મહર્ષિ અરવિંદનું સ્વપ્નઃ ભાગલા મિટાવીને એકતા સ્થાપીએ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Tuesday 08th August 2017 08:54 EDT
 
 

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સ્વતંત્ર ભારતનો જન્મદિવસ. મહર્ષિ અરવિંદનો જન્મદિવસ, પણ ૧૫ ઓગસ્ટ. એ દૃષ્ટિએ અરવિંદ ઘોષના જીવનમાં પણ ૧૫ ઓગસ્ટનું મહત્ત્વ અને મહાત્મ્ય સવિશેષ રહ્યું. ક્યારેક મહારાજા સયાજીરાવ ગાયકવાડ ઓફ બરોડાના અંગત સચિવ રહેલા અને ક. મા. મુનશી જેવા બરોડા કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓના અધ્યાપક-આચાર્ય રહેલા અરવિંદની બ્રિટિશ શાસન સામેની બળવાખોરી એમને બોમ્બ સંસ્કૃતિ ભણી દોરી ગઈ હતી. જેલવાસ પણ ભોગવ્યો. એ પછી ૧૯૧૦થી પાંડિચેરી (હવેના પુડુચેરી)ના અરવિંદ અધ્યાત્મ્ય તરફ એવા ઢળ્યા કે ૧૯૨૦માં ડો. બી. એસ. મુંજે અને ડો. કેશવ બલિરામ હેડગેવાર જેવા કોંગ્રેસીનેતાઓ નાગપુરથી જઈને પાંડિચેરીમાં મહર્ષિને વિનવતા હતા કે લોકમાન્ય ટિળકનું સ્થાન લઈને આપ ૧૯૨૦ની નાગપુર કોંગ્રેસના અધ્યક્ષપદને શોભાવો, પણ મહર્ષિ ના માન્યા. એ બધાથી વિરક્ત થયા હતા, પણ રાષ્ટ્રના હિત અને ઉત્થાનની બાબતમાં એ સદૈવ ચિંતન અને ચિંતા કરતા રહ્યા.

એમણે નોંધ્યુંઃ ‘મારા જીવનકાળ દરમિયાન જે જે જગદવ્યાપી પ્રવૃત્તિઓને સફળ થવાની મેં આશા સેવી હતી, અને તે કાળે તો એ પ્રવૃત્તિઓ કેવળ અવ્યવહારુ સ્વપ્ન જેવી જ દેખાતી હતી, તે સઘળી પ્રવૃત્તિઓને હું આજે સફળ થતી યા તો સફળતાની દિશામાં ગતિ કરતી જોઉં છું. સ્વતંત્ર બનેલું ભારત આ સર્વ પ્રવૃત્તિઓમાં ઘણો મોટો ભાગ ભજવી શકે છે, જગતને માર્ગદર્શક બની શકે છે.’

નષ્ટભ્રષ્ટ નહીં થવાનો અક્સીર ઈલાજ

ભારત સ્વતંત્ર થયું ત્યારે મહર્ષિએ પોતાનાં સ્વપ્નોમાંના પ્રથમ સ્વપ્નમાં ક્રાંતિકારી આંદોલન દ્વારા સ્વતંત્ર અને સંગઠિત ભારતના સર્જનની વિભાવના રજૂ કરી હતી. સ્વતંત્રતા તો મળી, પણ એકતા નહોતી. છૂટાં છૂટાં રાજ્યોની અંધાધૂંધી ભરેલી હાલતમાં એ સરી પડશે એવું લાગતું હતું. જોકે, આશાવાદ ટક્યો હતો. ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત બ્રિટિશ ઈંડિયા સ્વતંત્રતા પછી સ્વતંત્ર ભારત તરીકે, અખંડ ભારત તરીકે આકાર લે એવી એમના સ્વપ્નની સિદ્ધિ અપેક્ષિત હતી. એ સિદ્ધ થાય એ પૂર્વે જ એમણે તો વિદાય લીધી, પણ નવી પેઢીને શીરે એ સ્વપ્નપૂર્તિની જવાબદારી છોડતા ગયા.

ધનાઢ્ય પરિવારમાં જન્મેલા મહર્ષિએ દલિતોના પ્રશ્નો અને હિંદુ-મુસ્લિમ ખટરાગનો નિવેડો લાવવાની અપેક્ષા કરતું ચિંતન પણ કર્યું હતું. ‘આ ભાગલા રહેશે ત્યાં સુધી આંતરવિગ્રહનો હંમેશા સંભવ રહેવાનો એટલું જ નહીં, ભારત પર કોઈ બીજી સત્તાનું આક્રમણ પણ બને, અને પરદેશી સત્તાનાં હાથમાં પાછું ભારત ચાલ્યું જાય. ભાગલાને લીધે ભારતનો પોતાનો આંતરિક વિકાસ અને પ્રગતિ પણ અટકી પડે. જગતની પ્રજાઓમાં પણ તેનું સ્થાન નબળું પડી જાય, તથા ભારતનું પોતાનું જે વિશિષ્ટ જીવનકાર્ય છે તેને ક્ષતિ પહોંચે અને નષ્ટભ્રષ્ટ પણ થઈ જાય એવો પણ સંભવ છે જ. આમ ન જ થવા દેવાય. ભાગલા જવા જ જોઈએ.’

ગુરુજીની અખંડ ભારતની કલ્પના

મહર્ષિ અરવિંદ થકી જે સ્વપ્ન જોવામાં આવ્યું એમાં ભાગલા જવા જ જોઈએ અને એકતા સ્થાપવી જ જોઈએ અને સ્થપાશે જ એવી શ્રદ્ધાનો રણકો પણ હતો. ભારતને ભવિષ્યમાં મહાન બનાવવા માટે ભારત-પાક-બાંગલાદેશનો વીંટો વાળવવાની અનિવાર્યતા ઘણાને અનુભવાય છે. એ શક્ય છે ખરું? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (શ્રી ગુરુજી) પણ ભારતને અખંડ જોવાનું સ્વપ્ન સાકાર કરવાનો મંત્ર સંઘ પરિવાર તરીકે આજે ઓળખાતા વિશાળ વટવૃક્ષ સમક્ષ મૂકીને એ ગયા છે. ‘અખંડ ભારતની કલ્પનાને સાકાર કરીએ’ એ મંત્ર ગુરુજી જેવા ભારતના મહર્ષિના શબ્દો અને બૌદ્ધિકોમાં સતત પડઘાતો રહ્યો છે. ભાગલા જે તે સમયે રાજકીય સમાધાન માટે અનિવાર્ય હતા એ વાત સરદાર પટેલે બંધારણ સભામાં સુપેરે મૂકી છે. ભાગલા માટે પંડિત નેહરુ સંકોચ અનુભવતા હતા. સરદાર એ માટે મક્કમ હતા. વી. પી. મેનનની યોજના સ્વીકારી લેવા સરદારે નેહરુને કહ્યું ત્યારે મહાત્મા ગાંધી તો જાણતા પણ નહોતા કે પોતાના ડાબા-જમણા હાથ સમા બે કોંગ્રેસ નેતાઓએ ભાગલા માટે જીભ કચરી દીધી છે. ગાંધીજી શહીદી ભાગલા નિમિત્તે આવી પડી એ પણ વિધિની કેવી વક્રતા! છતાં સંઘના સુપ્રીમો ગુરુજી કહે છે તેમ ભાગલા પછી લોક ઈચ્છાશક્તિને આધારે અખંડ ભારતને પુનઃ હકીકત બનાવી શકાય છે.

ઈતિહાસમાંથી ભવિષ્ય ભણી આગળ વધીએ

ભારત અને આસપાસના રાષ્ટ્રોના દક્ષિણ એશિયાઈ સંગઠન (‘સાર્ક’)માં પાકિસ્તાન, બાંગલાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા અને માલદીવનો સમાવેશ થાય છે. ‘સાર્ક’નું માધ્યમ સંગઠિત થવાની દિશામાં આગેકૂચ કરવાના ખ્યાલ સાથે જ ગુજરાતી એચ. ટી. પારેખ (ICICI અને HDFCના સંસ્થાપક) થકી રજૂ થયેલું મોડેલ હતું.

રાજકીય શાસકોના અંગત રાગદ્વૈષને બાજુએ સારીને પ્રત્યેકના દેશના વિશાળ હિતમાં અને સહિયારા હિતમાં ‘સાર્ક’ સક્રિય રહે એ અનિવાર્ય છે. મહર્ષિ અરવિંદ કે શ્રી ગુરુજીને અભિપ્રેત ભારત-પાકિસ્તાન અને ૧૯૭૧ પછીના બાંગલાદેશનો વિલય ભારતમાં થાય એ શક્યતા અત્યારે બહુ સફળતાને વરે એવું લાગતું નથી. છતાં યુરોપિયન યુનિયન (ઇયુ)ની કલ્પનાને અનુરૂપ પ્રત્યેક દેશની આગવી ઓળખ અને તંત્ર જળવાઈ રહે છતાં સાથે મળીને કામ કરી શકાય એવું અશક્ય નથી. ક્યારેક ભારતના એ ભાગલા ધાર્મિક મુદ્દે થયા હતા. કાયદેઆઝમ મોહમ્મદ અલી ઝીણાને મુસ્લિમો માટે અલાયદું પાકિસ્તાન જોઈતું હતું. હિંદુ અને મુસ્લિમ વિવાદ એ થોડોક આળો મુદ્દો પણ રહ્યો છે. એટલે એકંદરે ત્રણેય દેશનો ભારતમાં વિલય અશક્ય લાગે તો પણ યુરોપિયન યુનિયનનું મોડેલ અહીં માફક આવે એવું બની શકે.

સ્ટીફન કોહેન કે મહર્ષિ અરવિંદની વિભાવના

અમેરિકી વિદ્વાન સ્ટીફ કોહેનનું ૨૦૧૩માં પ્રકાશિત પુસ્તક ‘શૂટિંગ ફોર ધ સેન્ચૂરીઃ ધ ઈન્ડિયા-પાકિસ્તાન કનન્ડ્રમ’માં ભારત અને પાકિસ્તાન આઝાદીની શતાબ્દી ટાણે એટલે કે ૨૦૪૭માં પણ સામાન્ય સંબંધોને અને મૈત્રીપૂર્ણ વ્યવહાર સ્થાપિત નહીં કરી શકે, એવું તારણ કાઢ્યું છે. છેલ્લા ૭૦ વર્ષથી કાશ્મીર કોકડું ઉકેલાતું નથી એટલે કોહેનની વાત માનવા સૌ કોઈ પ્રેરાય એ સંભવ છે. જોકે, વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલ કૃષ્ણ અડવાણીના અંગત રહેલા લબ્ધપ્રતિષ્ઠિત લેખક-પત્રકાર સુધીન્દ્ર કુલકર્ણી આ તબક્કે કોહેન સમક્ષ પણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ડો. રામમનમોહર લોહિયાએ પચાસેક વર્ષ પૂર્વે રજૂ કરેલી મહાસંઘ (ફેડરેશન)ની વાત રજૂ કરે છે.

બ્રિટિશ ઈન્ડિયામાંથી છૂટા પડેલા આ ત્રણેય દેશો પોતપોતાનું આગવું અસ્તિત્વ જાળવી રાખીને મહાસંઘ તરીકે પારસ્પારિક હિતની ખેવના કરતાં વિકટતા કેળવીને વિશ્વમંચ પર પ્રભાવ પાથરી શકે. વર્તમાન સંજોગોમાં એ અશક્ય લાગે પણ બેઉ જર્મની એક થયાની કલ્પનાતીત વાત શક્ય બને તો ભવિષ્યમાં ત્રણ એકાકાર થઈ શકે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter