રાજકીય શાસકોઃ ગરિમા અને ઘૃણાનાં પર્વ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Tuesday 15th November 2016 05:59 EST
 
 

રાજકીય શાસક તરીકે ભારતીય નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ આજેય રાષ્ટ્રનાયકની શ્રેણીમાં ભારતીય પ્રજાના દિલોદિમાગ પર છવાયેલા છે. સરદારના ‘લાડકા નેતા’ અને ‘ભારતીય યુવા પેઢીના સૌથી લોકપ્રિય નેતા’ પંડિત જવાહરલાલ નેહરુ ભારતના પ્રથમ વડા પ્રધાન તરીકે સ્વતંત્ર ભારતના ઘડતરમાં સિંહફાળો આપનાર રહ્યા. સરદાર અને નેહરુ બેઉ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની દૃષ્ટિએ ‘ભારતીય શાસનના ગાડે જોડવામાં આવેલા બળદ’ તરીકે જોડિયા સાથીઓ રહ્યા.

ક્યારેક ૧૯૦૬માં નામદાર આગાખાન અને ઢાકાના નવાબના ઈશારે, અંગ્રેજ વાઈસરોયના આશીર્વાદ સાથે સ્થપાયેલી મુસ્લિમ લીગને ‘ભારતના ભાગલા પાડવાનું કાવતરું’ લેખાવનાર કોંગ્રેસી મોહમ્મદ અલી ઝીણા થકી જ પાકિસ્તાન મેળવવામાં આવ્યું. બંધારણ મુસદ્દા સમિતિના વડા રહેલા ડો. ભીમરાવ આંબેડકર અવિભાજ્ય બંગાળમાંથી બંધારણ સભામાં ચૂંટાયા હતા. ડો. શ્યામાપ્રસાદ મુકરજી હિંદુ મહાસભાના અધ્યક્ષ રહ્યા. તેમણે બંગાળની રાજનીતિમાં કોંગ્રેસી ધારાસભ્ય તરીકે કારકિર્દી શરૂ કરી હતી. લાહોરમાં ૧૯૪૦માં ‘પાકિસ્તાનનો ઠરાવ’ રજૂ કરનાર ફઝલુલ હકના પ્રધાનમંડળમાં ૧૯૪૧-૪૨ દરમિયાન નાણાપ્રધાન રહેલા ડો. શ્યામાપ્રસાદ મુકરજી અને ડો. આંબેડકરને કોંગ્રેસના સૌથી બળૂકા નેતા સરદાર પટેલે ભારતની પ્રથમ નેહરુ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે જોડ્યા હતા. શાસકમાં દુર્ભાવની રાજનીતિ નહીં, પણ સદભાવની ચુંબકત્વનીતિ હોવી ઘટે એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

કોંગ્રેસી મોરારજીની બિન-કોંગ્રેસી સરકાર

ક્યારેક સરદાર પટેલના નિષ્ઠાવંતમાંથી નેહરુવાદી બનેલા મોરારજી દેસાઈની વડા પ્રધાન થવાની મહેચ્છાએ તેમને નેહરુ-પુત્રી ઈંદિરા ગાંધીથી દૂર હડસેલ્યા. ૧૯૭૭માં એ બિન-કોંગ્રેસી મોરચાની જનતા પાર્ટીની સરકારના વડા પ્રધાન બન્યા હતા. તેમની સરકારમાં વિદેશ પ્રધાન બનેલા જૂના જનસંઘી એવા અટલ બિહારી વાજપેયી ૧૯૯૬માં પહેલી વાર વડા પ્રધાન બન્યા ત્યારે નિર્ભેળ બિન-કોંગ્રેસી વડા પ્રધાન દેશને મળ્યા હતા. જોકે ૧૯૫૭માં જનસંઘના ચાર સભ્યોની સાથે લોકસભામાં પહેલીવાર પ્રવેશ મેળવનાર વાજપેયીને તત્કાલીન વડા પ્રધાન નેહરુ ભવિષ્યના વડા પ્રધાન તરીકે ઓળખાવતા હતા. એનાં મધુર સ્મરણ અટલજીએ જાળવ્યાં છે.

વર્તમાન યુગમાં સ્વતંત્રતા પછી જન્મેલા નરેન્દ્ર મોદી નિર્ભેળ બિન-કોંગ્રેસી જ નહીં, સંઘનિષ્ઠ ભાજપની એકલા હાથે બહુમતી મેળવ્યાં છતાં મિત્રપક્ષોને સાથે રાખીને વડા પ્રધાન પદે પહોંચ્યા છે. મોદી પણ નેહરુનાં સ્વપ્ન સાકાર કરવાની વાતને મોટી ચલણી નોટો રદ્દ કરવાને ‘મહાયજ્ઞ’ લેખાવતાં વર્તમાન સુધી લંબાવે છે.

ઝીણા-વાજપેયીની બબ્બે જન્મતારીખો

રાષ્ટ્રનિર્માણના મહાયજ્ઞમાં જોતરાયેલા જ નહીં, અખંડ ભારતને જાળવવા અને એનું સંવર્ધન કરવા સંકલ્પબદ્ધ નેતાઓનો સંબંધ નવેમ્બર-ડિસેમ્બર સાથે રહ્યાની વાતને સંયોગ લેખવો પડે. પંડિત નેહરુનો જન્મ ૧૪ નવેમ્બરે અને એમનાં રાજકીય વારસ-પુત્રી ઈંદિરા ગાંધીનો જન્મ પણ નવેમ્બરમાં જ તારીખ ૧૯મી. સરદાર પટેલનું નિધન ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ અને ડો. આંબેડકરનું ૬ ડિસેમ્બર, ૧૯૫૬ના રોજ. ઝીણાનો જન્મદિવસ ૨૫ ડિસેમ્બર એટલે કે નાતાલ. કાયદે આઝમે ૨૫ ડિસેમ્બર ૧૮૭૬ને પોતાનો જન્મદિવસ લેખાવ્યો હોવા છતાં સિંધ મદ્રેસા-તુલ-ઈસ્લામ, કરાચીમાં ‘મહોમદઅલી ઝીણાભાઈ’ની જન્મતારીખ ઓક્ટોબર ૨૦, ૧૮૭૫ નોંધાયેલી છે! વાજપેયીની જન્મતારીખ સત્તાવાર રીતે ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ ચલણી છે, પણ શાળાના પ્રમાણપત્રમાં એ ૨૫ ડિસેમ્બર ૧૯૨૬ નોંધાયેલી છે. રાજનેતાઓની એકથી વધુ જન્મતારીખો હોવી સામાન્ય લેખાય છે, પણ મૃત્યુતિથિ વિશે નિશ્ચિત એક જ તારીખ નોંધાતી હોય છે કારણ ત્યાં લગી કીર્તિ પામેલા રાજનેતાઓની એ તારીખ વિશેની નોંધો નક્કર હોય છે.

વિચારધારા નહીં, રાષ્ટ્રહિત સર્વોપરિ

અટલજી વિદેશ પ્રધાન હતા ત્યારે લોકસભામાં ૧૮ એપ્રિલ ૧૯૭૮ના રોજ એમણે પંડિત જવાહરલાલ નેહરુની વિદેશનીતિ અને વ્યક્તિ તરીકે નેહરુના વખાણ કર્યાં ત્યારે ઘણાને નવાઈ લાગી હતી. જોકે વાજપેયીએ આ પ્રસંગે મરાઠી કહેવત ટાંકીને ‘નિંદા કરનારનું ઘર પાડોશમાં હોવું જોઈએ’ (નિંદકાચે ઘર અસાવે સેજારી) લોકશાહીને મજબૂત કરવા મતભેદ-ટીકા સાંભળવાની તૈયારીને અનિવાર્ય લેખાવી હતી.

સંઘ પરિવારમાં રમમાણ વાજપેયીના સંસ્કાર સિંચનમાં નેહરુદ્રોહ હતો, પણ એમણે પોતે નેહરુ પ્રત્યે આદર સદાય જાળવ્યો હતો. વિદેશનીતિમાં વિચારધારા નહીં, રાષ્ટ્રીય હિત સર્વોપરિ હોવાનું એ માનતા હતા. ‘પંડિત નેહરુ સાથે મારે પણ મતભેદ હતા અને મેં મતભેદને ક્યારેય છુપાવ્યા નથી, પરંતુ જ્યારે પ્રશંસા કરવાનો સમય આવ્યો ત્યારે મેં એમાં કરકસર નથી કરી. નેહરુની ગુટ નિરપેક્ષ નીતિ રાષ્ટ્રના હિતમાં રહી છે.’

નેહરુનું ચિત્ર પાછું લાવી ટાંગો

ક્યારેક વાજપેયીદ્વેષી ડો. સુબ્રમણિયન સ્વામી અટલજી વિશે ભળતાં જ નિવેદન કરતા રહ્યા છે. નેહરુ-ઈંદિરા કે સોનિયા ગાંધી થકી એમને બ્લેકમેઈલ થતા લેખાવ્યા છે. જોકે વાજપેયી રાજનેતા નહીં, રાજપુરુષ રહ્યા છે. રાજનેતા માત્ર પક્ષના હિતની ચિંતા કરે છે. રાજપુરુષ સમગ્ર દેશ-વિશ્વની ચિંતા કરીને અંગત રાગદ્વેષથી ઊપર ઊઠીને નિર્ણયો કરે છે. નેહરુના ટીકાકાર રહેલા વાજેપીયે મે ૧૯૬૪માં જવાહરલાલનું અવસાન થયું ત્યારે સંસદમાં એમને આપેલી અંજલિના શબ્દોને આજે ય તમામ રાજનેતાઓએ મઢાવીને રાખવા જેવા છે. નેહરુના અવસાનના થોડા દિવસ પહેલાં જ વાજપેયીએ સંસદમાં વડા પ્રધાનના શેખ અબ્દુલ્લાને મુક્ત કરવાના અને મંત્રણા માટે પાકિસ્તાન મોકલવાના નિર્ણયની સૌથી કટુ આલોચના કરી હતી.

કવિહૃદય વાજપેયીએ નેહરુને ગૃહમાં અંજલિ અર્પતા એમને ભગવાન રામ સાથે સરખાવીને એમની વિદાયના ખાલીપાને કોઈ ભરી ના શકે એવું કહ્યું હતું. ભારતની ભવ્યતાને હાંસલ કરવા માટે સૌએ નેહરુના સ્વપ્નને સાકાર કરવા મચી પડવું પડશે, એવા ભારપૂર્વકના શબ્દો અટલજીના મોંઢે સાંભળીને ઘણાને આશ્ચર્ય થયું હતું. પૂર્વ પાકિસ્તાનના બાંગ્લાદેશમાં રૂપાંતરણમાં તત્કાલીન વડાં પ્રધાન ઈંદિરા ગાંધીની ભૂમિકામાં ‘દુર્ગા’ના દર્શન કરવામાં પણ અટલજીને અજૂગતું લાગ્યું નહોતું.

નેહરુના વારસાને અખંડ રાખવાના અટલજીના આગ્રહને એ વિદેશ પ્રધાન બન્યા એ વેળાના એક પ્રસંગમાં પણ નિહાળી શકાય છે. વાજપેયી વિદેશ પ્રધાન તરીકે અખત્યાર સંભાળવા ગયા ત્યારે તેમના સચિવને કહ્યું કે અહીં પંડિતજી (નેહરુ)નું ચિત્ર રહેતું હતું. એ ક્યાં ગયું? પાછું લાવીને એને મૂળસ્થાને લગાવી દ્યો. ૨૦ ઓગસ્ટ ૧૯૫૮ના રોજ વિદેશનીતિ વિદેશની લોકસભાની ચર્ચાનો અંગ્રેજીમાં ઉત્તર આપીને વડા પ્રધાન નેહરુએ અટલજીનું નામ લઈને હિંદીમાં બોલવાનું શરૂ કર્યું ત્યારે સાંસદો પણ હરખપદુડા થઈ ગયા. અટલજીમાં નેહરુને ભાવિ વડા પ્રધાનનાં દર્શન એ વેળાથી થતાં હતાં. જે સત્ય સાબિત થયું.

સેક્યુલરવાદ ભારતીય સંસ્કૃતિની દેન

અજાતશત્રુ અટલ બિહારી વાજપેયીના મતે સેક્યુલરવાદ કોઈ કોંગ્રેસ પાર્ટીનું સૂત્ર નહોતું, પણ આ દેશની સંસ્કૃતિમાંથી જ ઉત્પન્ન મંત્ર છે. ‘ક્યા ભારત કી સ્વાધીનતા કે બાદ ભારત કો હિંદુ-રાજ ઘોષિત નહીં કિયા જા શકતા થા?.. પાકિસ્તાનને કિયા, હમને નહીં કિયા, ક્યોં? ઈસ લિયે કિ હમારી સંસ્કૃતિ ઉસકી ઈજાજત નહીં દેતી.’ અટલજીના ‘કુછ લેખ, કુછ ભાષણ’માં ભારતીયકરણ લેખમાં તેમણે નોંધ્યું છેઃ ‘મને મારા હિંદુત્વ પર ગર્વ છે, પરંતુ એનો અર્થ એ નથી કે હું મુસ્લિમ-વિરોધી છું કે ઈસ્લામ સાથે મારો ઝઘડો છે. જ્યારે ધર્મ સાથે રાજનીતિને ભેળવવામાં આવે છે અને સત્તા હાંસલ કરવા માટે એનો ઉપયોગ કરવાની કોશિશ થાય ત્યારે ભાગલાવાદી શક્તિઓને પ્રોત્સાહન મળે છે.’

ઉદાર રાષ્ટ્રવાદના અદભુત સંમિશ્રણ લેખાતા વાજપેયી વિશે ‘આધે કવિ, આધે રાજનેતા’માં દીનાનાથ મિશ્ર નોંધે છેઃ ‘સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, ટિળક, મહાત્મા ગાંધી, સાવરકર, ડો. હેડગેવાર, એમ. એન. રોય, જવાહરલાલ નેહરુ, શ્રી ગુરુજીથી લઈને અને ડો. શ્યામાપ્રસાદ મુકરજી, ડો. લોહિયા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય વગેરે પરસ્પરના વિરોધી ગણાતા વિચારકોના વ્યક્તિત્વ અને કામગીરીએ અટલજીને પોત-પોતાની રીતે પ્રભાવિત કર્યા છે. ...તેમનામાં સંસ્થાબદ્ધતાથી ઉપર ઊઠીને વિચાર તથા નિર્ણય કરવાની ક્ષમતા હતી.’

અખંડ ભારતનું સ્વપ્ન

ભારત અને પાકિસ્તાન લશ્કરી શક્તિથી નહીં, પણ હૃદય પરિવર્તનથી (ગાંધીજીના શબ્દોમાં) એક થવાનું સ્વપ્ન વાજપેયી નિહાળે છે. ગૃહમાં શ્રી ગોલવલકર (ગુરુજી)ની અખંડ ભારતની વાતની ટીકા કરનારાઓને ઉત્તર વાળતાં અટલજી કહે છેઃ ‘અખંડ ભારતની વાત તો હું પણ કરું છું. અખંડ ભારતની વાત કરવી એ કાંઈ ગુનો નથી. હું સ્વપ્ન જોઉં છું કે ભારત અને પાકિસ્તાન ક્યારેક એક થશે. જો જર્મનીના એકીકરણનું સ્વપ્ન જોઈ શકાય, જો કોરિયા અને વિયેટનામના એક થવાનું સ્વપ્ન જોઈ શકાય, તો ભારત અને પાકિસ્તાનના એક થવાનું સ્વપ્ન કેમ નિહાળી ના શકાય. આ જબરદસ્તીથી કે લશ્કરી તાકાતથી નહીં, હૃદય પરિવર્તનથી શક્ય બનશે.’

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter