શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જીવનસંદેશ ‘સત્સંગ કરવાથી જ સુખી થવાય’

195મો અંતર્ધાન દિન (આ વર્ષે 5 જૂન)

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ Wednesday 28th May 2025 05:07 EDT
 
 

આપણા શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે, મનુષ્ય જન્મ તો દુર્લભ છે જ, પરંતુ મનુષ્યજન્મ મળ્યા પછી સત્સંગ મળવો અતિ દુર્લભ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રી અને વચનામૃત આદિ ગ્રંથોમાં સત્સંગ કરવા ઉપર બહુ જ ભાર મૂક્યો છે. તેઓ જ્યારે મનુષ્ય સ્વરૂપે દર્શન આપતાં હતા ત્યારે જે જે સ્થળે જતાં ત્યાં ‘સત્સંગ’ ઉપર ભાર મૂકતાં હતા. તેમના અંતરની ઈચ્છા હતી કે, ‘જીવો કેમે કરીને સત્સંગ કરીને સુખિયા થાય.’ શ્રી સ્વામિનારાયણ ભગવાન અનેક ગામડાંઓમાં ‘સત્સંગ’ કરવા ઉપર કેવા પ્રકારનો ઉપદેશ આપ્યો હતો. તેમના 195મા અંતર્ધાન દિને તે વાંચીએ, વિચારીએ અને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએઃ
• શ્રી સ્વામિનારાયણ ભગવાન ઇંગોરાળા ગામે પધાર્યા હતા. ત્યાં તેમણે કહ્યું કે, સત્સંગરૂપી પુરમાં જેનો નિવાસ થયો તેને પીડા આપવા અધર્મી જન આશા છોડી દે છે, અધર્મ પગ મૂકતાં બળવા લાગે છે. સત્સંગમાં જે વાર્તા થાય છે તે સુદર્શન ચક્ર જેવી છે, જે હરિભક્તો તેને સાંભળીને અંતરમાં ઉતારે છે તેની સર્વ દોષો થકી રક્ષા થાય છે.
• મેથાણમાં એક વખત શ્રીજી મહારાજ પધાર્યા હતા ત્યારે કહ્યું કે, જીવને આ સંસારમાં ફરીથી માતા-પિતા મળે છે, પુત્ર, સ્ત્રી, રાજ્ય, ગજ, ઘોડા, ભોગ સુખ આદિ બધું મળે છે પણ સત્સંગ મળવો કઠણ છે, સત્સંગ અને સંતનો સમાગમ મળવો એથી ઊંચું કોઈ સુખ નથી એ સુખ અમે સૌને આપ્યું છે, આ વાત સૌ હૃદયમાં લખી રાખજો, વિસારી દેશો તો અર્થ નહીં કરે, ચિંતામણિ મળે પછી તેને સાચવવી, જો ખોવાઈ જાય તો પછી દુઃખ જ રહે.
• સત્સંગ ભગવાન પ્રત્યે પ્રેમ વધારે છે. મૂંઝવણમાં સાચો રસ્તો બતાવે છે. જીવનભક્તિમાં તરબોળ રાખે છે. સત્સંગથી વાલિયા લૂંટારો વાલ્મિકી ઋષિ બની ગયા.
• કુસંગ માણસને બરબાદ કરે છે અને સત્સંગ માણસને આબાદ કરે છે. જેમ કચરો કાઢવાથી ઘર ચોખ્ખું થાય છે તેમ સત્સંગ કરવાથી મન શુદ્ધ થાય છે. જેને જેટલો સત્સંગ થયો હોય તેટલો તે નિયમ, ધર્મ, સેવા, ભક્તિ, પંચવર્તમાન પાળે અને સ્વભાવનો ભીડો એ સહન કરી શકે.
• સત્સંગ વિના સંતનો યોગ થાય નહીં, સંત મળે ત્યારે જ ભવરોગ ટળે. સંત હરિના હાથમાં હાથ સોંપે છે માટે સંત કહે તેમ કરવું અન્ય કોઈ બીજું સુખ નથી. જેને એવા સંતના સમાગમથી સદ્ગતિ થાય છે, તેને તો અક્ષરધામનું સુખ અહીં જ મનાય છે. સુખી થવા માટે પોતાની રુચિનો ત્યાગ કરીને ભગવાનની મરજી પ્રમાણે વર્તે ત્યારે સત્સંગ થયો ગણાય.
• સત્સંગ પારસતુલ્ય છે તેને લોઢું સ્પર્શ કરે તો કુંદન થાય, જે કંઈ ઉત્તમ ગુણો છે તે સત્સંગમાં જ છે. સત્સંગ સિવાય ક્યાંય નથી તેથી દિવસ અને રાત્રી સત્સંગ કર્યા કરવો.
• શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્યરૂપે વિચરણ કરતાં હતા, ત્યારે સત્સંગ કરી લેવો એ ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. અનેક સ્થળઓએ તેમણે જે ઉપદેશ આપ્યો તે, શ્રી હરિચરિત્રામૃતસાગર ગ્રંથમાં વિસ્તારપૂર્વક વર્ણવાયેલો છે. પરંતુ તેનો સાર એ જ છે કે, ‘જ્યાં સુધી સત્સંગ નહીં કરો, ત્યાં સુધી લખચોરાશીનું દુઃખ ચાલુ જ રહેશે. તેથી સત્સંગ કરીને મનુષ્ય જન્મ સાર્થક કરી લેવો.’ તેથી આપણે ‘સત્સંગ’ના કરતાં હોઈએ તો કરીએ, થોડો કરતાં હોઈએ તો વધુ કરીએ અને તો જ આપણે જેઠ સુદ દશમ (આ વર્ષે 5 જૂન)ના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અંતર્ધાન દિન પ્રસંગે તેમના ચરણોમાં ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter