મારે કંઈક કહેવું છે - 'પિતૃવંદના' કાર્યક્રમ ખૂબ ગમ્યો

- સુરેશ અને ભાવના પટેલ, મારખમ કેનેડા Wednesday 23rd June 2021 06:47 EDT
 

૨૦ જૂનને ફાધર્સ ડેએ અમે સવારનો બ્રેકફાસ્ટ ઝડપથી પૂરો કરીને કેનેડાના સમય મુજબ સવારે ૧૦થી બપોરના ૧ સુધી લંડનથી પ્રકાશિત થતાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના ABPL ગ્રૂપ દ્વારા ઝૂમના માધ્યમથી આયોજીત 'પિતૃવંદના' કાર્યક્રમ ત્રણ કલાક સુધી સંપૂર્ણપણે નિહાળ્યો. અમે અમારા જીવનમાં આ પ્રથમ વખત ફાધર્સ ડે વિશે આટલો લાંબો કાર્યક્રમ જોયો. આવો ફાધર્સ ડે વિશેનો કોઈ કાર્યક્રમ અમે મંદિરમાં, ટીવી પર કે કોમ્યુનિટી ઈવેન્ટમાં કદી જોયો નથી. અમને બન્નેને ખૂબ માનસિક શાંતિ મળી અને આ કાર્યક્રમ અમારા માટેનું કાયમી સંભારણું બની ગયું.
  મારા પિતા રાવજીભાઈ પટેલનું ડિસેમ્બર, ૧૯૫૯માં મૃત્યુ થયું અને તે વખતે હું માત્ર ૧૭ વર્ષનો હતો. મેં અને મારા ભાઈમાંથી કોઈએ મારા પિતા સાથે ૭ વર્ષ અથવા તેથી વધુ સમય ગાળ્યો ન હતો. તેઓ વર્ષોથી પૂર્વ આફ્રિકામાં રહેતા હતા જ્યારે અમે ભણવા માટે ભારતમાં રહેતા હતા.  
મારા જીવનમાં મેં પ્રથમ વખત તમામ પિતાઓને અંજલિનો -  વર્ચ્યુઅલ પિતૃવંદના - નો આ પ્રથમ કાર્યક્રમ  નિહાળ્યો. મને એવું લાગ્યું કે મેં ત્રણ કલાક નહીં પરંતુ, મારા જીવનના ૩૦ વર્ષ તેમની સાથે ગાળ્યા, કારણ કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેઓ મારા મન અને અંતરમાં હતા. મેં ગ્રીક પરિવારની માલિકીની ટાન્ઝાનિયાના મોમ્બોમાં આવેલી ક્વાલુકોંગે સિસલ એસ્ટેટના માલિક અને પાર્ટનર સ્ટીફન ઈમાનુએલને પણ શ્રદ્ધાંજલિ આપી. મારા પિતા તેમની આ કંપનીમાં એકાઉન્ટન્ટ અને ફાઈનાન્સિયલ એડવાઈઝર તરીકે કામ કરતા હતા. ઈમાનુએલ મારા પિતાની ખૂબ નીકટ હતા. બોસ તરીકે નહીં પરંતુ, મારા પિતાની પ્રામાણિકતા અને વફાદારીને કારણે પિતાને તેમના પરિવારના એક સભ્ય તરીકે જ ગણતા હતા. હું પણ તેમને મારા પિતાતુલ્ય ગણતો હતો .ત્રણ વર્ષ અગાઉ દાર – એ – સલામમાં તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી હું કેનેડાથી તેમના સંપર્કમાં હતો.
છેલ્લે વર્ચ્યુઅલ પિતૃવંદના કાર્યક્રમના આયોજનમાં સંકળાયેલા તમામ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તેમના અને તેમના તમામ પ્રિયજનોના સારા સ્વાસ્થ્ય અને સુખી જીવન માટે મારી પ્રાર્થના અને શુભેચ્છા પાઠવું છું.    


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter