ઘરદીવડા - સમાજમાં તંદુરસ્તી અને ખુશીનો માહોલ સર્જવામાં ડો. ખ્યાતિની ખ્યાતિ…

- જ્યોત્સના શાહ Tuesday 11th May 2021 17:24 EDT
 
 

ભગવાન મહાવીરના પ્રેમ અને કરૂણાના સંદેશને જીવનમાં ઉતારી સમાજમાં અનન્ય અનુદાન આપતી યુવતી ડો ખ્યાતિ બખાઇ યુવા પેઢીના ઉજ્જવળ ભાવિ માટે મિસાલ સમાન છે. યુવા વયમાં અસામાન્ય સિધ્ધિ મેળવી સમાજનો ચહેરો બદલવાના ધ્યેયમાં આગેકૂચ કરી રહેલ ખ્યાતિનો જન્મ મુંબઇમાં થયો હતો. સાત વર્ષની વયે તેઓ માતા-પિતા સાથે યુ.કે. સ્થળાંતર કરી બ્રાઇટનમાં સ્થાયી થયા હતા. એમના પિતાશ્રીએ સારા ભવિષ્ય માટે એડનથી ભારત અને ભારતથી યુ.કે. વિદેશગમન કર્યું હતું.

ખ્યાતિ ટીનેજર હતી ત્યારથી સ્થાનિક હોસ્પિટલના જીરીઆટ્રીક્સ વોર્ડમાં ભોજન સમયે વડીલોને કંપની આપવા અને જલ્દી સાજા થઇ જશો એવી હૈયાધારણ આપવા જવાની હૈયાસૂઝ હતી. તેમને માતા-પિતા તરફથી જીવનના મૂલ્યો અને નિ:સ્વાર્થ સેવાનો સંસ્કાર વારસો મળ્યો હતો.
UCL માં મેડિસીનનો અભ્યાસ કરવા ગયા ત્યારે વેકેશનમાં બેંગ્લુરુની હોસ્પિટલમાં અને ચેરિટેબલ સંસ્થાઓમાં ભારતમાં સેવા આપવા જતાં. ખાસ કરીને જેઓને HIV થયું હોય એવા લોકો સમાજ બહાર મૂકાઇ જતા તેમની તેઓ મદદ કરતા હતા. યુનિવર્સિટીમાં હતા ત્યારે ઇન્ડિયન સોસાયટીના પ્રમુખ હતા. એ વેળા એશિયામાં સુનામી આવી ત્યારે મદદ માટે ફંડ-ફાળો એકત્ર કરવામાં મદદ કરી હતી.
ડોકટર બન્યા બાદ ગુજરાતી અને અંગ્રેજ સમાજના વિવિધ જૂથો માટે તેમણે હાયપર ટેન્શન અને માનસિક સુખાકારી વિષયક હેલ્થ સેમિનાર્સ યોજ્યા છે.
તાજેતરમાં કોવીડ-૧૯ અને વેકસિન બાબતમાં જૈન હેલ્થ ઇનિશિયેટિવમાં ભાગીદારી નોંધાવી ૨૫,૦૦૦ વધુ લોકો સુધી પહોંચી સમાજમાં જાગૃતિ લાવવામાં સક્રિય ફાળો નોંધાવ્યો છે. પેન્ડેમિકમાં માનસિક સમતુલા જાળવવા માતા-પિતા અને પાંચ વર્ષ સુધીના બાળકો માટે DIY હેલ્થ પ્રોગ્રામ બનાવી આરોગ્ય વિષયક વાર્તાલાપોનું આયોજન કરી હજારો લોકોમાં તંદુરસ્તીના સશક્તિકરણમાં મદદરૂપ બન્યાં છે. ઘરેલૂ હિંસા અને તાણયુક્ત વાતાવરણમાંથી બહાર લાવી પુન: આત્મ વિશ્વાસ જગાવ્યો છે.
 દેશભરના વિવિધ વિસ્તારોમાં વ્યાપક આ પ્રોગ્રામ હાથ ધરવા માટે એમને બ્રિટિશ મેડીકલ જર્નલનો એવોર્ડ પણ મળ્યો છે. એમનો શિક્ષણ પ્રેમ અને જ્ઞાનપિપાસાને કારણે નર્સો, મેડીકલ સ્ટુડન્ટ્સ, જુનિયર ડોક્ટરો, ફાર્માસિસ્ટો અને ફિજીશીયન એસોસિએટ્સને ભણાવવાનું કામ પણ કર્યું છે. રોયલ કોલેજ ઓફ જી.પી. અને
આંતરરાષ્ટ્રીય સ્તરે હેલ્થ સ્ટાફને એકાદ દાયકાથી ઓનલાઇન લર્નીંગના વિકાસ અને એ લોકો સુધી પહોંચાડવામાં કાર્યરત છે.
તેઓ માને છે કે, કોમ્યુનિટી સર્વિસ જેવું સારૂં પાયાનું કામ કોઇ નથી. બરાક ઓબામાના અવતરણને ટાંકતા જણાવે છે કે, “જગત જેવું છે એમાં તમે જીવી લો છો. પરંતુ વિશ્વ જેવું હોવું જોઇએ તેવું બનાવવા પ્રયાસ તો કરવા જ જોઇએ. આપણે કદાચ આખી દુનિયા ન બદલી શકીએ પરંતુ આપણા નાના કે મોટા અનુદાનથી આપણી આસપાસના સમાજમાં ખુશી અને આરોગ્ય મળી રહે તેટલો બદલાવ લાવી શકીએ તો ઘણું છે. “
હાલમાં "બ્રોમલી બાય હેલ્થ પ્રેક્ટીસના ભાગીદાર છે જેને CQC એ આઉટ સ્ટેન્ડીંગ કક્ષાનું રેટીંગ આપ્યું છે. ટાવર હેમ્લેટ્સ ક્લિનિકલ કમિશનિંગ ગૃપની ગવર્નીંગ બોડીના એ સભ્ય છે. એમને ૩ અને ૬ વર્ષની બે દિકરીઓ છે. ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ ડો.ખ્યાતિબેનને મહાવીર જયંતિના દિવસે વન જૈન સંસ્થા તરફથી "જૈન યંગ પર્સન એક્સેલન્ટ" એવોર્ડ આપી બહુમાન કર્યું હતું. “ગુજરાત સમાચાર" પરિવાર પણ એમને અભિનંદન પાઠવે છે. 
 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter