૨થયાત્રા એ અમદાવાદીઓ માટે એક અનેરું પર્વ છે, કારણ કે આ યાત્રા જગન્નાથજીના માનવકલ્યાણાર્થે રંગેચંગે નીકળતી યાત્રા છે. આ એક એવી યાત્રા છે જેમાં સ્વયં જગતનો નાથ સામે ચાલીને પોતાના ભક્ત સમુદાયને ઉમળકાભેર મળવા વાજતેગાજતે નગરના રસ્તે નીકળી પડે છે અને સહુ તેને જય રણછોડ... માખણચો૨ના દિક્ઘોષથી વધાવતા રહે છે.
147 વર્ષ પુરાણી આ રથયાત્રાની પરંપરા પણ હવે તો અમદાવાદની એક આગવી ઓળખ બની ગઇ છે. તેના દર્શનાર્થે શ્રદ્ધાસભર લાખો લોકો જોડાય છે અને સમગ્ર અમદાવાદ જાણે અહોભાવનો મહાસાગર બને છે. જગદીશ મંદિરના મહંત નરસિંહદાસજીના નેતૃત્વમાં ઈ. સ. 1878ની અષાઢી બીજની વહેલી સવારે રથયાત્રાની ભવ્ય પરંપરાનો પ્રારંભ થયો જે આજદિન સુધી કોઇપણ પ્રકારના વિઘ્ન વિના અવિરતપણે વહેતી રહીને વર્ષોવર્ષ તેનું માહાત્મ્ય અને મહત્ત્વ અધિકાધિક વધારતી રહી છે!
ઈ.સ. 1878માં સૌપ્રથમ નીકળેલી રથયાત્રામાં સાધુ-સંતો, ભજનમંડળીઓ, નિશાન, ગજરાજો, ધજા-પતાકા, ઢોલ-નગારાં અને બેન્ડવાજાં સામેલ હતાં પરંતુ સમયના પરિવર્તને પાછળથી આ રથયાત્રામાં અખાડાઓ, ટ્રકો, ઊંટગાડીઓ, ઘોડેસવાર પોલીસ પણ જોડાઇ. ટ્રકોમાંથી ઠંડું પાણી, મગ-જાંબુ-કાકડી ને ચોકલેટો વહેંચાતાં હતાં, જે આજે પણ પ્રસાદમાં વહેંચાય છે. ગુલાલની છોળો ઉડાડતી ભજનમંડળીઓની સાથે કાનાઘેલી સહેલીઓ રાસ રમતી માથે મટુકી મૂકીને તરહ-તરહનાં નાચગાન કરે છે. અખાડાની સાથે અંગ કસરતનાં કરતબો દર્શાવતી મોટી ફોજ રથયાત્રાની છડી પોકારતી આજે પણ આગળ ધપે છે.
વરસોવરસથી પરંપરાગત નીકળતી રથયાત્રામાં કેસરી ઉપરણાં અને ફ્ણગાવેલા મગ અને જાંબુના પ્રસાદના વિતરણનો અનોખો મહિમા જોવા મળે છે, જેની પાછળ પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. કૌરવો પાંડવોની દ્યૂતક્રીડાને લીધે જ્યારે દ્રૌપદીનાં ચી૨ હરાયાં હતાં ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીની લાજ રાખવા 999 ચીર પૂર્યાં હતાં તેમ નારીનાં સન્માન અને ગૌરવની ગાથા જાળવવા માટે કેસરી ઉપરણાંનો પ્રસાદ વહેંચવામાં આવે છે. તો વળી ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે વૃંદાવનમાં રાસલીલા પછી ઠાકુરજી પોતે ગોપીઓને માલપૂઆનો પ્રસાદ આપતા અને પોતે રાધાજી સાથે માલપૂઆ આરોગતા. આથી જ પુરીના અને અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં ભગવાનને કાંસાના વાસણમાં ‘સંપુટ’ ભોગ ધરાવવામાં આવે છે. ભારતમાં બ્રિટિશ સલ્તનત સામે ચાલતા આઝાદીના સંગ્રામની સીધી અસર પણ રથયાત્રામાં જોવા મળતી હતી. ઈ.સ. 1930માં કોલકાતામાં ૨થો ૫૨ ત્રિરંગો લહેરાવાયો હતો. આ જોઈ અંગ્રેજ સરકારના દેશી સિપાઇઓએ રથયાત્રીઓને રથો પરથી ત્રિરંગો ઉતારવાનો આદેશ આપ્યો, પરંતુ રથયાત્રીઓએ ત્રિરંગો ઉતારવાને બદલે રથો ઊભા રાખીને માર્ગ પર બેસી ધરણાં કર્યાં અને સરકારને પીછેહઠ કરવાની ફરજ પાડી.
રથયાત્રાના દિવસે વહેલી પરોઢે ‘જય રણછોડ... માખણચોર’ના ગગનભેદી જયનાદ અને ઘંટનાદ સાથે આરતીનો શુભારંભ થાય છે. ત્યારબાદ ડ્રાયફ્રૂટ ખીચડી, દહીં, કોળું-ગવારફ્ળીના શાકના મંગલભોગ બાદ જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીને પોતપોતાના રથમાં વિધિવત્ બિરાજમાન કરાવાય છે. ત્યારબાદ ત્રણેય રથને હાથ વડે દોરડાંની મદદથી ખેંચીને ખલાસીભાઈઓ મંદિરના પટાંગણની બહાર લાવે છે.
રથયાત્રા જમાલપુરના જગન્નાથ મંદિરેથી નીકળી ખમાસા, આસ્ટોડિયા ચકલા, રાયપુર ચકલા, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, આંબેડકર હોલ સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયાં ભાવતાં ભોજનિયાં જમી થોડોક વિરામ લીધા બાદ તાજા થયેલા રથયાત્રીઓ આગળની પરિક્રમા શરૂ કરે છે અને વિવિધ વિસ્તારોમાં ફરી ભગવાનના રથો નિજમંદિરે પરત ફરે છે.
રથયાત્રા અંગે વિવિધ રસપ્રદ કથાઓ
પવિત્ર નૈમિષારણ્યમાં શૌનક ઋષિએ સુતજીને તીર્થક્ષેત્રના વિષયમાં જે પ્રશ્નો પૂછયા તેના વળતા ઉત્તરમાં સુતજી જગન્નાથ ક્ષેત્ર વિશે જણાવતા હતા. જેમાં છઠ્ઠા અધ્યાયમાં જણાવ્યા મુજબ બ્રહ્માજીએ વૈશાખ સુદ-આઠમે કાષ્ટમય મૂર્તિની સ્થાપના ગુરુવારે શુભ નક્ષત્રમાં કરી, એ સમયે પ્રભુ જગન્નાથજીએ રાજા ઇન્દ્રદ્યુમ્નને પ્રસન્નતાપૂર્વક કહ્યું, ‘હું અહીં બ્રહ્માના બે પરાર્ધ સુધી આ તીર્થક્ષેત્રમાં વાસ કરીશ. હે રાજા! જેઠ સુદ પૂનમે મારો જન્મ ઉત્સવ ઊજવવો અને એ જ દિવસથી પંદર દિવસ સુધી મંદિર બંધ રાખી અષાઢ સુદ-બીજના દિવસે રથોત્સવ ઊજવવો.’ આ ઉક્તિ મુજબ ભક્તો અષાઢી બીજે રથોત્સવ ઊજવે છે.
બીજી માન્યતા મુજબ દ્વારિકાપુરીમાં યાદવોનાં છપ્પન કુળ વસતાં હતાં. યાદવો વ્યભિચારી બન્યા. અંતમાં યાદવ કુળનો નાશ થયો. શ્રીકૃષ્ણને અસહ્ય લાગી આવતાં તે ગામ બહાર વૃક્ષ નીચે બેઠા. એ સમયે પારધીનું બાણ વાગવાથી તેઓ મૃત્યુલોકને છોડી ગયા. કૃષ્ણની ચિતા તૈયાર કરાઇ. બલભદ્ર-સુભદ્રાએ પણ તેમાં ઝંપલાવ્યું. એ સમયે મૂશળધાર વર્ષા થઇ. ત્રણેય દેહ તણાઈને પુરીના દરિયાકિનારે આવ્યા. ત્યાંના રાજાએ ત્રણેય દિવ્ય દેહને પાટાપિંડી કરીને સુસજ્જ કરી નગરજનોના દર્શનાર્થે રથમાં બિરાજમાન કરી રથયાત્રા કાઢી. આ દિવસ અષાઢ સુદ બીજનો હતો. ત્યારથી શ્રદ્ધાળુઓ ત્રણેય મૂર્તિને રથમાં બિરાજમાન કરી રથોત્સવ ઊજવે છે.
ત્રીજી માન્યતા મુજબ ભગવાનને આંખનો રોગ થયેલો. આ દરમિયાન ભક્તોને દર્શન ન આપી શક્યા. આંખનો રોગ મટી જતાં બલરામ ને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થઇને નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યા અને મોસાળ જનકપુર (ગુંડીચા) આરામ કરવા પધાર્યા. આની યાદમાં અષાઢી બીજે રથયાત્રા નીકળે છે.
ચોથી માન્યતા પ્રમાણે કૃષ્ણની રાણીઓ માતા રોહિણી પાસેથી શ્રીકૃષ્ણની રાસલીલાની કહાની સાંભળવા ઇચ્છા વ્યક્ત કરે છે. એ વખતે માતાને એવું લાગે છે કે રાસલીલા બહેન સુભદ્રા ન સાંભળે તો સારું, માટે માતા રોહિણી બહેન સુભદ્રાને બંને ભાઇઓની સાથે રથમાં બેસાડીને મોકલી આપે છે. એ સમયે ત્યાં નારદજી પ્રકટ થયા અને ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી કે આપ ત્રણેય ભાઇબહેન આ જ રીતે દર વર્ષે રથયાત્રાના સ્વરૂપમાં પ્રયાણ કરી ભક્તોને દર્શન આપી તેઓને ધન્ય કરો અને મોક્ષના અધિકારી બનાવો. આમ, રથયાત્રા નિમિત્તે વિવિધ કથાઓ પ્રચલિત છે.