અમેરિકન સૈનિકોની છેલ્લી ટૂકડીએ બગરામ એરબેઝ છોડી દીધું છે. કાબુલથી ઉત્તરે એક કલાકના અંતરે આવેલું બગરામ લગભગ ૨૦ વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં અમેરિકી લડાઈમાં કેન્દ્રસ્થાને રહ્યું હતું. તે અફઘાનિસ્તાનમાં અમેરિકી અને નાટો સૈનિકોને પૂરવઠો પહોંચાડવાના ખૂબ મોટાપાયાના મિલિટરી એરલિફ્ટ ઓપરેશનનું હબ હતું.
તાલીબાનની હિલચાલ પર નજર રાખવા માટે બગરામથી સર્વેલન્સ એરક્રાફ્ટ ઉડ્ડયન કરતા હતા. આ એરબેઝનું નિર્માણ ૧૯૫૦ના દાયકામાં સોવિયેત એન્જિનિયરોએ કર્યું હતું. તે સોવિયેત યુનિયન દ્વારા ૧૯૭૯માં અને અમેરિકાની આતંક સામેની લડાઈમાં એમ બે વિદેશી મિલિટરી કેમ્પેઈનનું કેન્દ્ર રહ્યું હતું.
છેલ્લાં બે દાયકાથી ત્યાં અમેરિકી દળોની ૪૫૫મી એર એક્સપીડીશનરી વિંગનો સ્ટાફ હતો. આર્મી, નેવી અને મરીન કોર્પ્સના યુનિટ ત્યાં વારાફરતી ફરજ બજાવતા હતા. અફઘાનિસ્તાન બળવાખોર તાલીબાનના પડકારનો સામનો કરી રહ્યું હોવાથી લગભગ ૩,૦૦૦ અફઘાન સૈનિકો બગરામ પહોંચી ગયા છે.
૧૧ સપ્ટેમ્બરના આતંકી હુમલા પછી ૨૦૦૧માં અમેરિકી દળોએ અફઘાનિસ્તાન પર ચડાઈ કરી હતી. તે પછી જે યુદ્ધ ચાલ્યું તે અમેરિકાનું સૌથી લાંબા સમયનું યુદ્ધ બન્યું હતું.
કતારના દોહામાં અમેરિકા અને તાલીબાન વચ્ચે ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ના દિવસે Agreement for Bringing Peace to Afghanistan ટાઈટલ હેઠળ થયેલા શાંતિ કરારને અનુલક્ષીને અફઘાનિસ્તાનમાંથી અમેરિકન દળોને પાછા ખસેડી લેવાયા છે. તેની જોગવાઈઓમાં તમામ અમેરિકન અને નાટો દળોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખસેડી લેવા, તાલીબાનના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં અલ – કાયદાને કાર્યવાહી કરતું અટકાવવા તાલીબાનનું વચન અને તાલીબાન તથા અફઘાનિસ્તાન સરકાર વચ્ચે વાટાઘાટોનો સમાવેશ થાય છે.
ટ્રમ્પ વહીવટીતંત્ર પ્રારંભિક ધોરણે જુલાઈ ૨૦૨૦ સુધીમાં સૈનિકોની સંખ્યા ૧૩,૦૦૦થી ઘટાડીને ૮,૬૦૦ કરવા અને તાલીબાન તેના વચનો નિભાવે તો ૧મે ૨૦૨૧ સુધીમાં દળોને સંપૂર્ણપણે ખસેડી લેવા સંમત થયું હતું.
એપ્રિલ ૨૦૨૧માં બાઈડન વહીવટીતંત્રે જણાવ્યું કે સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં દળોને પાછા ખસેડવાની પ્રક્રિયા પૂરી થાય તેવી શક્યતા છે. તે પછી તેમણે જાહેર કર્યું હતું કે તે અમેરિકન એમ્બેસી અને કાબુલ એરપોર્ટનું રક્ષણ કરવા માટે ટર્કીશ દળોની સાથે ૬૫૦ અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનમાં રખાશે. અગાઉ, ૨૦૧૧માં પ્રમુખ ઓબામાએ જાહેરાત કરી હતી કે ૨૦૧૪ના અંત સુધીમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકા હટી જશે. ૨૦૧૪ સુધીમાં નોંધપાત્ર સંખ્યામાં અમેરિકી સૈનિકોને પાછા ખસેડી લેવાયા હતા અને ૯,૮૦૦ અમેરિકી સૈનિકોને અફઘાનિસ્તાનમાં ફરજ પર રખાયા હતા.
૧૯૯૪માં તાલીબાન સૌ પ્રથમ વખત અફઘાનિસ્તાનમાં આવ્યું હતું અને તેના પતન સુધી દેશના લગભગ ૯૦ ટકા વિસ્તારો પર તેનો અંકુશ હતો. અફઘાનિસ્તાનમાં ૨૦૦૧ના યુદ્ધને પગલે તેમની સત્તા ઉથલી ગઈ તે પછી તેમની બળવાખોરી શરૂ થઈ હતી. તેમણે અફઘાન સરકાર સામે તેમજ અમેરિકાના નેતૃત્વ હેઠળના ઈન્ટરનેશનલ સિક્યુરિટી આસિસ્ટન્સ ફોર્સ (ISAF) ને અને માત્ર અફઘાન નેશનલ સિક્યુરિટી ફોર્સીસ તથા તેમના નાટો સહયોગીઓ જ નહીં પરંતુ નાગરિકોને પણ લક્ષ્ય બનાવ્યા હતા.
બે દાયકા ચાલેલા સંઘર્ષમાં હજારો અમેરિકન પુરુષો અને મહિલા સંકળાયા હતા અને હજારો અમેરિકન અને અફઘાનોએ તેમના જીવ ગુમાવ્યા હતા. ૨૦૦૧થી અફઘાનિસ્તાનમાં ૨,૩૦૦ લશ્કરી કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા અને ૨૦,૦૦૦ ઘવાયા હતા, જ્યારે ૩૫,૦૦૦થી ૪૦,૦૦૦ વચ્ચે નાગરિકો મૃત્યુ પામ્યા હતા.
સૈન્ય પાછું ખસેડી લેવાના જોખમ વિશે બોલતાં પ્રમુખ બાઈડને યાદ કર્યું કે અમેરિકા ૨૦ વર્ષથી અફઘાનિસ્તાનમાં હતું અને તેઓ માને છે કે પ્રમુખ અશરફ ઘાનીના નેતૃત્વ હેઠળની અફઘાન સરકાર પાસે સરકાર ટકાવી રાખવાની અને તાલીબાનને કાબુલ પર સત્તા મેળવતું અટકાવવાની ક્ષમતા છે. નિવૃત્ત લશ્કરી અધિકારીઓને તે પ્રાંતના હજારો અફઘાન દુભાષિયા અને અન્ય સાથીઓની ચિંતા છે. તાલીબાન તેમના પર બદલો લેવા હુમલા કરી શકે તેવું તેમને લાગે છે.સિનિયર વેટરન્સના એક ગ્રૂપે તે લોકોને ત્યાંથી ખસેડી લેવા માટે પ્રમુખ બાઈડનને અનુરોધ કર્યો છે.
અમેરિકા - નાટોના દળો પાછા ખસી ગયા તે પછી અફઘાનિસ્તાનમાં તાલીબાન મોટાપાયે વિનાશ વેરશે તે બાબતે ગંભીર ચિંતા પ્રવર્તે છે. બગરામનો રનવે અને હેંગાર્સ અફઘાન સૈન્યને સોંપ્યા પછી તાલીબાન તેના સંરક્ષણની ચકાસણી કરે તેવી શક્યતા છે. બીજી બાજુ અફઘાન આર્મ્ડ ફોર્સીસ માટે આ વ્યૂહાત્મક બેઝનું રક્ષણ કરવાની પ્રાથમિકતા છે. તેનું પતન થાય તો તે તેમની સામે મુખ્ય દુષ્પ્રચાર બની શકે છે. તેને લીધે ફરી એક વખત સંઘર્ષ થાય તેવી શક્યતા છે.
અફઘાનિસ્તાનના ઉત્તર ભાગમાં વ્યૂહાત્મક લાભ મેળવવા માટે તાલીબાન ખૂબ ઝડપથી આગળ વધ્યું છે. દક્ષિણ – પૂર્વમાં તાલીબાનના મિત્ર પાકિસ્તાન સાથે મધ્ય એશિયાઈ દેશો સાથેની સરહદોના વિસ્તાર પર તાલીબાનનું નિયંત્રણ છે અને દક્ષિણ અફઘાનિસ્તાનમાં તાલીબાનના વધતા દબાણથી અફઘાન દળોએ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે.
વીતેલા વર્ષોમાં વંશીય અફઘાન તાજીકો અને ઉઝબેકીઓ અને કેટલાંક શિયાઓને લીધે તાલીબાનીઓ મજબૂત બન્યા છે.
આમ હવે તેઓ માત્ર સુન્ની પશ્તુન ગ્રૂપ ન હોવાનો દાવો કરી શકે. અમેરિકન્સ જે શસ્ત્રો અને સાધનો છોડીને ગયા છે તેની મદદથી સારી તાલીમ પામેલા અફઘાન દળો હિંમતભેર વળતી લડત આપીને તાલીબાનને નાથવામાં સફળ થાય છે કે કેમ તે જોવાનું રહેશે.
અફઘાનિસ્તાન પર તાલીબાનનો અંકુશ ભારત માટે સુરક્ષા બાબતે સૂચિતાર્થ ઉભો કરે છે. જૈશ – એ – મોહમ્મદ અને લશ્કર – એ – તોઈબા જેવા ભારતવિરોધી આતંકવાદી જૂથોને ૨૦૦૧ પહેલા તાલીબાનના નિયંત્રણ હેઠળના અફઘાનિસ્તાનમાં મજબૂતી અને મોકળાશ મળી હતી. એ યાદ રહે કે ડિસેમ્બર ૨૦૦૦માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC – 814ને કાઠમંડુથી હાઈજેક કરીને કંદહાર લઈ જવાઈ હતી.
૧૦ બિલિયન ડોલરના કમિટમેન્ટ/પ્રોજેક્ટ્સ સાથે અફઘાનિસ્તાનના વિકાસમાં ભારત મુખ્ય ભાગીદાર તરીકે રહ્યું છે. લાંબા અને ટૂંકા ગાળાના કેપેસિટી બિલ્ડીંગ પ્રોગ્રામ્સ માટે હજારો અફઘાનોને સ્કોલરશીપ અપાઈ છે.
આતંકવાદ અને વિદેશી દખલગીરીથી મુક્ત અને અફઘાનો દ્વારા તથા અફઘાનો માટે જ સંચાલિત શાંતિપૂર્ણ અફઘાનિસ્તાન, માત્ર અફઘાનિસ્તાનના જ નહીં પરંતુ, પ્રદેશ અને દુનિયાના શાંતિપ્રિય રાષ્ટ્રોના હિતમાં છે.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)