નવ વર્ષના શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની તપાસમાં પૂરાવા આપવાનો ઈન્કાર કરીને કોર્ટની અવમાનના બદલ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જેકબ ઝૂમાને ૧૫ મહિનાની જેલ થઈ તે પછી આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં તોફાનો ફાટી નીકળ્યા હતા. તે પછી અદાલતના તિરસ્કાર માટે તેમની ધરપકડના આદેશને ઉથલાવવા માટે કોર્ટમાં જવાની તક પણ તેમણે ગુમાવી દીધી.
પીટરમેરિટ્ઝબર્ગ હાઈ કોર્ટના પ્રિસાઈડિંગ જજે તબિયત વિશેની તેમની ચિંતાના સમર્થનમાં પૂરાવા રજૂ ન કરાયા હોવાના આધારે તેમની અરજી રદ કરી દીધી હતી.
તેમની ધરપકડને પગલે કોવિડ સંક્રમણની વિક્મજનક લહેર વચ્ચે દક્ષિણ આફ્રિકાના બે સૌથી વધુ વસતિ ધરાવતા પ્રદેશમાં દક્ષિણ આફ્રિકા લૂંટ અને આગચંપીની સુનામીનું સાક્ષી બન્યું. ક્વાઝુલુ - નાતાલના પ્રાંતમાં ડરબન સિટી અને ગૌતેંગ પ્રાંતમાં કોમર્શિયલ પાટનગર જોહાનિસબર્ગને ખૂબ અસર થઈ હતી. પરંતુ, અન્ય પ્રાંતોમાં પણ હિંસા ફેલાઈ હતી. જોહાનિસબર્ગથી ૪૫ મિનિટના અંતરે આવેલું રાજકીય પાટનગર પ્રિટોરિયા પણ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિના અંતથી અત્યાર સુધીની સૌથી ગંભીર હિંસાથી હચમચી ઉઠ્યું હતું.
આપણા ઘરોના ટીવી સ્ક્રીન શોપીંગ મોલ્સ, ફેક્ટરીઓ અને વેરહાઉસીસમાં લૂંટફાટ અને આગચંપીના દ્ર્શ્યોથી ઉભરાઈ ગયા અને આપણા સોશિયલ મીડિયા પર આ ગુનાઓના વીડિયો વારંવાર દેખાતા રહ્યા. હિસાની તીવ્રતા અને વ્યાપકતાને ધ્યાને લઈને પોલીસ અને કાયદાનો અમલ કરાવતી અન્ય એજન્સીઓની મદદ માટે લશ્કર બોલાવવાની ફરજ પડી હતી. દક્ષિણ આફ્રિકામાં કુલ વસતિના ત્રણ ટકાથી ઓછા લોકોનું સંપૂર્ણ વેક્સિનેશન કરાયું છે ત્યારે તોફાનોને લીધે કેટલાંક વેક્સિનેશન સેન્ટર બંધ કરવાની ફરજ પડી હતી.
ભૂતકાળની માફક આ વખતે પણ ગરીબ વિસ્તારોમાં ખૂબ વિનાશ થયો હતો. પરંતુ, હિંસા અને લૂંટફાટ માત્ર આ વિસ્તારો સુધી જ સીમિત રહી ન હતી. કેટલાંક વિસ્તારોમાં રહીશોએ તેમના જાનમાલનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે વિજીલન્ટ ગ્રૂપની રચના કરી હતી. શોપ્સ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ લૂંટી લેવાયા હતા, વેરહાઉસીસમાંથી માલસામાન ખાલી કરી દેવાયો હતો અને ટ્રકો પર હુમલા થયા હતા તેથી ખાસ કરીને ડરબન અને ક્વાઝુલુ - નાતાલના રહીશોને ફૂડ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાવાની દહેશત ઉભી થઈ હતી.
સરકારે તેને ઘડી કાઢેલો હુમલો, 'ઈરાદાપૂર્વક, સંકલિત અને સુઆયોજિત' ગણાવ્યો હતો. ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઝૂમાની ધરપકડને પગલે તોફાનો ફાટી નીકળ્યા. પરંતુ, વિશ્લેષકો હિંસા પાછળ ઘણા ઉંડા પરિબળો હોવાનું માને છે. આફ્રિકામાં સાઉથ આફ્રિકા કોરોના વાઈરસની મહામારીથી સૌથી વધુ અસર પામેલો દેશ છે.
કોવિડ – ૧૯ સંક્રમણની ત્રીજી લહેર ત્યાં મધ્યમાં છે. ત્યાં સતત બીમારી અને મૃત્યુ થઈ રહ્યા છે. વાઈરસને ફેલાતો અટકાવવા માટે સરકારને કડક લોકડાઉન સાદવું પડ્યું હતું. આ કડક નિયંત્રણોને લીધે અર્થતંત્રમાં ગયા વર્ષે વિક્રમજનક મંદી નોંધાઈ હતી અને તેને લીધે ભૂખમરો અને ગરીબી વધી ગયા હતા.
અર્થતંત્રમાં ગયા વર્ષે સાત ટકાનો ઘટાડો નોંધાયો હતો. દેશના વાર્ષિક જીડીપીમાં ૧૯૪૬થી અત્યાર સુધીનો સૌથી વધુ ઘટાડો થયો. લોકડાઉન અને બિઝનેસીસ પરના નિયંત્રણોને લીધે રીકવરી થવી ખૂબ મુશ્કેલ છે.
અર્થતંત્રમાં મંદીને લીધે ૨૦૨૧ની શરૂઆતમાં બેરોજગારીના પ્રમાણમાં ૩૩ ટકાનો વિક્મજનક વધારો નોંધાયો. આ વર્ષે કરાયેલા સર્વેમાં જણાવાયું કે કુલ વસતિના છઠ્ઠા ભાગના લોકો એટલે કે ૧૦ મિલિયનથી વધુ લોકોએ અગાઉના સાત દિવસ ભૂખમરો વેઠ્યો હતો.
રંગભેદના અંતથી અશ્વેત લોકોનો આર્થિક ઉત્કર્ષ થશે તેવું મનાતું હતું. પરંતુ, તેવું થયું નથી. દક્ષિણ આફ્રિકાને હંમેશા અસમાનતા સાથે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. મહામારી દરમિયાન અમીર અને ગરીબ લોકો વચ્ચેની ખાઈ વધુ ઉંડી બની કારણ કે ગરીબ વધુને વધુ ગરીબ થતો ગયો.
કોવિડ – ૧૯ મહામારીની ગંભીર અસરને લીધે રીકવરી મુશ્કેલ બની હતી તેવા સંજોગોમાં હિંસાને લીધે જોબ કપરી બની ગઈ છે કારણ કે આ તોફાનોમાં નિશાન બનાવાયેલા મોલ્સ, ફેક્ટરીઓ, વેરહાઉસીસ અને નાના બિઝનેસીસ જ ખાસ કરીને ગરીબ અને ઓછું કૌશલ્ય ધરાવતા સાઉથ આફ્રિકન્સ માટે મુખ્ય એમ્પ્લોયર્સ છે. ઈન્વેસ્ટરોના વિશ્વાસ પર થયેલી અસર હજુ બહાર આવવાની બાકી છે.
પ્રેસિડેન્ટ રામાફોસા તેમની સાથે સરકારની કામગીરી સુવ્યવસ્થિત કરવાના અને સરકાર તથા શાસક આફ્રિકન નેશનલ કોંગ્રેસમાં સાફસૂફીના વચન સાથે આવ્યા. પૂર્વ પ્રેસિડેન્ટ ઝૂમાના વફાદારો અને સત્તા પર રહેલા નવા પ્રેસિડેન્ટની નીચેના લોકો વચ્ચે ANCમાં ખેંચતાણ ચાલે છે.
પૂર્વ પ્રેસિડેન્ટને મુક્તિ સંઘર્ષનો ભાગ રહી ચૂકેલા લોકો સાથે મજબૂત સંપર્ક છે. પ્રેસિડેન્ટ તરીકે તેમના સાદગીપૂર્ણ વ્યક્તિત્વને લધે તેમના પર ખોટું કર્યું હોવાના વર્ષોથી થઈ રહેલા આક્ષેપો છતાં મોટાપાયે લોકોનું સમર્થન મળી રહ્યું છે.
હાલના સત્તા માળખામાં ઝૂલુ જાતિને ખૂબ ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે. જોકે, આ બધા પરિબળો ભેગા થતાં ધરબાઈ રહેલો અસંતોષ ફાટી નીકળ્યો હતો.
આ મહામારીની કેટલી કિંમત ચૂકવવી પડશે તે હજુ બાકી છે. તેથી આપણે કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરતા રહીએ તે મહત્ત્વનું છે. દુનિયાભરની સરકારો લોકોના જીવ અને તેમની આજીવિકાના રક્ષણ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહી છે.
સરકારો લોકડાઉનના પગલાં હળવા કરે અને આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરે ત્યારે મહામારીને દૂર રાખવા વ્યક્તિગત પ્રયાસો અને વ્યક્તિગત સાવધાની વધારીને દરેક નાગરિકે સરકારને સપોર્ટ આપવો જ જોઈએ.
ખૂબ કપરો સમય વેઠી રહેલા લોકોને મદદ કરવાનો આપણો દરેક પ્રયાસ તેમને આશા આપશે. દક્ષિણ આફ્રિકામાં થયેલા તોફાનોના બોધપાઠ અન્ય બાબતો માટે પણ પ્રસ્તુત છે.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)