નવનાત વણિક એસોસિએશનના હાલના પ્રમુખ શ્રી દિલિપભાઇ મીઠાણી એકદમ સરળ સ્વભાવના, દરેકની લાગણીને સમજનારા, કરૂણાપ્રેમી અને સૌને સાથે લઇને ચાલવામાં માને છે. એમની સમાજિક જીવન સફર પર એક નજર કરીએ.
એમના પિતાશ્રી વિઠ્ઠલદાસ દયાળજીભાઇ મીઠાણી દેશમાં જુનાગઢ નજીક આવેલ વંથલી ગામના વતની. ૧૨ વર્ષની બાળવયે મોટાભાઇ સાથે ટેક્સટાઇલ મટીરીયલના બિઝનેસમાં જોડાવા ૧૯૩૬માં વિદેશયાત્રા ખેડવાનું સાહસ કર્યું. એમના માતુશ્રી સવિતાબહેન પણ ગુજરાતના માર્મથ ગામના વતની. એમને ત્રણ દિકરા અને ત્રણ દિકરીઓ જેમાં દિકરાઓમાં સૌથી નાના શ્રી દિલિપભાઇ. જુલાઇ ૧૯૫૨માં સુદાનમાં જન્મ.
સુદાનમાં ઓકસ્ફર્ડ O લેવલ્સ કરી દિલિપભાઇ ૧૯૭૦માં લંડન આવ્યા. વાણિયાનો દિકરો એટલે આંકડા સાથે વધુ ફાવે! એકાઉન્ટન્સીનો અભ્યાસ પૂર્ણ કરી સ્થાનિક પેઢીમાં ટ્રેની એકાઉન્ટન્ટ તરીકે કામના શ્રીગણેશ કર્યા. ૧૯૭૪ થી ૧૯૮૦ દરમિયાન એકાઉન્ટન્ટની તાલીમ દરમિયાન પિતાના સહયોગથી સુદાનના પરિચિતો સાથે માલ મોકલવાનો ધંધો શરુ કર્યો. એ માટે બાપ-દિકરાએ હોંગકોંગ, તાઇવાન, જાપાન અને સિંગાપોર વગેરે દેશોના અવાર-નવાર પ્રવાસો કર્યા. બિઝનેસની સારી જમાવટ થઇ એથી એકાઉન્ટન્ટના વ્યવસાયનું સપનું બાજુમાં રાખી પોતાના ધંધામાં ધ્યાન કેન્દ્રિત કર્યું.
૧૯૭૮માં તરૂણા નામની યુવતી સાથે લગ્ન ગ્રંથીથી જોડાયાં અને એલિફન્ટ કાસલમાં પ્રથમ ટોય શોપ POONY(પૂની) નામે શરૂ કરી. અને કાળક્રમે ધંધાનો વિકાસ થતો ગયો.
પૈસેટકે સુખી થયા પણ એ સાથે સમાજ ઋણ અદા કરવાની તમન્ના જાગી. ૧૯૮૪માં સુદાનથી આવી લંડનમાં સ્થાયી થયેલા ભાઇ-બહેનોને એકત્ર કરી દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં સક્રિય બન્યા. ૧૯૯૦માં જૈન સોસીયલ ગૃપના કમિટી સભ્ય, ખજાનચી, વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ (૨૦૦૬ થી ૨૦૦૮) વગેરે હોદ્દાઓએથી સેવા સાદર કરી. એ સાથે જ જૂનું નવનાત ભવન હતું ત્યારથી નવનાત વણિક એસોસિએશનના કાર્યક્રમોમાં સક્રિય અનુદાન આપવાનું શરુ કર્યું. ૨૦૦૪ થી ૨૦૧૨ સુધી નવનાત બ્રીજ ક્લબના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી. ૨૦૦૫માં એ વખતના પ્રેસિડેન્ટ શ્રી સુભાષભાઇ બખાઇની વિનંતિથી નવનાતનું ટ્રસ્ટી પદ સ્વીકાર્યું.
૨૦૧૫માં એ સમયના પ્રેસિડેન્ટ શ્રી ધીરુભાઇ ગેલાનીએ નવનાતની એક્ઝીક્યુટીવ કમિટીમાં જોડાવા તેમજ આગામી પ્રેસિડેન્ટ પદ માટેની ટ્રેનીંગ લેવા આહ્વાન આપ્યું. તે વખતે એ વાત જોક લાગતી હતી પરંતુ એ હકીકત બની. અઢારેક મહિનાથી નવનાતનું પ્રેસિડેન્ટ પદ શોભાવી રહ્યા છે. દરમિયાનમાં ઘણા બધા કાર્યો સિધ્ધ કરવામાં સફળતા મળી. પેનેડેમીકના સમયમાં ઇન્ડીયન સંસ્થાઓમાં વર્ચ્યુઅલ પ્રોગ્રામની શરુઆત કરવાનું બહુમાન નવનાતને ફાળે જાય છે. માર્ચ ૨૦૨૦થી વિવિધ વર્ચ્યુઅલ કાર્યક્રમો યોજી સમાજના સભ્યોને પ્રવૃત્ત રાખી એકલતા ટાળવામાં કામયાબ રહ્યા. ટેકનોલોજીના યુગ સાથે કદમ મિલાવી પર્યુષણ, નવરાત્રી, દિવાળી વગેરે ઉત્સવોની ઉજવણી વર્ચ્યુઅલ કરી.
"જૈન સંસ્થાઓમાં પણ અમારી સંસ્થાનો હોલ પ્રથમ છે જેનો ઉપયોગ NHSએ વેકસીનેશન સેન્ટર તરીકે કર્યો જેને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ય સારી એવી લોકપ્રિયતા અમને મળી" એમ શ્રી દિલિપભાઇએ ગૌરવભેર જણાવ્યું. વધુમાં ઉમેર્યું કે, અમે નવી વેબસાઇટ યુઝર ફ્રેન્ડલી બનાવી રહ્યા છે. અમારા ડાઇનીંગ હોલના એકસ્ટેન્શનનું બાંધકામ ચાલી રહ્યું છે જે આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. એના ઉદ્ઘાટનની મંગળ ઘડીની રાહ સૌ નવનાતીઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. અમારી આ સફળતા ટીમ વર્કનું પરિણામ છે. એ માટે હું મારી ટીમનો ખૂબ આભારી છું. એકમેકના સાથ વિના તમે કોઇપણ કાર્ય એકલા હાથે ના કરી શકો! વીઝન અને મીશન વ્યક્તિના અને સમાજના વિકાસ માટે જરૂરી છે.