શનિદેવઃ નીલવર્ણા અંજન સમાન પ્રકાશતા - તેજવલયોથી શોભતા સૂર્યપુત્ર

શનૈશ્ચર જયંતી (આ વર્ષે 26 મે)

Wednesday 21st May 2025 07:29 EDT
 
 

ભારતીય ધર્મ-સંસ્કૃતિએ ખગોળશાસ્ત્રીય નવેય ગ્રહો જેવા કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શનિ વગેરેને દેવનું સ્વરૂપ અપાયું છે. સૂર્યને તો જગતનો આત્મા કહ્યો છે. એ આત્મસ્વરૂપ સૂર્યદેવને આધારે આખું વિશ્વ, બ્રહ્માંડ ટકી રહ્યું છે. બ્રહ્માંડમાં સૂર્યમંડળના નવેય ગ્રહો સૂર્યની ચોમેર કુદરતે નિશ્ચિત કરેલા ચોક્કસ નીતિનિયમો (‘ઋતુ’) પ્રમાણે ભ્રમણ કર્યા કરે છે. બ્રહ્માંડમાં નક્ષત્રો-ગ્રહો વગેરે ક્યારેય સમયભ્રષ્ટ તેમજ માર્ગભ્રષ્ટ થતાં નથી. એ તો નક્કી કરેલા સમય પ્રમાણે સાચા માર્ગે ગતિ કર્યા કરે છે. માણસ સીધા અને સત્ય માર્ગે ચાલે એવા આશયથી આપણા પુરાણકારો અને જ્યોતિષશાસ્ત્રીઓએ શનિ-મંગળ જેવા ગ્રહોની વક્ર સૃષ્ટિનો, પનોતી વગેરેનો ભય બતાવ્યો છે, એમ કહી શકાય.

આપણે ખગોળશાસ્ત્ર અને પુરાણો પ્રમાણે શનિદેવનું સ્વરૂપ અને પ્રકૃતિ જોઇએ. ખગોળશાસ્ત્ર પ્રમાણે શનિ સૂર્યમાળાના નવ ગ્રહો પૈકી એક મુખ્ય ગ્રહ છે. વૈદિક ઋષિઓ અને પુરાણકારો ગ્રહોનું પણ સજીવારોપણ કરી તેમને મનુષ્યાકૃતિના દેવ માને છે. ભાગવત, મત્સ્ય વગેરે પુરાણોમાં શનિ ગ્રહ શનિદેવ રૂપે નિરૂપાયા છે. શનિ સૂર્ય અને તેમની પત્ની છાયાના પુત્ર છે. વિવસ્વાન (સૂર્ય)ના બે પત્નીઓ હતાઃ સંજ્ઞા અને છાયા. સૂર્ય અને છાયાથી શનિ અને સાવર્ણ મનુ નામના બે પુત્રો થયા (ભાગવત, 6.6.40). પિતા સૂર્યની આજ્ઞાથી શનિદેવ ગ્રહ બની ગયા.
ખગોળશાસ્ત્ર પ્રમાણે શનિગ્રહની આસપાસ સુંદરીએ ગૂંથેલી વેણી જેવાં ત્રણ તેજવલયો છે. કાલિકા પુરાણમાં પણ શનિને સૂર્યપુત્ર કહ્યો છે. તેનો વર્ણ શ્યામ અને પીળાશ પડતો છે. સૂર્યદેવના બીજી પત્ની છે સંજ્ઞા. સંજ્ઞાને સૂર્યદેવથી છ સંતાન શનિ અને યમ નામના બે પુત્રો તેમજ તપતી, ભદ્રા, કાલિન્દી અને સાવિત્રી નામની ચાર પુત્રીઓ થયાં.

એવી પૌરાણિક કથા છે કે એક વાર સંજ્ઞાથી પતિ સૂર્યદેવનું તેજ સહન ન થતાં તે પોતાની પ્રતિકૃતિ જેવી દેખાતી છાયા નામની સ્ત્રીને મૂકીને પિયર જતી રહી. આ દરમિયાન છાયાને સૂર્યથી સાત સંતાનો થયાં. સૂર્યદેવનું તેજ સહન થઈ શકે તેટલું ઓછું થયું ત્યારે સંજ્ઞા પતિગૃહે પાછી ફરી, પણ સૂર્યે તેનો તિરસ્કાર કર્યો. તેથી તે વનમાં જઈને અશ્વી (ઘોડી) રૂપે તપશ્ચર્યા કરવા લાગી. અંતે છાયાએ સૂર્યને સાચી હકીકત જણાવી દીધી.
સૂર્યદેવ સંજ્ઞાને મનાવવા અશ્વ થઈને વનમાં આવ્યા. બંનેનું (અશ્વ- અશ્વીનું) પુનર્મિલન થયું ને બે જોડિયા પુત્રો અશ્વિનીકુમારોનો જન્મ થયો. તે દેવોના વૈદ્યરાજ થયા. સંજ્ઞા એ જ છાયા છે, એવું પણ પુરાણોમાં અનેક સ્થળે કહેવાયું છે.
ખગોળ શાસ્ત્રીય દૃષ્ટિએ શનિનું બીજું નામ છે ‘શનૈશ્ચર’. શનૈશ્ચર એટલે શનૈઃ એટલે ધીરે ધીરે અને ચર એટલે ફરનાર. તે સૂર્યની આસપાસ ધીરે ધીરે ફરે છે. પૌરાણિક કલ્પના પ્રમાણે તે લોખંડના રથમાં બેસીને ગ્રહમંડળમાં ધીરે ધીરે ગતિ કરે છે. તેથી તે 30 માસ સુધી એક રાશિમાં વિચરણ કરે છે. બધી રાશિઓને પાર કરતાં તેને 30 વર્ષનો સમય લાગે છે. આ ખગોળશાસ્ત્રીય ગણના છે.
પુરાણોમાં શનિદેવને ઉગ્ર તેજવાળા અને તીક્ષ્ણ પ્રકૃતિના નિરૂપ્યા છે. ખગોળશાસ્ત્રમાં પણ કહ્યું છે કે શનિગ્રહ ઉગ્ર તાપ-તેજ રેલાવે છે. તે રેડિયો-તરંગો છોડે છે અને વક્ર ગતિથી સૂર્યની પ્રદક્ષિણા કરે છે. આ સંદર્ભમાં શનિદેવ ઉગ્ર પ્રકૃતિના અને ઉત્પાત મચાવનારા મનાયા છે.

શનિદેવનું પ્રસિદ્ધ સ્થાનક

મહારાષ્ટ્રના શિંગણાપુર ક્ષેત્રમાં શનિદેવનું સૌથી મોટું પ્રસિદ્ધ સ્થાનક છે. અહીં શનિદેવની ઊભા કાળા પથ્થરની સ્વયંભૂ મૂર્તિ છે. આ પથ્થર ખુલ્લામાં છે. તેને કોઈ છત્ર નથી. કહેવાય છે કે શનિદેવના પ્રભાવથી આ ક્ષેત્રમાં ચોરી થતી નથી. કોઈ ઘરને ક્યારેય તાળું મરાતું નથી, કબાટ-તિજોરીનો પણ ઉપયોગ થતો નથી. શનિદેવની પ્રતિમાને પંચામૃત તેલ વગેરેથી સ્નાન કરાવાય છે. વૈશાખ માસની અમાસે શનિદેવની જયંતીનો ઉત્સવ અહીં ધામધૂમથી ઊજવાય છે.
સંત જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉ૫૨ની પ્રસિદ્ધ ટીકા ‘જ્ઞાનેશ્વરી’ની રચના આ સ્થાનકે કરી હતી. શનિદેવનું વ્રત પણ અનેક સ્થળે કરાય છે. શ્રાવણ માસના શનિવારથી આરંભીને અગિયાર શનિવારનું આ વ્રત કરાય છે. પીપળાના મૂળમાં વેદિકા રચીને, તેમાં લોઢાની બનેલી, બે હાથમાં દંડ-પાશ ધારણ કરનારી શનિદેવની મૂર્તિની સ્થાપના કરીને ‘સૂર્યપુત્રાય નમઃ' મંત્રથી નમસ્કાર-પૂજન કરાય છે.
દશરથ રાજાએ કૃષ્ણ-નીલ વર્ણવાળા, રૌદ્ર, ભીષણ એવાં વિવિધ નામોથી શનિદેવની સ્તુતિ કરેલી. આ સ્તુતિ ‘શનૈશ્ચર-સ્તોત્ર’ કહેવાય છે. ભવિષ્ય પુરાણમાં ધર્મરાજ યુધિષ્ઠિરએ ‘શનૈશ્ચર-સ્તવરાજ’માં શનિદેવની 108 નામોથી સ્તુતિ કરી છે. શનિદેવની જયંતીના પર્વે આપણે એમને નમન કરીએઃ
નીલાંજન-સમાભાસ, રવિપુત્ર યમાગ્રજમ ।
છાયા-માર્તંડ-સંભૂત, તં નમામિ શનૈશ્ચરમ ।। (નવગ્રહ સ્તોત્ર)
અર્થાત્ ‘નીલવર્ણા અંજન સમાન પ્રકાશતા, સૂર્યપુત્ર, યમરાજના મોટાભાઈ અને છાયા તેમજ સૂર્યથી જન્મેલાં અને ધીરે ધીરે ભ્રમણ કરનારા શનિદેવને હું નમન કરું છું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter