કરુણામયી જગદંબા તો ત્રણેય ભુવનના સર્જનહાર અને ત્રિવિધ તાપ-સંતાપનું શમન કરનાર છે. રાજરાજેશ્વરી માતા ભુવનેશ્વરીના મહિમાનું ગાન કરતાં એક શ્લોકમાં કહેવાયું છેઃ ‘હે માતા ભુવનેશ્વરી! તમે આત્મામાં જ્ઞાન રૂપે રહો છો, સૂર્યમાં તેજ રૂપે રહો છો, ચંદ્રમાં જ્યોત્સના રૂપે રહો છો, આકાશમાં શબ્દ રૂપે રહો છો, સુવર્ણમાં કાંતિરૂપે રહો છો, દૂધમાં ઘી રૂપે રહો છો.’ દેવી ભુવનેશ્વરી તો ત્રણેય ભુવનોના ઐશ્વર્યની સ્વામિની છે. તે આદ્યાશક્તિ પાર્વતીનું પાંચમું સ્વરૂપ છે, તો દશ મહાવિદ્યાઓમાં ચોથી મહાવિદ્યા છે. ‘દેવી ભાગવત’માં મહાદેવીનું સવિસ્તાર નિરૂપણ થયું છે. ગુજરાતના ગોંડલની ‘શ્રી ભુવનેશ્વરી પીઠ’નો ભારે મહિમા છે.
મહાદેવી ભુવનેશ્વરીનું મૂળ નિવાસસ્થાન
સુબાલ ઉપનિષદમાં અંતરિક્ષના મણિદ્વીપનું વર્ણન છે. માતા ભુવનેશ્વરી ત્યાં ઝળહળી રહ્યાં છે. ‘દેવી ભાગવત’ની કથા પ્રમાણે, બ્રહ્મલોકની ઉપરના ભાગમાં સર્વલોક છે જે મણિદ્વીપ કહેવાય છે. તેની ચારે બાજુ અમૃતનો સાગર છે. તે સમુદ્રમાં રત્નો જેવી ચમકતી રેતી છે. તે મણિદ્વીપ સોના, ચાંદી વગેરેના અનેક કિલ્લા (ગઢ)થી ઘેરાયેલો છે. એક મણિ-ગઢમાં તો 32 મહાદેવી શક્તિઓ નિવાસ કરે છે. નવરત્નના કિલ્લા પછી વિશાળ ચિંતામણિ ગૃહ છે. તે ગૃહના મધ્ય ભાગમાં શ્રી ભુવનેશ્વરી મહાદેવી નિવાસ કરે છે. તે ગૃહમાં અનેક મંડપો છે. એક સિંહાસન પર શ્રી ભુવનેશ્વર મહાદેવ વિરાજમાન છે. એમના ખોળામાં શ્રી ભુવનેશ્વરી દેવી બેઠાં છે. પાસે ચિંતામણિ ગણપતિ વિરાજે છે. વિદ્યાધરો, યક્ષ-કિન્નરો, દેવીઓ વગેરે શ્રી ભુવનેશ્વરીની સદા સેવા કરે છે.
‘દેવી ભાગવત’ની કથા પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ મણિદ્વીપમાં સર્વેશ્વરી મહાદેવીનાં દર્શન કરવા ગયા, તો તે ત્રણેય સ્ત્રીપણાંને પામ્યા. તે પ્રસંગે ભગવાન વિષ્ણુએ દેવી ભુવનેશ્વરીની સ્તુતિ કરી: ‘હે મહાદેવી! તમે તો સૃષ્ટિનું સર્જન કરનારાં પ્રકૃતિ છો. તમારા ઐશ્વર્ય-માહાત્મ્યને કોણ જાણી શકે? તમારાં ચરણારવિંદના અમને હંમેશ દર્શન થતાં રહે.’ વ્યાસજીએ પણ દેવીનો મહિમા ગાયો છે: ‘જ્યારે સર્વ દેવો, પંચતત્વો, ઇન્દ્રિયો વગેરેનું અસ્તિત્વ નહોતું ત્યારે મહાદેવીનું પ્રાગટ્ય થયેલું, ઇન્દ્રદેવ પણ પોતાની સ્તુતિમાં શ્રી ભુવનેશ્વરીને સચ્ચિદાનંદ-સ્વરૂપા, બ્રહ્મસ્વરૂપિણી અને બ્રહ્મવિદ્યારૂપ કહે છે.
શ્રી ભુવનેશ્વરી પીઠ (ગોંડલ)ની સ્થાપના
‘દેવી ભાગવત’ પ્રમાણે શક્તિનું આદ્યસ્વરૂપ એટલે માતા ભુવનેશ્વરી. ભારતભરમાં માતા ભુવનેશ્વરીનાં મુખ્ય ત્રણ મંદિર છે: સૌરાષ્ટ્રના રાજકોટ પાસેના ગોંડલમાં બ્રહ્મલીન આચાર્ય ચરણતીર્થ મહારાજે ઈ.સ. 1946માં મંદિર સાથે પીઠની (શ્રી ભુવનેશ્વરી પીઠ) સ્થાપના કરીને એમાં માતા ભુવનેશ્વરીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. 108 શક્તિપીઠો કે દેવીપીઠોમાંની આ એક શક્તિપીઠ છે, એમ કહી શકાય. માતા ભુવનેશ્વરીનું બીજું મંદિર દક્ષિણ ભારતમાં તુંગભદ્રા નદીના કિનારે બંધાયું છે. ઓડિશાના ભુવનેશ્વર નગરમાં પણ મહાદેવ ભુવનેશ્વર અને મહાદેવી ભુવનેશ્વરીનું મંદિર છે.
શ્રી ભુવનેશ્વરી પાટોત્સવ-ગોંડલ
વૈશાખ વદ પંચમી (આ વર્ષે 17 મે)ના રોજ માતા ભુવનેશ્વરી દેવીનો પાટોત્સવ દેશ-વિદેશમાંથી પધારેલા હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઊજવાય છે. વૈશાખ વદ પંચમીથી નોમ સુધીના દિવસોમાં ભુવનેશ્વરી માતાની મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાય છે. આ દિવસોએ માતાજીની મહાપૂજા, ભક્તો-શિષ્યોને આશીર્વાદ-પ્રદાન, શતચંડી મહાયજ્ઞ, સમૂહભોજન ઇત્યાદિ યોજાય છે. શ્રી ભુવનેશ્વરી સાથે શ્રી ભુવનેશ્વર મહાદેવ પણ મંદિરમાં વિરાજમાન છે. ભુવનેશ્વર મહાદેવનો પાટોત્સવ મહા વદ 14ના દિને સંપન્ન થાય છે. આ પ્રસંગે માતાજી, ચિંતામણિ ગણપતિ, ભુવનેશ્વરી તેમજ ભુવનેશ્વર મહાદેવનું પૂજન થાય છે, હોમાત્મક લઘુરુદ્ર કરાય છે. ગોંડલના મહારાજના વંશજો આમાં મુખ્ય યજમાન ગણાય છે.
માતા ભુવનેશ્વરીની નજરે ગરીબ-તવંગર, પાપી કે પુણ્યશાળી, સ્ત્રી કે પુરુષ સૌ સરખાં છે. માતાની ઉપાસના તો સર્વ વર્ણના અને સર્વ ધર્મના લોકો કરી શકે છે. સર્વ વર્ણો અને સર્વ ધર્મોની એકતાનો સંદેશ ભગવતી ભુવનેશ્વરીની આ પીઠ આપે છે. ભગવતી તો તમામ દુઃખ-દર્દ-રોગોને શમાવનારી છે. તેથી જ, ગોંડલની આ ભુવનેશ્વરી પીઠમાં ધર્મની સાથે સામાજિક, સાંસ્કૃતિક અને આરોગ્ય સંબંધી અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે. રાજવૈદ્ય જીવરામ કાલિદાસજી મહારાજ (બ્રહ્મલીન આચાર્ય ચરણતીર્થ મહારાજનું પૂર્વાશ્રમનું નામ) દ્વારા પ્રવર્તિત ‘ભુવનેશ્વરી ઔષધાલય’ અનેક ઔષધિઓનું નિર્માણ કરીને માનવનાં અનેક દુઃખ-દર્દોના નિવારણનું પ્રશંસનીય કાર્ય કરે છે.