મોદીયુગના દીનદયાળ વર્ષમાં ‘અખંડ ભારત’નો એજન્ડા

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Tuesday 07th February 2017 06:01 EST
 
 

જૈન ફિલસૂફીમાં ‘અનેકાંતવાદ’નું મહાત્મય છે. ભારતીય સંસ્કૃતિના મૂળમાં એક જ સત્યને અનેક દૃષ્ટિએ રજૂ કરવાની વિચાર-પ્રવૃત્તિ અપેક્ષિત છે. લોકશાહીનો એ જ તો આત્મા છે. આગામી ૨૫મી સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી ભારત સરકાર અને તમામ રાજ્ય સરકારો તેમજ શિક્ષણ સંસ્થાઓમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની શતાબ્દીના નામે એમના આચાર-વિચારનું વર્ષ ઊજવાશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સાંસદ રહેલા ડો. મહેશચંદ્ર શર્માના નેતૃત્વમાં કાર્યરત એકાત્મ માનવ પ્રતિષ્ઠાન અને દીનદયાળ શોધ સંસ્થાનના પ્રયાસોના ફળસ્વરૂપ પ્રભાત પ્રકાશને તૈયાર કરેલા ૧૫ ગ્રંથોના ‘સંપૂર્ણ વાગ્મય’નું લોકાર્પણ કર્યું હતું. વડા પ્રધાન મોદી જ નહીં, સંઘ-જનસંઘ-ભાજપ અને સંઘ પરિવારના તમામ સંગઠનો માટે પંડિત દીનદયાળ આસ્થા અને પ્રેરણાનું સ્થાન છે. કોંગ્રેસી ધારાસભ્ય તરીકે ૧૯૨૯માં પહેલી વાર બંગાળની ધારાસભામાં પ્રવેશેલા ડો. શ્યામાપ્રસાદ મુકરજી સમયાંતરે હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ થયા. ૨૩ માર્ચ ૧૯૪૦ના રોજ લાહોરમાં મુસ્લિમ લીગના અધિવેશનમાં ‘પાકિસ્તાન ઠરાવ’ રજૂ કરનાર બંગાળના પ્રીમિયર ફઝલુલ હકના વડપણવાળી બંગાળ સરકારમાં ૧૯૪૧-૪૨ દરમિયાન ડો. મુકરજી નાણાં પ્રધાન હતા. હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગની સંયુક્ત સરકારોનો યુગ પણ બ્રિટિશ ઈન્ડિયાએ નિહાળ્યો છે.

જનસંઘના બેઉ સંસ્થાપકોનાં મૃત્યુનાં રહસ્ય

હિંદુ મહાસભાથી અલગ થઈને ડો. મુકરજી કોંગ્રેસી વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના વડપણવાળી પ્રથમ સ્વતંત્ર ભારત સરકારમાં ઉદ્યોગ પ્રધાન હતાં. એ સરકારમાંથી નેહરુ-નૂન સમજૂતી કરારમાં પૂર્વ પાકિસ્તાનના હિંદુઓના હિતની ઉપેક્ષા થઈ રહ્યાના મુદ્દે એમણે રાજીનામું આપ્યું. ‘હિંદુરાષ્ટ્ર’ સામે વિરોધ નોંધાવતાં પત્રકાર પરિષદને સંબોધનાર ડો. શ્યામાબાબુ ‘હિંદુ રાષ્ટ્ર’ના આગ્રહી આરએસએસના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (શ્રી ગુરુજી)ના સક્રિય સહયોગમાં કોંગ્રેસ વિરોધી રાજકીય મંચ એવા ભારતીય જનસંઘની ૧૯૫૧ના ઓક્ટોબરમાં સ્થાપના કરી એના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. શ્રી ગુરુજીએ એમને મજબૂત વિચારક અને પ્રચારક એવા પંડિત દીનદયાળ આપ્યા.

દીનદયાળ છેક ૧૯૬૮ લગી જનસંઘના રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા. ૧૯૫૩માં રહસ્યમય સંજોગોમાં જમ્મુ-કાશ્મીરના પ્રીમિયર શેખ અબદુલ્લાની જેલમાં મૃત્યુ પામેલા શ્યામાબાબુના અનન્ય સાથી અને ડિસેમ્બર ૧૯૬૭માં જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલા પંડિત દીનદયાળ પણ ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૮ની રાતે મુઘલસરાઈ રેલવે સ્ટેશન પાસે રેલવેના પાટા પરથી તેમની લાશ મળી હતી. આજ લગી એમનું મૃત્યુ-રહસ્ય અકળ રહ્યું છે, પણ આજે દેશ તથા વિવિધ રાજ્યોમાં સત્તાસ્થાને પહોંચેંલી ભાજપની વિચારધારાનું ઘડતર પંડિત દીનદયાળને આભારી છે. ડો. શ્યામાબાબુએ કહ્યું હતુંઃ ‘મને દીનદયાળ જેવા વધુ બે કર્મઠ કાર્યકર્તા મળી જાય તો હું દેશની શકલ બદલી નાંખું.’

સાદગીભર્યું વ્યક્તિત્વ અને સમૃદ્ધ વિચાર

હમણાં ‘દીનદયાળ ઉપાધ્યાયઃ સંપૂર્ણ વાંગ્મય’ના તમામ ૧૫ ગ્રંથો જોઈ જવાનું શક્ય બન્યું. અગાઉ સંઘના વરિષ્ઠ પ્રચારક અને સાંસદ રહેલા નાનાજી દેશમુખ સાથેના અંતરંગ સંબંધને કારણે દીનદયાળજીની અનેક વણકહી વાતો જાણવા મળી હતી. જનસંઘ-ભાજપ માટે પાયાના પથ્થર ગણી શકાય એવાં બે વ્યક્તિત્વો ડો. શ્યામાબાબુ અને પંડિત દીનદયાળ હવે તો ભાજપી કાર્યક્રમોમાં માત્ર મંચની પાછળના બેનર પર છબિ તરીકે અંકાઈ જવા પૂરતાં સીમિત થઈ ગયાં હોય એવા સમયે વડા પ્રધાન અને સંઘના પ્રચારક રહેલા નરેન્દ્ર મોદી તથા ડો. મહેશચંદ્ર શર્માના પ્રતાપે બેઉ વ્યક્તિત્વોમાંથી મહત્ત્વના વિચારક એવા દીનદયાળના સાદગીભર્યા વ્યક્તિત્વ અને સમૃદ્ધિભર્યાં વિચારનો પરિચય આવતા વર્ષ દરમિયાન સામાન્યજનને મળશે.

પંડિત દીનદયાળને સમજીને આચરણમાં મૂકવામાં આવે તો ગાંધીજીના ‘સર્વોદય’ની કલ્પના અને પંડિતજીના ‘એકાત્મ માનવવાદ’ની કલ્પના એકાકાર થઈને સામાન્ય જનતાને સ્વાભિમાની અને આપબળે વિકાસ સાધવા પ્રેરે એવો સુગમ સંગમ યોજાય. અત્યાર લગી સંઘ વિરુદ્ધ ગાંધીવિચારને મૂકીને સમાજને થયેલા નુકસાનની ભરપાઈ થવાનો માહોલ આ વર્ષ દરમિયાન રચી શકાશે. એટલે જ સવિશેષ જવાબદારી ડો. મહેશચંદ્ર શર્મા અને પંડિત દીનદયાળના વિચારને વરેલા કાર્યકરોને શિરે આવે છે, જેથી દીનદયાળ શતાબ્દી વર્ષની ઊજવણી માત્ર વિધિ-વિધાન બનીને ના રહે.

નવા વર્ષ અને સરકારનો એજન્ડા

હમણાં ઉત્તર પ્રદેશની અખિલેશ સરકારના વરિષ્ઠ પ્રધાન આઝમ ખાને કહેલા શબ્દોનું પણ આ તબક્કે સ્મરણ થવું સ્વાભાવિક છે. ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એનો શહેનશાહ (વડા પ્રધાન મોદી) તૈયાર કર્યા પછી હવે પોતાનો અનામતવિરોધી અને બીજો એજન્ડા લાગુ કરવાની દિશા પકડી છે.’ આઝમ ખાન ખૂબ સૂચક શબ્દોમાં વાતને મૂકે છે. અભ્યાસી છે. ભણેલાગણેલા છે. વિવાદસર્જક નિવેદનો કરવા માટે જાણીતા છે. ક્યારેક સુપ્રીમ કોર્ટે એમને માફી માગવાની પણ ફરજ પાડી છે. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ વસ્તી ઘણી છે. મુલાયમ સિંહની અને હવે અખિલેશની સમાજવાદી પાર્ટીને આઝમ ખાન જેવાનો ખૂબ ખપ છે. સંઘની મુસ્લિમવિરોધી છબિ ચમકાવવા ઉપરાંત બિહાર ચૂંટણી પૂર્વેના સંઘના સુપ્રીમો ડો. મોહનરાવ ભાગવતના અનામત વિશેના નિવેદનને એ આગળ કરવાનું ભૂલતા નથી.

જોકે, સંઘનો એજન્ડા એટલે કયો એજન્ડા એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. રામમંદિર બાંધવાનો સમાન નાગરી ધારાના અમલનો કે પછીના વિકાસના સ્તરને ઊંચે લાવવા માટેનો ચૂંટણીઢંઢેરો તો ભાજપ બહાર પાડે જ છે. હવે દીનદયાળને અભિપ્રેત એજન્ડા હાથ ધરી શકાશે કે કેમ એ આવતા વર્ષમાં ચર્ચાનું કેન્દ્ર બનશે. દીનદયાળનું ફોકસ એકાત્મ માનવવાદ અને અખંડ ભારત છે. એને જનસામાન્ય સુધી પહોંચાડવાની જાગૃતિ લવાશે.

અખંડ ભારત એટલે શું?

અખંડ ભારતના સમર્થકોમાં સંઘ પરિવાર ઉપરાંત ક. મા. મુનશીથી લઈને મહાત્મા ગાંધી સુધીનાને મૂકવા પડે. સરદાર પટેલ તો મુનશીને અખંડ ભારતવાદી લેખાવતા હતા, કારણ એ પણ અખંડ ભારત માટે ઝુંબેશ ચલાવતા હતા. સરદાર પટેલ અને નેહરુએ બ્રિટિશ ઈન્ડિયાના વિભાજનની દરખાસ્તને સૌપ્રથમ સ્વીકારી હતી. ગાંધીજીએ તો નાછૂટકે આ બે નેતાઓએ આપેલા વચનને ખાતર એને મંજૂર કરવા કોંગ્રેસ મહાસમિતિને અનુરોધ કર્યો હતો. અન્યથા મોહમ્મદ અલી ઝીણાને વડા પ્રધાન બનાવીને પણ ગાંધીજી વિભાજન ટાળવાના પક્ષે હતા. આ વાસ્તવિક્તા છે, છતાં આજકાલ ઈતિહાસમાં અનેકાંતવાદનાં સવિશેષ દર્શન થાય છે. સૌ પોતપોતાને અનુકૂળ ઈતિહાસ લખવા, વાંચવા, કહેવાની મોકળાશ ધરાવે છે.

આવા સંજોગોમાં પંડિત દીનદયાળની ‘અખંડ ભારત’ની કલ્પનાને અધિકૃતપણે મૂકી શકે એવા ડો. મહેશચંદ્ર શર્માને અમે પૂછ્યું અને એમનો ઉત્તર રસપ્રદ હતોઃ ‘અખંડ ભારતમાં આસ્થાનું નિર્માણ કરીએ. દીનદયાળજી અને ડો. લોહિયાએ ત્રણ મુદ્દા આગળ ધર્યા હતા. ૧. ભારત-પાક મહાસંઘની રચના કરીએ. (આજે સાર્ક-દક્ષિણ એશિયાઈ દેશોનું સંગઠન કાર્યરત છે). ૨. લશ્કરવિહોણી સરહદોનું નિર્માણ કરીએ. (ગાંધીજીનો એ આદર્શ ઉટોપિયા ગણનારાઓમાં સરદાર પટેલ પણ હતા). ૩. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં અખંડ ભારતમાં આસ્થામાં નિષ્ઠા-વિચારને દૃઢ બનાવાય. ૧૯૭૧માં બાંગ્લાદેશ બન્યું એ પૂર્વે એ પૂર્વ પાકિસ્તાન હતું.

આવતા વર્ષમાં પંડિત દીનદયાળની શતાબ્દી ઊજવણીની સાથે સાથે પૂર્વ અને પશ્ચિમ જર્મની, ઉત્તર અને દક્ષિણ યમનના એકીકરણના ઘટનાક્રમ અને ઉત્તર-દક્ષિણ કોરિયાના ઈલુ-ઈલુની ચર્ચા પણ થશે. ફરી અખંડ ભારત અસ્તિત્વમાં આવે તો મહર્ષિ અરવિંદનો આત્મા ય આશીર્વાદ આપશે.’

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter