શિવજી સાંનિધ્યમાં લઈ જતો શ્રાવણ માસ

પર્વવિશેષ - શ્રાવણ માસ (29 જુલાઇ - 27 ઓગસ્ટ)

Tuesday 26th July 2022 04:59 EDT
 
 

ભગવાન શિવને આપણે જગતપિતાના નામથી બોલાવીએ છીએ. તેમને સર્વવ્યાપી તથા લોકકલ્યાણના પ્રતીક માનવામાં આવે છે જે પૂર્ણ બ્રહ્મ છે. ધર્મશાસ્ત્રોના જ્ઞાતાઓ એવું માને છે કે શિવ શબ્દની ઉત્પત્તિ જોતાં તેનો એક અર્થ થાય છે બધાને પ્રેમ કરનાર અને જેને બધાં જ પ્રેમ કરે છે. શિવ શબ્દનું ધ્યાનમાત્ર પણ સૌને અખંડ આનંદ, પરમ મંગળ, પરમ કલ્યાણ આપે છે.

પુરાણો, વેદો અને શાસ્ત્રોમાં ભગવાન શિવનું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે. આપણી સાંસ્કૃતિક માન્યતા અનુસાર33 કરોડ દેવી-દેવતાઓમાં ‘શિરોમણિ’ દેવ શિવજી જ છે. સૃષ્ટિના ત્રણે લોકમાં ભગવાન શિવ એક અલગ, અલૌકિક શક્તિ આપનારા દેવ છે.
શિવજીનાં અનેક નામ છે, અને તેમને કોઈ પણ નામથી ભજો તે પ્રસન્ન જરૂર થશે. પુરાણોમાં ભોળાનાથનાં 108 નામોનો ઉલ્લેખ જોવા મળે છે. મહાદેવ, ભોળાનાથ, નીલકંઠ, શંકર, ગંગાધર, આદિદેવ, મહાદેવ, નટરાજ, ત્રિનેત્ર, પશુપતિનાથ, જગદીશ, જટાશંકર, વિશ્વેશ્વર, હર, શિવશંભુ, ભૂતનાથ અને રુદ્ર વધારે જાણીતાં છે.

શ્રવણ નક્ષત્રથી નામ પડ્યું શ્રાવણ
ભારતમાં ભોળાનાથ શિવજીને સંબંધી અનેક પર્વ અને ઉત્સવ ઉજવવામાં આવે છે તેમાં શ્રાવણ માસ (આ વર્ષે 29 જુલાઇ - 27 ઓગસ્ટ)નું આગવું મહત્ત્વ છે. મહિનામાં ચાર સોમવાર, એક પ્રદોષ તથા શિવરાત્રી - આ ત્રણે યોગ એક સાથે માત્ર શ્રાવણ મહિનામાં જોવા મળે છે. તેથી શ્રાવણ મહિનો વધારે શુભ ફળ આપનારો માનવામાં આવે છે. શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે શ્રવણ નક્ષત્ર હોવાને કારણે આ માસનું નામ શ્રાવણ માસ પડયું.
બિંદુ શક્તિ છે ને નાદ એ શિવ છે
ભોળાનાથની પૂજા-અર્ચના ક્યાંય તેમની મૂર્તિ સ્વરૂપે થતી નથી, પરંતુ લિંગરૂપે શિવજીની પૂજા થાય છે. વાયુપુરાણ અનુસાર પ્રલયકાળમાં સમગ્ર સૃષ્ટિ જેનામાં લીન થઈ જાય છે અને ફરીથી સૃષ્ટિકાળમાં જેનાથી પ્રગટ થાય છે તેને લિંગ કહે છે. આ રીતે વિશ્વની સંપૂર્ણ ઊર્જા જ લિંગનું પ્રતીક છે. તે સંપૂર્ણ સૃષ્ટિ બિંદુ-નાદ સ્વરૂપ છે. બિંદુ એ શક્તિ છે અને નાદ એ શિવ છે. બિંદુ તથા નાદ અર્થાત્ શક્તિ અને શિવનું સંયુક્ત જ શિવલિંગમાં અવસ્થિત છે. બિંદુ એટલે ઊર્જા અને નાદ એટલે ધ્વનિ. આ જ બંને સંપૂર્ણ બ્રહ્માંડનાં આધાર છે. આ જ કારણે પ્રતીક સ્વરૂપ શિવલિંગની પૂજાઅર્ચના કરવામાં આવે છે.
મોટા ભાગનાં હિન્દુ મંદિરોમાં ભગવાન કે દેવી-દેવતાની મૂર્તિને સ્પર્શ કરીને તેમની પૂજા કરી શકાતી નથી, પરંતુ શિવજી જ એક એવા દેવ છે જેમના લિંગ સ્વરૂપનું કોઈ પણ ભક્ત, તવંગર, ગરીબ, ઊંચ-નીચ જેવા ભેદભાવ રાખ્યા વગર કરી શકે છે. શિવલિંગની પૂજામાં અભિષેકનું અને બિલ્વપત્રનું વિશેષ મહત્ત્વ છે. અખંડ બિલ્વપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ‘ઓમ્ નમઃ શિવાય’ મંત્રજાપ કરતાં કરતાં શિવલિંગ પર બીલીપત્ર ચઢાવે છે તે સમસ્ત પાપમાંથી મુક્ત થઈ જાય છે અને શિવજીના પરમધામમાં સ્થાન પામે છે. ભોળાનાથ શંકરને આકડો-ધતૂરો અને ભાંગ પણ અતિ પ્રિય છે.

પાર્થેશ્વર લિંગની પૂજાનો વિશેષ મહિમા
શ્રાવણ માસમાં પાર્થેશ્વર લિંગ (માટીમાંથી બનાવેલા શિવલિંગ)ની પૂજાનો વિશેષ મહિમા છે. શિવજીની સાથે ગણેશજી, માતા પાર્વતી, નંદી, કાચબો તથા શિવ ચિહ્નો જેમ કે, રુદ્રાક્ષ, ત્રિશૂળ, ડમરું વગેરેની પૂજા પણ કરવામાં આવે છે. સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો દ્વારા શિવપુરાણ, શિવલીલામૃત, શિવકવચ, શિવચાલીસા, શિવપંચાક્ષર મંત્ર, શિવપંચાક્ષર સ્તોત્ર, મહામૃત્યુંજય મંત્રનો પાઠ તથા જાપ કરવામાં આવે છે. જેનાથી અનેક ગણાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
શ્રાવણ માસના દરેક સોમવારે શિવલિંગ પર શિવામૂઠ ચઢાવવામાં આવે છે. પહેલા સોમવારના દિવસે એક મૂઠી ચોખા, બીજા સોમવારે એક મૂઠી સફેદ તલ, ત્રીજા સોમવારે એક મૂઠી આખા મગ, ચોથા સોમવારે એક મૂઠી જવ અને જો પાંચમો સોમવાર આવતો હોય તો એક મૂઠી સત્તુ (સાથવો) ચઢાવવામાં આવે છે.

સોળ સોમવારનું વ્રત સર્વશ્રેષ્ઠ
મહિલાઓ શ્રાવણ માસમાં વિશેષ પૂજા-અર્ચના તથા વ્રત પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. બધાં જ વ્રતોમાં સોળ સોમવારનું વ્રત શ્રેષ્ઠ છે. આ વ્રતને વૈશાખ, શ્રાવણ, કારતક અને માઘ માસના કોઈ પણ સોમવારથી શરૂ કરી શકાય છે અને સત્તરમા સોમવારે સોળ દંપતીઓને ભોજન કરાવી તથા દાન આપી તેની પૂર્ણાહૂતિ કરવામાં આવે છે. આ વ્રતની શરૂઆત કરવા શ્રાવણ મહિનો સર્વોત્તમ છે.

દેવથી દાનવ સહુ ભોળાનાથના ભક્તો
શિવજીના ભક્તોમાં મનુષ્યો તો ઠીક દેવતાઓ, રાક્ષસો અને સ્વયં ભગવાનનો પણ સમાવેશ થાય છે. સર્પશય્યા પર સૂતા શ્રીહરિ વિષ્ણુ, બ્રહ્માજી, અસુર રાજ રાવણ, ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ શિવજીના પરમ ભક્ત હતા. હરિવંશ પુરાણમાં એમ દર્શાવાયું છે કે શ્રીકૃષ્ણએ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત પર જઈને તપસ્યા કરી હતી. ભગવાન શ્રીરામે રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના કરીને તેની પૂજા અર્ચના કરી હતી. જ્યારે રાવણે શિવજીને પ્રસન્ન કરવા માટે દસ વાર પોતાનું મસ્તક કાપીને તેમનાં ચરણોમાં ચઢાવ્યું હતું.

સંકટમુક્ત કરે શિવજી
• જે વ્યક્તિ રોગગ્રસ્ત થઈને પથારીવશ પડી હોય તે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને પોતાને સ્વસ્થ કરી શકે છે.
• શિવજી ગૃહસ્થ જીવનના આદર્શ છે. જેઓ અનાસક્ત રહેવા છતાં પણ પૂર્ણ ગૃહસ્થ સ્વરૂપ છે. તેમની આરાધનાથી મનુષ્યના ગૃહસ્થ જીવનમાં અનુકૂળતાની પ્રાપ્તિ થાય છે અને સુખમય ગૃહસ્થીનો સ્વામી બને છે.
• શિવ ઉપાસનાથી મનુષ્યના ત્રિવિધ તાપોનું શમન થઈ જાય છે.
• ભોળાનાથ સૌભાગ્યદાયક છે. તેથી શિવરાત્રીમાં કુંવારી કન્યા દ્વારા શિવજીની આરાધના કરવામાં આવે તો મનોવાંછિત વરની પ્રાપ્તિ થાય છે.
• જે સ્ત્રી સંતાનસુખની કામનાથી શિવજીની પૂજા-અર્ચના કરે છે તેને શિવજીની કૃપાથી સંતાનની પ્રાપ્તિ થાય છે.
ભગવાન શિવ પરમ પિતા પરમાત્માનું સંપૂર્ણ સ્વરૂપ છે, તેથી તેમની આરાધના જીવનપર્યંત કરવામાં આવે છે અને શ્રાવણ માસમાં તેમની આરાધનાથી વ્યક્તિ ધન્ય થઈ જાય છે, તેના સમસ્ત મનોરથ પૂર્ણ થઈ જાય છે.

મહાકાલનું સ્વરૂપ અને તંત્રશાસ્ત્ર

શિવજીની વેશભૂષા એટલે માથા પર ગંગા અને ચંદ્રમા, ત્રિનેત્ર, કંઠમાં વીંટળાયેલો સર્પ, કમર પર વ્યાઘ્રામ્બર, વ્યાઘ્રામ્બરનું આસન, પદ્માસનમાં ભૈરવી મુદ્રી, ત્રિશૂળ અને ડમરું સાથે માતા પાર્વતી અને તેમનું વાહન નંદી. આ શિવની જટામાં જ્યાં ગંગાજીને દર્શાવાયા છે, ભારતીય તંત્ર (શરીરશાસ્ત્ર)માં તેને સહસ્ત્રારચક્રથી ઓળખાય છે. બાળક જન્મે છે ત્યારે માથાનો મધ્ય ભાગ કોમળ હોય છે. ઉંમર થતાં તે સ્થાન કઠણ થાય છે. સહસ્ત્રારચક્રનો સામાન્ય અર્થ સહસ્ત્રદલ કમળ કરી શકાય. તે અમરતાનો સ્ત્રોત છે. માથાના એ ભાગની બનાવટ કમળની પાંખડીઓ જેવી છે. પુષ્પને પેદા થવા પાણીની જરૂર પડે છે. જળનું પવિત્રતમ રૂપ છે ગંગા અને ગંગાનું ઉદ્ગમ ક્ષેત્ર છે શિવજીની જટા. તેનો અર્થ એ થયો કે ગંગાને ત્યાં સ્થાપિત કરવા પાછળ કારણ એક લક્ષ્ય છે. તેથી ભગવાન શિવ જ સાધનાની અનેક વિધિઓ જણાવે છે, જે શાસ્ત્રોમાં વર્ણિત છે. થોડાક નીચે ચંદ્રમા સ્થાપિત છે. શિવના શરીરમાં જે સ્થાન પર ચંદ્રમાનાં દર્શન થાય છે તેને તંત્રમાં બિન્દુ વિસર્ગ કહે છે. ભૌતિક શરીરમાં આ સ્થાન બુદ્ધિનું કેન્દ્ર છે. ચંદ્રમાનો સ્વભાવ શીતળ છે. આપણી બુદ્ધિ પણ શીતળ અને શાંત હોવી જોઈએ તેનો તે સંકેત આપે છે.
કંઠ અને ભુજાઓમાં સર્પમાળા છે. સાપ જ એવો જીવ છે જે સંપૂર્ણ કાયાકલ્પ (કાંચળી કાઢવી) કરે છે. મનુષ્યના કંઠમાં જે ચક્ર સ્થાપિત હોય છે તેનું નામ છે વિશુદ્ધિ ચક્ર. જે શરીરમાં ઘણાં પ્રકારના રસોનું ઉત્પાદન કરે છે. જેને પાચકરસ તરીકે ઓળખાય છે. તેમાં સમસ્યા સર્જાય તો ઘણાં રોગ ઘર કરી જાય છે. તંત્રના સાધકોનું એવું માનવું છે કે વિશુદ્ધિ ચક્ર જાગૃત થાય તો વ્યક્તિમાં વિષને પચાવવાની ક્ષમતા આવે છે.
શરીરના સૌથી નીચેના ભાગમાં કુંડલીની શક્તિનું સ્થાન હોય છે જેને મૂળાધાર ચક્ર પણ કહે છે. મૂળાધાર ચક્ર જાગૃત થાય તો શક્તિ ઉર્ધ્વગામી થાય છે અને શરીરનાં બધાં જ ચક્રોનું છેદન કરીને સહસ્ત્રાર સુધી જઈને વિસ્ફોટ કરે છે. આ સુષુપ્ત શક્તિનો જે આકાર છે તે કુંડલી મારીને બેઠેલા સાપ જેવો હોય છે. તેથી સાપને શિવજીએ ગળામાં સ્થાન આપ્યું છે.
શિવજીના કપાળમાં એક અધખૂલી (ત્રીજી) આંખનાં દર્શન થાય છે. તેથી તેઓ ત્રિનેત્ર પણ કહેવાય છે. શિવજીનું આ નેત્ર તંત્રમાં આજ્ઞાચક્ર તરીકે પરિભાષિત છે. આજ્ઞાચક્ર બધાં જ ચક્રોનું નિયંત્રણ કરે છે. ઉત્તમ સાધના કરવા માટે ત્રિનેત્રનું ખૂલવું જરૂરી છે, કારણ કે સાધના દરમિયાન આ શરીર એક અનંત ઊર્જાનું પ્રતીક બનતું જાય છે. જ્યારે સાધકનું આજ્ઞાચક્ર એટલે કે ત્રિનેત્ર ખૂલે ત્યારે આપણે એક નવા બ્રહ્માંડમાં પહોંચી જઈએ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter