સતીના સતનું વટસાવિત્રી વ્રત

વટસાવિત્રી વ્રત (આ વર્ષે 9થી 11 જૂન)

Wednesday 04th June 2025 08:35 EDT
 
 

વટવૃક્ષ તો મૃત્યુલોકનું કલ્પવૃક્ષ છે. ભારતીય સંસ્કૃતિ વૃક્ષોની છાયામાં ફૂલીફાલી છે. તપોવનમાં વૃક્ષોની શાખા-પ્રશાખા નીચે ધર્મ અને જ્ઞાનની અનેક શાખાઓ વિસ્તરી છે. એ વૃક્ષો પૂજાપાત્ર કેમ ન બને? તેથી જ, આપણી વૈદિક-પૌરાણિક સંસ્કૃતિમાં વૃક્ષોને દેવ માન્યાં છે. વટ (વડ) શિવસ્વરૂપ છે, આમ્ર સ્વરૂપ છે, તો અશ્વત્થ (પીપળો) વિષ્ણુરૂપ છે. ઘેઘૂર વડલો તો વટેશ્વર છે. આપણે તેની વડવાઈઓ છીએ. વડની પૂજાના વ્રતપ્રભાવથી સાવિત્રી પણ પોતાના મૃત પતિ સત્યવાનને યમરાજ પાસેથી જીવતો પાછો મેળવે છે. આ વ્રત દ્વારા પર્યાવરણ જતનનો સંદેશ પણ મળે છે.

મહાભારત, સ્કંદપુરાણ અને ભાગવતમાં વટ-સાવિત્રીનું આખ્યાન મળે છે. મદ્ર દેશના ઋષિ જેના ધર્માત્મા - તત્ત્વજ્ઞાની છતાં નિઃસંતાન રાજા અશ્વપતિએ પુત્રપ્રાપ્તિ માટે તપશ્ચર્યાપૂર્વક બ્રહ્માજીની પત્ની સાવિત્રીની આરાધના કરી. પરંતુ દેવી સાવિત્રીને તો સિદ્ધ કરવું હતું કે કુળધર્મની રક્ષા કરવા માટે તો પુત્રની જેમ પુત્રી પણ સમર્થ હોય છે. ‘બેટી વધાવો’ એવો ધ્વનિ પુરાણકાળમાં પણ સંભળાય છે. પુત્ર માગનાર રાજાને કન્યારત્નની પ્રાપ્તિ થઈ. દેવી સાવિત્રીની કૃપાથી જન્મેલી તે કન્યાનું નામ સાવિત્રી રખાયું.

સંસ્કારી વાતાવરણમાં ઉછરેલી પુત્રી સાવિત્રીમાં ગુણસૌંદર્યથી છલકાતું યૌવન પ્રગટ્યું. એની તેજસ્વિતા, સુંદરતા, બુદ્ધિમત્તા અને નિર્ભય સ્વતંત્રતાથી ભરેલા એના વ્યક્તિત્વના પ્રભાવથી ભલભલા રાજકુમારો પણ એનું માગું કરવાની હિંમત કરી શક્યા નહીં. છેવટે પોતાને અનુરૂપ-લાયક વર શોધી લાવવાની પિતાએ જ એને અનુમતિ આપી. કન્યા જાતે વર શોધે એ કાર્ય પણ ધર્મસંમત છે. પિતા આવા વચનમાં પ્રાચીનકાળની આપણી નારી-સ્વાતંત્ર્યની ઉદાત્ત ભાવનાનો ધબકાર સંભળાય છે.

એક વૃદ્ધ મંત્રીને સાથે લઈ સાવિત્રી નગર-નગર, દેશ-દેશમાં ફરી ફરીને પોતાને લાયક એવા વરની શોધ કરીને, ઘેર પાછી ફરી અને પિતાજીને કહ્યુંઃ ‘શાલ્વ દેશના રાજ્યભ્રષ્ટ થઈ વનવાસી બનેલા અંધ રાજા ધુમત્સેનનો સંસ્કારી અને સત્યવાદી પુત્ર સત્યવાન જ મારે માટે લાયક હોઈ એને હું મનથી વરી ચૂકી છું. એ રૂપાળો, ગુણિયલ અને સર્વ શાસ્ત્રોમાં પ્રવીણ છે. સાગરની જેમ તે ગુણરત્નોનો ભંડાર છે.’ પરંતુ તે સમયે, ત્યાં આવેલા નારદજીએ તો ભવિષ્યવાણી ભાખતાં જણાવ્યું કે સત્યવાન સત્યનિષ્ઠ, તેજસ્વી અને પિતૃભક્ત તો છે, પરંતુ એનું આયુષ્ય હવે માત્ર એક જ વર્ષનું બાકી રહ્યું છે ત્યારે આવો વર-જમાઈ કોણ પસંદ કરે? આમ છતાં રાજકન્યા સાવિત્રીએ તો પોતાના નિર્ણયમાં અડગ રહીને કહી નાખ્યુંઃ ‘જેને એક વાર હું મનથી વરી ચૂકી છું, પછી એ દીર્ઘાયું હોય કે અલ્પાયુ, એને જ વરીશ, બીજાને નહીં.’ છેવટે નારદ અને પિતાએ સાવિત્રીનો આ નિર્ણય વધાવી લીધો. સત્યવાન અને સાવિત્રીના વિવાહ સંપન્ન થયા.
રાજમહેલમાંથી વનવાસી બનેલી સાવિત્રીએ સેવા-સદાચારનો નારીધર્મ અપનાવીને પતિ - સાસુ - સસરા વગેરેની સેવા કરવા લાગી. મહિનાઓ વીત્યા. નારદની ભવિષ્યવાણી પ્રમાણે, એક વર્ષ પૂર્ણ થવામાં કેવળ ચાર જ દિવસ બાકી રહ્યા. પતિવ્રતા સાવિત્રીએ આહાર અને નિદ્રાનો ત્યાગ કરીને ઊભા રહેવાનું ત્રણ દિવસનું વ્રત આરંભ્યું. ચોથા દિવસે સત્યવાન કુહાડી લઈ, યજ્ઞ માટેનાં લાકડાં કાપી લાવવા જંગલ ભણી નીકળ્યો. હઠ પકડીને, સાસુ-સસરાની રજા લઈ સાવિત્રી પણ સાથે ચાલી. લાકડાં કાપતાં સત્યવાન ખૂબ થાકી ગયો. તેણે સૂવાની ઇચ્છા કરી. સાવિત્રીએ વડ નીચે બેસી સત્યવાનનું માથું ખોળામાં રાખ્યું. સાવિત્રીને અમંગળકારી પળ આવી પહોંચ્યાના ભણકારા થવા લાગ્યા. એટલામાં તો, સૂર્યપુત્ર યમરાજે આવીને સત્યવાનના શરીરમાંથી પ્રાણ ખેંચી લીધા. તે લઈ યમરાજે યમલોક તરફ પ્રયાણ કર્યું. સત્યવાનના પ્રાણ પાછા મેળવવા સાવિત્રી યમરાજાની પાછળ ચાલી.
યમરાજે એને પાછાં વળવા ખૂબ સમજાવી, પણ તે પાછી વળી નહીં. પતિને જીવિત કરવા તેણે અનેક તાર્કિક અને આધ્યાત્મિક દલીલો કરી. સાવિત્રીની મક્કમતા અને ધીરતા જોઈને અંતે ધર્મરાજ યમદેવ પ્રસન્ન થયા. સાવિત્રીએ એક પછી એક ચાર વરદાનો યમરાજ પાસેથી માગી લીધા. પહેલું વરદાન એ માંગ્યું કે પોતાના અંધ સસરાને દૃષ્ટિ મળે. બીજું વરદાન એ માંગ્યું કે રાજ્યભ્રષ્ટ થયેલા સસરાને ગયેલું રાજ્ય પાછું મળે. ત્રીજું વરદાન એ ઇચ્છયું કે પૃથ્વીપતિ પિતાને પુત્રોની પ્રાપ્તિ થાય અને ચોથું વરદાન માંગ્યું - સંતાનપ્રાપ્તિ માટે પતિ સત્યવાન જીવિત થાય. યમરાજને ચારેય વરદાન આપવાં પડ્યાં. ‘સતીના સત આગળ તો યમરાજ પણ હારી જાય’ એ આ આખ્યાનનો સૂચિતાર્થ છે. સાવિત્રી, સીતા અને સતી પાર્વતી તો નારી-નારાયણી શક્તિના તેજસ્વી દૃષ્ટાંતો છે.

જેઠ સુદ પૂર્ણિમા એટલે સ્ત્રીઓએ વટસાવિત્રી વ્રત કરવાનો દિવસ. તેરશથી આરંભી પૂર્ણિમા (આ વર્ષે 9થી 11 જૂન) સુધી ત્રણ દિવસના ઉપવાસ કરાય છે. આ વ્રતમાં ‘નમો વટાય’ (વડને નમસ્કાર) તેમ જ ‘નમો વૈવસ્વતાય’ (સૂર્યપુત્ર યમરાજને નમસ્કાર) જેવા મંત્રો ભણીને વડ, સાવિત્રી અને યમરાજની પૂજા કરાય છે. વળી આ વ્રતમાં તેરશથી દરરોજ નદી કે તળાવમાં સ્નાન કરવું, પૂનમે વડને ખૂબ પાણી પાવું, તેને સૂતર વીંટવું એટલે કે જનોઈ પહેરાવવી, તેની પૂજા-પ્રદક્ષિણા કરવી.’
‘વટસાવિત્રી’ એટલે કે વડ અને સાવિત્રી બન્ને ત્યાગ, સમર્પણ, પરોપકાર, નમ્રતા અને અડગતાનાં પ્રતીક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter