રાવજીભાઈ અને ધનલક્ષ્મી પટેલના પનોતા પુત્ર અને મુકેશના નાના ભાઈ શ્રૃતિધર્મ દાસનો જન્મ યુગાન્ડાના જિંજા ખાતે ૧૯૫૮માં થયો હતો. ૧૨ વર્ષના બાળક તરીકે તેમણે પરિવાર સાથે લંડનની યાત્રા આરંભી અને વેમ્બલીમાં તેમનો ઉછેર થયો હતો.
લગભગ આ જ સમયગાળામાં ભગવાન કૃષ્ણના અનુયાયીઓ અમેરિકાથી આવ્યા હતા અને બ્રિટિશ મ્યુઝિયમ નજીક ૭ બરી પ્લેસ મંદિરની શરૂઆત થઈ હતી. આ સમયે ૧૯ વર્ષની વયના યુવાન શૈલેશ પટેલની મુલાકાત શ્રીલા પ્રભુપાદ સ્વામી સાથે અને તેઓ તેમના ઉપદેશ અને મિશનથી અભિભૂત થયા હતા.
બાયોકેમિસ્ટ્રી વિષય સાથે સ્નાતક થયા પછી શ્રૃતિધર્મ હૃદયના સંશોધનમાં જોડાયા હતા. કેટલાક મહિના પછી તેમણે હેરો, વેમ્બલી અને સાઉથોલના યુવાનો માટેની મહાભારત યુથ કલબમાં ભાગ લીધો હતો. જેની પહેલ ભક્તિ વેદાંત મેનોરના અખંડાધિ દાસ દ્વારા કરવામાં આવી હતી. બે મિત્રોની સાથે તેઓ પણ આ યુથ કલબના ઉત્સાહી સભ્ય બન્યા તેમજ કિર્તન અને નાટકોમાં ભૂમિકા ભજવતા હતા. અખંડાધિ દાસે તેમને ૧૯૮૦માં મંદિરમાં સામેલ થવા આગ્રહ કર્યા પછી આ ત્રણ મિત્રો સ્થાનિક કોમ્યુનિટીમાંથી સાધુવેશ ધારણ કરનારા અનેક યુવાન ભાવિકોમાંના પ્રથમ બન્યા. જેનાથી તેમના પરિવારને પણ ભારે આશ્ચર્ય થયું હતું. સમય જતાં તેમના બે મિત્રો પ્રાણબંધુ દાસ અને His Holiness આત્મનિવેદન સ્વામી તરીકે ઓળખાયા હતા.
શ્રૃતિધર્મ ઘણી ઝડપથી ટીમના અનિવાર્ય સભ્ય બની ગયા અને આગામી દાયકામાં તેમણે લંડનના હજારો પરિવારોની મુલાકાત લીધી. તેઓ ભગવાન કૃષ્ણને આકર્ષક રીતે રજૂ કરવાની ક્ષમતા માટે જાણિતા હતા અને કોઈપણ પ્રસંગ માટે યોગ્ય વાર્તા અથવા ધર્મગ્રંથના શ્લોક તેમના મુખેથી સાંભળવા મળતા હતા. તેઓ નાની અથવા મોટી વેદની સમક્ષ ગાતા, નાટકોમાં અભિનય કરતાં, પ્રવચનો આપતાં, સંસ્કારોનું પ્રદાન કરતાં અને ભંડોળ એકત્ર કરવામાં ભાગ લેતા હતા. તેમના માટે કોઈ કામ મોટું ન હતું કે સેવા નાની ન હતી. તેમણે ઉત્સાહ અને મક્કમ નિર્ધાર સાથે વિવિધ પહેલ અને પ્રોજેક્ટસમાં સહકાર આપ્યો હતો. આ બધું કરવામાં તેઓ હંમેશાં તેમને મળનારા તમામ માટે સદગૃહસ્થ અને સાચા સાધુનું દર્શન કરાવનારાં હતાં. અન્યો સાથે કામ કરવાની તેમની કુશળતા અને સ્નેહથી મેનોરમા આવતા તમામ ભાવિકોની પેઢીઓ પર તેમણે નોંધપાત્ર છાપ ઉપસાવી હતી. જ્યારે શ્રૃતિધર્મ તેમને શ્રીલા પ્રભુપાદના મિશન વિશે વાત કરી મદદ માટે જણાવતાં ત્યારે તેઓ આ આમંત્રણ સ્વીકારી લેતા અને દાતા, આજીવન સભ્ય, ‘સેવક અને પેટ્રન્સ’ બનતાં હતાં.
જ્યારે ભક્તિ વેદાંત મેનોર સામે ચોતરફથી તેના અસ્તિત્વ જાળવવાના પડકારોથી ઘેરાયેલું હતું તે સમયે મંદિરને ખૂલ્લું રાખવાના અભિયાન માટે શ્રૃતિધર્મ અનિવાર્ય પૂરવાર થયા હતા. ૧૯૮૯માં સ્પોન્સર્ડ વોક, ભંડોળ એકત્ર કરવાના ભોજન સમારોહ અથવા પાર્લામેન્ટનો સભ્યો અને હિન્દુ અગ્રણીઓને મળવાની વાત હોય ત્યારે શ્રૃતિધર્મ વિવિધ કોમ્યુનિટી નેટવર્ક દ્વારા આ અભિયાનોનું સંકલન કરતા રહેતાં. તેમણે ૧૯૯૩ના ઉત્તરાર્ધ અને ૧૯૯૪ના પૂર્વાર્ધના મહિનાઓમાં સમગ્ર દેશનું પ્રવાસ ખેડી તમામ હિન્દુ સમૂહોને એક સંપ થઈને પોતાની ચિંતાનું પ્રદર્શન કરવા તેમજ મંદિરને બંધ કરી દેવાની સૂચિત દરખાસ્ત સામે લડવાની વિનંતી કરી હતી. સમય જતાં તેમના ઉત્સાહી અભિયાનો તેમ જ દરેક શહેરમાંથી એક અથવા બે કોચ ભરીને લંડન મોકલવાની તાકીદની વિનંતીના પરિણામે પાર્લામેન્ટના બંને ગૃહો સમક્ષ શેરીઓમાં ૩૬૦૦૦ લોકો ઊભા થઈ ગયા હતા.
મંદિર અભિયાનને ૧૯૯૬માં મહાન વિજય પ્રાપ્ત થયાં પછી શ્રૃતિધર્મ અને પ્રાણબંધુએ સંયુક્તપણે ભક્તિવેદાંત મેનોર ફાઉન્ડેશન (BMF)ની સ્થાપના કરી હતી. બે વર્ષ પછી ૧૯૯૮ની વસંત ઋતુમાં શ્રૃતિધર્મ દાસે શ્રી રાધિકા દાસી સાથે લગ્ન કર્યા હતા અને થોડાં સમય પછી તેઓ પુત્ર નિતાઈના ગૌરવશાળી માતાપિતા બન્યા હતા.
એક પૂજારી, મેયર ઓફ હેરોના ચેપ્લિન, આંતરધર્મીય નેતા અને ધાર્મિક મિનિસ્ટર તરીકે શ્રૃતિધર્મ પ્રકાશન કાર્યમાં પણ જોડાયેલા હતા. તેઓ વિવિધ પ્રકાશનોના વડા બન્યા તેમજ મેનોર માટે શ્રેણીબદ્ધ પ્રકાશનોના વિચાર ડિઝાઈન અને સંપાદનમાં પણ સંકળાયેલા રહ્યા. આ પ્રકાશનોમાં પેપરબેક, બુક્સ, મેગેઝિન્સ, માર્ગદર્શિકાઓ, પત્રિકાઓ, કેલેન્ડર્સ, વેબસાઇટ્સ તેમજ પ્રસિદ્ધ જન્માષ્ટમી સોવેનિયર બુકનો પણ સમાવેશ થાય છે.
સમયાંતરે શ્રૃતિધર્મ દાસ ૧૮ જુલાઈ ૨૦૧૦ના રોજ ભક્તિવેદાંત મેનોરના સત્તાવાર પ્રમુખ બન્યાં. ગત દસ વર્ષના સમયગાળામાં અને તેમના નિધનના મહિનાઓ પહેલાં સુધી તેમણે પોતાના સંબંધોનો વિસ્તાર કરવાનો ચાલુ રાખ્યું હતુ. જેમાં ચેપ્લિનસી અથવા પૂજારીપદ, શાળાઓ અને બિઝનેસીસની મુલાકાત, શેરીઓમાં સંકીર્તનના સરઘસો, પાર્લામેન્ટના સભ્યો સાથે મુલાકાત, કોર્પોરેટ સમારંભોના સંચાલન ઉપચારીક મેળાવડા તેમજ વિશાળ આધ્યાત્મિક બેઠકોનો સમાવેશ થતો હતો. વર્તમાન પત્રો, રેડિયો અને ટેલિવિઝન દ્વારા તેમની મુલાકાતો સતત લેવાતી હતી. તેઓ તમામ ધાર્મિક જૂથોના મુલાકાતી નેતાઓનો આતિથ્ય સત્કાર કરતા તેમજ આધ્યાત્મિક જીવન જીવવા માટે બેઠકોમાં ઉપસ્થિત લોકો અને સ્વયં સેવકોને પ્રોત્સાહિત કરતા. તેમણે મુખ્ય રેબી, આર્કબિશપો, બે વડા પ્રધાનો, શાહી પરિવારના સભ્યો અને નામદાર મહારાણી સહિત અનેક મહાનુભાવો સાથે મુલાકાત કરી હતી.
શ્રૃતિધર્મ દાસે શ્રીલા પ્રભુપાદ અને રાધા ગોકુલાનંદની સમગ્રતયા નિસ્વાર્થ સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેઓ ૪૦ વર્ષ સુધી ભક્તિવેદાંત મેનોરની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓમાં મુખ્ય સ્તંભ બની રહ્યા હતા. તેઓ હજારો લોકો માટે સાચા અર્થમાં ઉષ્માપૂર્ણ અને સ્નેહી બંધુ અને આધ્યાત્મિકશિક્ષક તેમજ પોતાના જીવનના ઈશ્વર શ્રીકૃષ્ણની સેવામાં તમામને એક કરનારા સાધુ બની રહ્યા હતા.