સત્તાના અતિરેકથી અને શાણપણના અભાવથી નરસંહાર અને વિનાશ સર્જાય એવા દાખલાઓથી માનવ ઈતિહાસ ઉભરાય છે. વ્યક્તિ, સમાજ, પ્રજા કે સરકારોમાં પણ એ જ સિદ્ધાંતનું અસ્તિત્વ સમાયેલું છે.દુર્યોધનનો સત્તાનો મદ અને દ્રોપદીનું શાણપણ સિવાયનું એક વાક્ય ‘આંધળાના છોકરાં આંધળા જ હોય’ એવા કટુવચનથી મહાભારતનું યુદ્ધ પરિણમ્યું. એમાં કરોડો માનવો અને પશુઓનો ભોગ લેવાયો. કૈકેયીના ગાંડપણ અને દશરથ રાજાના શાણપણના અભાવથી તેમજ લક્ષ્મણના શાણપણ અને ક્રોધથી શૂર્પણખાના નાક અને કાન કપાયા ન હોત તો રાવણમાં વેરવૃત્તિનો ઉદય ન થાત અને સીતાનું હરણ પણ ન જ થાત. આજે પણ સમયના વ્હેણમાં આધુનિક પરિસ્થિતિ સરખાવીએ તો એવી જ ઘટમાળ ચાલી રહી લાગે છે. સરમુખત્યારોની મદભરી સત્તાની લોલૂપતાથી અને શાણપણના અભાવથી લીબિયા, ઈરાક, યમન, ઝિમ્બાબ્વે અને બીજા નાનામોટા રાષ્ટ્રોમાં અનેક દાખલા ટાંકી શકાય. નોર્થ કોરિયા અને ચીનમાં પણ સત્તા અને શાણપણના અભાવથી અને બીજા રાષ્ટ્રોની સરહદોમાં ઘૂસણખોરી વગેરેથી લાંબા ગાળે યુદ્ધો થાય અને માનવસંહારમાં પરિણમે તો નવાઈ નહીં.
પાકિસ્તાનમાં પણ અનેક વખત સરમુખત્યારો પેદા થયા છે અને દેશની દશામાં પરિવર્તન થઈને વિકાસમાં અવરોધ થઈ રહ્યા છે. એમાં પણ એ જ સત્તાની લોલુપતા જ જવાબદાર ગણી શકાય. દુનિયાના ધર્મોમાં પણ અનેક યુદ્ધો થયાં અને નરસંહાર થઈ ગયો અને કદાચ ભવિષ્યમાં થવાની શક્યતા હજુય નકારી શકાય નહીં. એમાં પણ અસહિષ્ણુતા અને કટ્ટરવાદને જ જવાબદાર ગણી શકાય. ચીન અને ઉત્તર અમેરિકામાં ઘર્ષણો તેમજ પાકિસ્તાનના ગાંડપણભર્યા વર્તનથી માનવસંહારની પરિસ્થિતિ ભવિષ્યમાં ઉદ્ભવે એવા એંધાણ નજરે પડે છે. ઈતિહાસ બતાવે છે કે માનવસંહારના હથિયારો એક યા બીજી રીતે શોધાયા છે અને વપરાયા છે. આખરે તો એ પણ વપરાશે જ અને આ પૃથ્વી પર નરસંહારમાં પરિણમે એવી કથા ઉભી થઈ શકે તો અચંબો પામવાની જરાય જરૂર નથી. ભવિષ્યમાં આવી હોનારત થાય એવી આશા અસ્થાને નથી.