મહાત્મા ગાંધીની આજના સંદર્ભમાં પ્રસ્તુતતા

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Monday 20th January 2020 07:55 EST
 
 

મહાત્મા ગાંધી દુનિયાભરમાં અને ખાસ કરીને ભારતમાં કાયમ બહુચર્ચિત અને પ્રેરક વ્યક્તિત્વ રહ્યા છે એટલે ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ એમણે જીવનલીલા સંકેલ્યાને દાયકાઓ વીત્યા પછી પણ એમની પ્રસ્તુતતા આપણને ફરીફરીને એમના જીવન અને કવનની સમીક્ષા કરવા પ્રેરે છે. ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર થઈને સ્વદેશ પાછા ફર્યા પછી દક્ષિણ આફ્રિકે જઈ મહાત્મા બની પરત સ્વદેશ આવી વિરોધી વિચારના મહાન રાષ્ટ્રીય સપૂતોએ પણ જેમને રાષ્ટ્રપિતા લેખાવ્યા એવા મૂળ કુતિયાણાના પણ પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીએ વિશ્વભરમાં પોતાના આગવા યોગદાન અને ત્યાગને કારણે મર્યા પછી પણ ચિરંજીવ બની રહેવાનું પોતીકાપણું કાયમ કર્યું.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે બાળપણ અને શાળાજીવનથી લઈને વર્તમાન પાકટ નિવૃત્તિ વય લગી મતમાં સતત પરિવર્તન આવતું રહ્યાની પ્રામાણિક કબૂલાત આપવી પડે. સાથે જ ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં પોતાના વિચારપ્રભાવને પાથરવામાં સફળ રહેલા ગાંધીજીના યોગદાનને બિરદાવવા અને ભારતની ભોમકા પરના એમના ઋણને સ્વીકારવું ય પડે. મહાત્માના જીવનનાં વિવિધ પાસાંને કઈ રીતે અમે મૂલવતા રહ્યા એની પ્રામાણિક છણાવટ કરવાનો પ્રયાસ અહીં કર્યો છે. શક્ય છે કે હજુ પણ બાકી રહેલા આયખામાં મહાત્મા વિશે મત બદલાય તો જેમ ગાંધીજીએ નોંધ્યું છે તેમ અમારા મતમાં ય કોઈ વિરોધાભાસ જણાય તો પાછળના સમયે વ્યક્ત થયેલા વિચારને આખરી મત ગણવો.

ગાંધીજીએ ક્યારેય મૌલિકતાનો દાવો કર્યો નથી. સત્ય અને અહિંસા તો અનાદિકાળથી ચાલતાં આવ્યાં છે. ગાંધીજીના પૂર્વસૂરિઓએ સાધનશુદ્ધિનો માર્ગ જ સ્વીકાર્યો છે. પ્રારંભમાં જ એટલી વાત જરૂર નોંધી લઈએ કે મહાત્મા વિશે કોઈ તબક્કે અમને એમના અમુક નિર્ણય બાબતે અણગમો થયો હશે, પણ એમના રાષ્ટ્રીય અને વૈશ્વિક યોગદાનને નકારવા જેટલી ગુસ્તાખી તો કોઈ પણ તબક્કે કરાઈ નથી. બીજી મહત્વની બાબત એ છે કે મતભિન્નતા છતાં આદરભાવ વ્યક્ત કરવાનું સહજ છે. ત્રીજું, મહાત્મા કે તેમના સાથીઓ જેવાં વિરાટ વ્યક્તિત્વોના યોગદાન વિશે અભિપ્રાય વ્યક્ત કરવામાં ક્યારેક ગજા બહારની વાત થઇ પણ શકે. આમ છતાં ગાંધીજીના તુલનાત્મક અભ્યાસી તરીકે કેટલીક બાબતો અહીં નોંધવાની કોશિશ કરું છું.

મહાત્મા ગાંધીએ સમાજપરિવર્તન માટેની આહલ્લેક જગાવી અને એમાંથી આઝાદી તો આડપેદાશ (બાય પ્રોડક્ટ) હતી એ આપણે સમજવાની જરૂર છે. આઝાદી આવ્યા પછી ભારત મહાત્માના માર્ગે ચાલ્યું નહીં એ હકીકત સ્વીકારવી પડે. બાપુના આગ્રહો અને દુરાગ્રહો અંગે એમના બે પટ્ટશિષ્યો પંડિત નેહરુ અને સરદાર પટેલ પણ ભિન્ન મત ધરાવતા હતા. સરદારના શબ્દો હતા: ‘બાપુ, તમે તો મહાત્મા છો. મારે તો દેશ ચલાવવાનો છે.’ મહાત્માની વાત કરવાની હોય ત્યારે એ અનંત સુધી લંબાઈ શકે, પણ આપણે થોડીક વાતો કરીશું.

૧. મુસ્લિમ તુષ્ટીકરણ અને ભારતના ભાગલા

સામાન્ય રીતે મહાત્મા ગાંધીને મુસ્લિમોના તુષ્ટીકરણ અને બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા માટે જવાબદાર ગણવામાં આવે છે અને એ મુદ્દે જ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ની સંધ્યાએ નથુરામ ગોડસેએ એમની હત્યા કરી હતી. હકીકતમાં મહાત્મા ગાંધી ભાગલા ટાળવા માટે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાના પક્ષધર હતા. એટલી હદ સુધી કે કાઈદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણાને સ્વતંત્ર ભારતનું વડા પ્રધાનપદ ઓફર કરીને પણ ભાગલા ટળે એ માટે પણ દાવ અજમાવી જોયો હતો.

ભારત હિંદુ અને મુસ્લિમોની પોતીકી ભોમકા હોવાને કારણે બધા સાથે જ રહે એવી તેમની અપેક્ષા હતી. મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની ઝીણાની માંગણી યોગ્ય નહીં હોવાનું ગાંધીજી છેલ્લે સુધી માનતા રહ્યા હતા. ભાગલા તો મારા મૃત શરીર પર થાય, એવું માનનારા ગાંધીજી નોઆખલી હતા ત્યારે વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન અને તેમના બંધારણીય સલાહકાર વી.પી. મેનનની ભાગલાની યોજના બાબતે સરદાર પટેલ અને પંડિત નેહરુએ (એ જ ક્રમમાં) જીભ કચર્યા પછી મહાત્મા પાસે ઝાઝા વિકલ્પ રહ્યા નહોતા.

અત્રે એ નોંધવું રહ્યું કે આઝાદીની લડાઈમાં કોંગ્રેસના નેતાઓ ૧૯૪૨ની હિંદ છોડો હાકલ પછી જેલવાસ ભોગવતા હતા ત્યારે અંગ્રેજનિષ્ઠ પ્રાંતિક સરકારોમાં ઝીણાના પાકિસ્તાનવાદી પક્ષ મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા સાથે મળીને બંગાળ, સિંધ અને વાયવ્ય પ્રાંતમાં સત્તાનો ભોગવટો કરતાં હતાં. હિંદુ મહાસભાના અધ્યક્ષ વીર સાવરકરે પંજાબ પ્રાંતમાં પણ મુસ્લિમ લીગ સાથે મળીને સરકાર રચવા સંમતી આપી હતી, પણ એ જોડાણ થાય એ પહેલાં યુનિયનિસ્ટ પાર્ટીએ સરકાર રચી દીધી હતી.

૨. સરદાર પટેલને અન્યાય

મહાત્મા ગાંધીને માથે પોતાના નિકટના સાથી સરદાર વલ્લભભાઈ પટેલને વડા પ્રધાન નહીં થવા દેવાનો અને ગગનવિહારી પંડિત જવાહરલાલ નેહરુને એ હોદ્દા માટે પસંદ કરવાનો દોષ મઢવામાં આવે છે. હજુ આજે પણ નેહરુની ભાંડણલીલામાં રમમાણ લોકો ‘સરદારને અન્યાય’ની માળા જપતા રહે છે. દાયકાઓ સુધી અમે પણ આ પ્રકારના દોષનો ટોપલો ગાંધીજીને શિરે લાદતા રહ્યા હતા. એ પ્રકારના લેખો લખતા રહ્યા. સંભવતઃ સરદાર પ્રત્યેનો પ્રેમભાવ અને નેહરુ ભણી કેળવાયેલા અણસમજુ અભાવમાંથી જ આ મત બંધાયો હશે. વર્ષ ૧૯૯૭માં શાહીબાગસ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકના સરદાર મેમોરિયલ વ્યાખ્યાન આપવા માટે મુંબઈથી સમકાલીન તંત્રી તરીકે આવવાનું થયું ત્યારે ય આ જ મત હતો.

જોકે એ પછી વિશદ્ અભ્યાસ, સરદાર-પુત્રી મણિબહેન થકી દુર્ગાદાસના સરદાર ગ્રંથોની પ્રસ્તાવનામાં નોંધાયેલા શબ્દો ( ‘The Sardar did not aspire to prime ministership or any other high office.’ Sardar Patel’s Correspondence 1945-50 Volume-I p.liv) તેમ જ ગાંધીજીના ‘બાબલા’ નારાયણ દેસાઈની પહેલી ગાંધીકથાના ગૂજરાત વિદ્યાપીઠમાં શ્રવણ થકી અમારી સમજણ પાકી થઇ કે ગાંધીજીએ સરદારને વડા પ્રધાન નહીં બનાવવામાં કોઈ અન્યાય કર્યો નથી. ગાંધીજી દીર્ઘદૃષ્ટા હતા અને એમણે ‘બંને બળદને યોગ્ય રીતે જ ભારતના ગાડે જોતર્યા હતા’.

અત્યારે સરદારને અન્યાયનાં ઢોલ પીટનારાઓની સંસ્થાના પૂર્વજો તો ગાંધીની હત્યા થઇ ત્યારે મીઠાઈઓ વહેંચીને હરખ મનાવતા હતા અને ‘હિંદુ મહાસભાની સાવરકરના હાથ નીચેની એક ઝનૂની પાંખે આ કાવતરું રચ્યું અને પાર ઉતાર્યું હતું’, એવું સ્વયં સરદાર પટેલે એ વેળા ૨૭ ફેબ્રુઆરી ૧૯૪૮ના પત્રમાં નોંધ્યું છે! સરદાર પટેલે પોતાને વડા પ્રધાન નહીં બનાવીને ગાંધીજીએ અન્યાય કર્યાની વાત કોઈની આગળ કહી નથી કે ના કોઈ પત્રમાં નોંધી છે.

મહાત્મા પોતે સરદારના તબીબ હતા અને તે સુપેરે જાણતા હતા કે પટેલની તબિયત નાદુરસ્ત રહે છે. શેઠ (સરદાર) કરતાં ડાહ્યા અત્યારના વાણોતર જ ગાંધી અને નેહરુને ભાંડીને પોતાનાં તરભાણાં ભરવા સરદારને અન્યાયની વાતો વહેતી કરે છે.

૩. ગાંધીજીની દ્રષ્ટિએ હિંદુધર્મ

ગાંધીજીની હિંદુ ધર્મની વિભાવના કેવી હતી એ ‘મહાત્મા ગાંધી: પૂર્ણાહુતિ’ના ચતુર્થ ખંડમાં એમના સચિવ રહેલા પ્યારેલાલે સુપેરે ટાંકી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ ગાંધીજીને દિલ્હીની વાલ્મીકિ કોલોનીમાં પોતાના કાર્યક્રમમાં લઇ ગયા હતા. તેમણે મહાત્માને ‘હિંદુ ધર્મે પેદા કરેલા એક મહાપુરુષ’ તરીકે વર્ણવ્યા.

જવાબમાં ગાંધીજીએ જણાવ્યું કે, હિંદુ હોવા માટે હું ખસૂસ ગર્વ લઉં છું, પરંતુ મારો હિંદુ ધર્મ અસહિષ્ણુ કે વાડાબંધીવાળો નથી. મારી સમજ પ્રમાણે, હિંદુ ધર્મની શોભા એ છે કે, બધા ધર્મોનાં સારાં તત્વો તે અપનાવે છે. હિંદુઓ માનતા હોય કે, હિંદમાં સમાન અને માનવંત ધોરણે બિનહિંદુઓ માટે સ્થાન નથી અને મુસલમાનો હિંદમાં રહેવા માંગતા હોય તો, તેમણે ઊતરતા દરજ્જાથી સંતોષ માનવો રહ્યો અથવા મુસલમાનો માનતા હોય કે, પાકિસ્તાનમાં હિંદુઓ મુસલમાનોની મહેરબાનીથી કેવળ દાસ તરીકે જ રહી શકે, તો એથી હિંદુ ધર્મનો તેમ જ ઇસ્લામનો અંત આવશે.

ગાંધીજીએ વધુમાં કહ્યું કે, તમારી નીતિ ઇસ્લામ પ્રત્યે શત્રુતાની નથી એવી તમે મને ખાતરી આપી તેથી મને આનંદ થયો. તેમણે ચેતવણી આપી કે, મુસલમાનોની કતલો પાછળ તમારી સંસ્થા હતી એવો તમારી સામેનો આરોપ સાચો હશે તો એનું આવી બનશે.

સંઘના આ જ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરીમાં ગાંધીજીને ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ કૌરવોનો નાશ કરવાની સલાહ આપે છે એ વિશેના પ્રશ્નના ઉત્તરમાં મહાત્માએ કહ્યું હતું: ‘તમે ન્યાયાધીશ અને શિક્ષા કરનાર ઉભય બની બેસશો તો સરદાર અને પંડિત નેહરુ બંને અશક્ત બની જશે. તેમને તમારી સેવા કરવાની તક આપો. કાયદો તમારા પોતાના હાથમાં લઈને તેમના પ્રયાસોને વિફળ ન બનાવો.’ (ક્રમશઃ)

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter