાડા ત્રણ વર્ષ પછી પણ આંદોલનકારીઓના રાજકીય મહત્ત્વને સ્વીકારતા ના થયા હોત તો તેમને સત્તારૂઢ ભાજપ કે સત્તાકાંક્ષી કોંગ્રેસ સાથે જોડવાના ઉધામા શમી ગયા હોત. માર્ચ ૧૯૯૫માં કેશુભાઈ પટેલના વડપણ હેઠળ ભાજપ રાજ્યમાં સત્તારૂઢ થયો એ પછી અસંતુષ્ઠ ભાજપી નેતા શંકરસિંહ વાઘેલાએ ઉધામા શરૂ કરીને ઓક્ટોબર ૧૯૯૫માં જ ‘માસ્ટરજી’ મુખ્ય પ્રધાન એવા સુરેશ મહેતાને આરૂઢ કરાવ્યા હતા.

વરસ પૂરું પણ મહેતાને ગાદીએ રહેવા દીધા વિના શંકરસિંહ સંઘ-જનસંઘ-ભાજપના સંસ્કાર ભૂલીને કોંગ્રેસના ચરણમાં, લોટાંગણ થઈને ૨૩ ઓક્ટોબર ૧૯૯૬એ મુખ્ય પ્રધાન બન્યા. સમર્થક કોંગ્રેસે વાઘેલાને ‘ભ્રષ્ટાચાર શિરોમણિ’ જાહેર કરતાં રાજ્યપાલને લાંબુલચક આવેદનપત્ર આપ્યું એટલે દિલીપ પરીખનું ભાગ્ય ખૂલી ગયું. જોકે, ૨૮ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ મુખ્ય પ્રધાન બનેલા પરીખને વાઘેલાવ્યૂહે માર્ચ ૧૯૯૮ લગી ઊઠાડી મૂક્યા અને ભાજપની સરકાર કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ફરી સ્થપાઈ.

૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ કેશુભાઈને સ્થાને નરેન્દ્ર મોદીને મૂકવામાં આવ્યા અને ભાજપ માટે મોદીયુગ જ નહીં, સોનાનો સૂરજ ઊગ્યો. ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીઓ મોદીના નેતૃત્વમાં લડાઈ પણ વિધાનસભામાં બેઠકો ઘટતી રહી. એ અનુક્રમે ૧૨૭, ૧૧૭ અને ૧૧૫ થઈ. મે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદના ઉમેદવાર બન્યા એટલે ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો ભાજપને મળી. મોદીનાં અનુગામી તરીકે આનંદીબહેન પટેલ આવ્યાં તો ખરાં, પણ પટેલ અનામત આંદોલને જ એમનો ભોગ લીધો. રાજ્યની ૩૩ જિલ્લા પંચાયતોમાંથી ૨૬ પર કોંગ્રેસનો વિજયડંકો વાગ્યો અને પાટીદાર અજંપો ખાળવા માટે નીતિન પટેલના ફટાકડા ફૂટી ગયા પછી વિજય રૂપાણીનું નામ મુખ્ય પ્રધાન તરીકે જાહેર થયું. મુખ્ય પ્રધાન પદના આકાંક્ષી અમિત શાહનું રાજ્યસભે જવાનું થયું એટલે ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણી પછી રૂપાણીનું નામ ભલે ચાલતું રહે, કેન્દ્રના રાજ્યપ્રધાન મનસુખ માંડવિયા પટેલ હોવાને કારણે સંભવિત ઉમેદવારોમાં સ્પર્ધામાં છે. એમ તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની સાથે જ સૌરાષ્ટ્રના પાટીદાર યુવા નેતા પરેશ ધાનાણીનું નામ પણ મુખ્ય પ્રધાનપદની ચર્ચામાં ખરું. શંકરસિંહ તો પોતાને કાયમી મૂરતિયા લેખાવતા રહ્યા છે.

વડા પ્રધાન મોદી પરની સંજય લીલા ભણશાલીની ફિલ્મ

ગુજરાતમાં યેન કેન પ્રકારણે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવીને વર્ષ ૨૦૧૭ની લોકસભાની ચૂંટણીમાં પણ નરેન્દ્ર દામોદારદાસ મોદીએ ડંકો વગાડવાનો છે. ‘ચાવાળા’ (મણિશંકર ઐયરે આપેલું વિશેષણ) મોદીની વડા પ્રધાન પદ સુધીની મજલ વિશે અનેક જીવનકથાઓ પ્રકાશિત થઈ ચૂકી છે. હવે બોલિવૂડના સૌથી વધુ સફળ ગણાયેલા નિર્માતા-નિર્દેશકોમાંના એક એવા સંજય લીલા ભણસાળી નરેન્દ્ર મોદી પર ફિલ્મ બનાવી રહ્યા છે.

અત્યાર લગી મુખ્યત્વે ઐતિહાસિક ફિલ્મો બનાવનાર આ ગુજરાતી હસ્તીના મીડાસ ટચથી હવે વડનગર-તારંગાની અત્યારે બંધ કરાયેલી રેલવેના વડનગર સ્ટેશન સહિતના વતન નગરનાં દૃશ્યોને કચકડે મઢીને ‘બાહુબલિ’ જેવી ‘બાહુબલિ મોદી’ વિશેની ફિલ્મ બનાવાઈ રહી છે. આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે એ દેશભરમાં અને વિદેશોમાં રિલીઝ થઈ જાય એવી ગણતરી મૂકાઈ રહી છે. એ મેગા-ફિલ્મનાં રેલવેની ગાડીનાં દૃશ્યો અન્યત્ર શૂટ થઈ રહ્યાં છે, પણ મહેસાણાથી તારંગા વાયા વડનગર અને ખેરાળુનાં સ્ટેશનોના દૃશ્યો ઝડપવા સહિતની કામગીરી ચાલી રહી છે. રેલવે તંત્રને એ માટે સૂચનાઓ પણ અપાઈ ચૂકી છે. જોકે, આ બધું ફોન વ્યવહાર પર ચાલતું લાગે છે.

મહેસાણાથી તારંગાની મીટરગેજ રેલવેનું બ્રોડગેજમાં રૂપાતંરણ થઈને એને અંબાજી સાથે જોડવાની બ્રિટિશ યુગની યોજના અને સ્થાનિક અગ્રણીઓ પ્રિ. પોપટલાલ બ્રહ્મભટ્ટ જેવાઓની વારંવારની રજૂઆતોને મોદીયુગમાં કાન દેવાયા હોય એવું અવશ્ય લાગે છે. અગાઉ મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે એમના જેવી લાગતી વ્યક્તિને ફિલ્મે ચમકાવાઈ હતી, પણ મેગા-પ્રકલ્પોનું વિચારનાર નરેન્દ્ર મોદી પરની આગામી જે ફિલ્મ સંજય લીલા ભણશાલી બનાવી રહ્યા છે એ જોધા-અકબર, બાજીરાવ મસ્તાની અને પદ્માવતીની શ્રેણીમાં ગાજવીજ કરે એવી આ નરેન્દ્ર મોદીવાળી ફિલ્મ હશે એવું મનાય છે.

ગુજરાત ટકાવવા અને હિમાચલ છીનવવાના વ્યૂહ

મોદીયુગીન ભાજપ ‘કિલર્સ ઈન્સ્ટિંગ’થી કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારનો કબજે કરવામાં માને છે. નીતિમૂલ્યો અને આદર્શોની વાતોનાં વડાંથી સત્તાપ્રાપ્તિ થતી નથી, એ વાત મોદીસેનાને બરાબર સમજાઈ ચૂકી છે. વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને વડા પ્રધાન મોદી વચ્ચેના ફરકને ભાજપની પ્રજા સમજી ચૂકી છે. ભાજપમાં જોડાઈને સત્તા સાથે સંવનન કરવા આતુર રીઢા કોંગ્રેસીઓને પોતાની સેનામાં જોડવામાં હવે કોઈ છોછ રહ્યો નથી. રાવણ અને વિભિષણનાં ઉદાહરણો આગળ કરાય છે. રાજકારણમાં કોઈ મંજીરા વગાડવા આવતું નથી એટલે સાથે આવ્યા એમને સાચવી લ્યો અને સામેવાળાઓને પૂરા કરો એ મંત્ર સાથે ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત બનેલા નરેન્દ્ર મોદી આગેકૂચ કરી રહ્યા છે. કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવવાની બાબતમાં એ લગભગ સફળ રહ્યા છે અને હવે બાકી રહેલા કોંગ્રેસીગઢ કબજે કરવા ઉપરાંત કમ્યૂનિસ્ટોના ગઢના કાંગરા ખેરવવા ભણી ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

સામ, દામ, દંડ અને ભેદની નીતિરીતિમાં એમને ગાંધીજીની સાધનશુદ્ધિ નડતી નથી. પ્રેમ અને યુદ્ધમાં બધું જ વાજબી ગણાય છે એ ન્યાયે ભાજપની સેનાને લઈને સમગ્ર સંઘ પરિવારને કામે જોતરીને એ આગેકૂચ કરી રહ્યા છે.

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસી મુખ્ય પ્રધાન અને રાજવી પરિવારના વીરભદ્રસિંહને અનેક ખટલાઓ, સીબીઆઈ તથા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની તપાસોમાં અટવાઈ જાય એટલી હદે પરેશાન કરી મૂક્યા છતાં વીરભદ્ર હાર માને એવા નથી. કોંગ્રેસે એમને ફરી મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યાં છે. બીજા રાજ્યોમાં ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓને ભાજપ સાથે જોડવાના વ્યૂહ રચીને સત્તારૂઢ થવાની મોદી-અમિત શાહની વ્યૂહરચના સફળતા મેળવતી ગઈ હતી. હિમાચલમાં સાંસદ શાંતાકુમારને મુખ્ય પ્રધાનપદેથી હટાવીને મોદીએ રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) તરીકે પ્રેમકુમાર ધૂમલને મુકાવ્યા હતા. ધૂમલના પુત્ર અનુરાગ ઠાકુર અત્યારે ભાજપના સાંસદ છે. બીસીસીઆઈના અધ્યક્ષપદેથી સર્વોચ્ચ અદાલતના નિર્દેશોને પગલે દૂર થયા હતા. ધૂમલ ફરી મુખ્ય પ્રધાન બને એવી મોદીની ઈચ્છા સામે પક્ષમાં એક જૂથ બળવો કરવાની સ્થિતિમાં છે, છતાં હિમાચલ પ્રદેશ ભાજપ કબજે કરે એવું લાગે છે.

સાથે જ ગુજરાતમાં ભાજપ માટે જીતવું અનિવાર્ય છે. વિધાનસભા ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા અને શરદ પવાર-નિષ્ઠ પ્રફુલ્લ પટેલ ભાજપની બી-ટીમ તરીકે કામ કરી રહ્યા છે. આંદોલન ત્રિપુટીએ સત્તારૂઢ પક્ષની નીંદર ઊડાડી છે. જોકે, સોશિયલ મીડિયામાં ચલાવાતા ગપગોળા કયા પક્ષને કેટલું નુકસાન કે લાભ પહોંચાડી શકે એના પર બધો મદાર છે. આમ છતાં ઘટતી બેઠકો સાથે પણ ભાજપ સરકાર બનાવે એવા સંજોગો જરૂર વર્તાય છે.

રાજસ્થાન અને ગુજરાતમાં નોખાં ધોરણ

ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અનામત પ્રથાને કાયમ રાખવાની પક્ષધર નથી. અનામત પ્રથાના લાભાલાભની સમીક્ષાની વાત કરે છે. સંઘની પ્રતિનિધિ સભા અનામત પ્રથાને કાખઘોડી ગણાવે છે. છેલ્લે બિહાર વિધાનસભાની ચૂંટણી ટાણે સંઘના સરસંઘચાલક ડો. ભાગવતે પોતાના વક્તવ્યમાં ઉપરોક્ત ભૂમિકા રજૂ કરી અને ભાજપ બિહારમાં પરાજિત થઈ ગયો હતો. એ પછી તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હું જીવું છું ત્યાં લગી અનામત પ્રથાને કોઈ દૂર નહીં કરી શકે’ એવાં વચન આપતાં રહેવું પડ્યું છે. એમની સરકારના સમાજ કલ્યાણ રાજ્યપ્રધાન રામદાસ આઠવલે તો છાસવારે કહેતા ફરે છે કે સુપ્રીમ કોર્ટે ભલે અનામતની ટકાવારીને ૫૦ ટકાથી વધુ નહીં કરવાનો ચુકાદો આપ્યો હોય, અમે તો એને બંધારણ સુધારો કરીને ૭૫ ટકા સુધી લઈ જઈને સવર્ણોના આર્થિક રીતે પછાતોને પણ અનામતનો લાભ આપીશું.

રાજનેતાઓનાં ઠાલાં વચન જેવું આ વચન છેલ્લાં બે-ત્રણ વર્ષથી આઠવલે આપતા ફરે છે, પણ ગુજરાતના ઉજળિયાત પછાતોને એ લાભ મળે એવું કરતા નથી. ઊલટાનું પાટીદારોની અનામત માટે આગ્રહી માગણીમાં મુખ્ય પ્રધાન આનંદીબહેને ખુરશી ગુમાવવી પડી હતી.

અન્ય રાજ્યોમાં સ્થિતિ ઊલટી છે. નવાઈ એ વાતની છે કે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાજપની જ સરકાર છે. મુખ્ય પ્રધાન વસુંધરા રાજાએ હજુ વીતેલા સપ્તાહમાં જ ગુર્જરો સહિતની પાંચ જ્ઞાતિઓને ઓબીસી અનામતનો લાભ મળે એ માટે અન્ય પછાત વર્ગો (ઓબીસી)ની અનામત ટકાવારી ૨૧ ટકાથી વધારીને ૨૬ ટકા કરતું વિધેયક વિધાનસભામાં પસાર કર્યું. આને કારણે અનામતની કુલ ટકાવારી ૫૦ ટકાથી વધી જાય છે. વણજારા, લુહાર, ગુર્જર, રબારી અને ગડરિયા સમાજને રાજી કરવા માટે આ પગલું લેવાયું છે. ગુજરાતના પાટીદારો પણ આવી જ વ્યવસ્થા ગુજરાતમાં ઝંખે છે, છતાં સાડા ત્રણ વર્ષથી ગાંધીનગર એ કરવા તૈયાર નથી.

સુરતમાં ફરી અમિત શાહવાળી ધમકી

ગુજરાતમાં કુલ અનામતની ટકાવારી ૪૯ ટકા છે. ૭ ટકા દલિત માટે, ૧૫ ટકા આદિવાસી માટે અને ૨૭ ટકા ઓબીસી માટે. હાર્દિક પટેલના વડપણવાળી પાટીદાર અનામત આંદોલન સમિતિ (‘પાસ’)ની નિર્ણાયક સમિતિની શનિવાર, ૨૮ ઓક્ટોબરે મળેલી બેઠકમાં ફરીને સુરતમાં અમિત શાહવાળી કરવાની (એટલે કે સભા ખોરવવાની) કોંગ્રેસને ધમકી આપી છે. કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી ૩ નવેમ્બરે સુરતમાં સભા સંબોધે એ પહેલાં પાટીદારોને ઓબીસી અનામત કઈ રીતે આપશો એ કોંગ્રેસ જણાવે. એના ઉત્તરમાં કોંગ્રેસ તરફથી ટ્વિટ કરાયું હતું કે ‘કોંગ્રેસ ગુજરાતમાં સરકાર રચતાંની સાથે જ અત્યારની ૪૯ ટકા અનામત (૭ ટકા અનુસૂચિત જાતિ + ૧૫ ટકા અનુસૂચિત જનજાતિ + ૨૭ ટકા ઓબીસી)ને અસર ના થાય તેવું ૨૦ ટકા બિનઅનામત વર્ગ માટેનું અનામતનું વિધેયક લાવશે.’

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter